[:gj]અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ૧૪૦૦ જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લાઈન[:]

[:gj]ચૂંટણીઓ આવે એટલે સરકારી નોકરીઓની ભરતીઓ શરૂ થાય, યુવાનો ફોર્મ ભરે, પરીક્ષા
આપે, પરીક્ષામાં નાટક કરવામાં આવે જેથી ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર ઉપસ્યું છે. કેમકે,
2૩ હજાર સરકારી નોકરીઓ માટે 55.36 લાખ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. આ એ જ દર્શાવે છે કે,
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની કેવી અવદશા છે. ગુજરાત સરકાર ભલે વાઈબ્રન્ટ ગુજરાતના નામે
લોકોને રોજગારી આપવાના મોટા મોટા દાવા કરતી હોય…પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત
થયા છે. ગુજરાતમાં બે વર્ષમાં માત્ર 12,869 યુવાનોને રોજગારી મળી હોવાના આંકડા બહાર આવી
રહ્યા છે. ભાજપ સરકારમાં મોંઘુ શિક્ષણ બાદ સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતી, લાખો રૂપિયાની
લેતીદેતીના લીધે સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોની કારકિર્દી સાથે ચેડાં થઈ રહ્યા છે. વાયબ્રન્ટ
ગુજરાતના નામે અબજો રૂપિયાના મૂડીરોકાણ અને કરોડો રોજગારીના દાવાનો પરપોટો ફૂટી ગયાની
વિગતો રજુ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે,
અમદાવાદ શહેરમાં ટ્રાફિક બ્રિગેડની અસ્થાઈ જગ્યાની ભરતી માટે ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ
કરવામાં આવી છે. અમદાવાદની બે જગ્યાઓ ઉપર આ ફોર્મ આપવામાં આવે છે. મીઠાખળી પાસે ટ્રાફિક
પોલીસ સ્ટેશનની કચેરી બહાર યુવક – યુવતીઓની લાંબી કતારો લાગી છે. કિલોમિટરો સુધી
બેરોજગાર યુવકોની લાઇનો લાગી છે. ટ્રાફિક બ્રિગેડ માટે 462 મહિલાઓ અને 938 પુરુષો મળી કુલ
૧૪૦૦ જગ્યા પર ભરતી થવાની છે. જે માટે પ્રથમ દિવસે જ ૮૦૦૦ જેટલા યુવક – યુવતીઓ ઉમટી
પડ્યા છે.
ગુજરાત સરકારના જ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા
આંકડા મુજબ છેલ્લા બે વર્ષના સમયગાળામાં ગુજરાતમાં માત્ર 12,869 યુવાનોને રોજગારી આપી છે.
બીજી તરફ ગુજરાત સરકારના જ આંકડાઓ પ્રમાણે અમદાવાદ એમ્પ્યોમેન્ટ એક્સચેન્જમાં 62,608
બેરોજગાર યુવાનોએ તેમના નામ રજિસ્ટર કરાવ્યા છે. આવી જ રીતે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન
ઇકોનોમીએ આપેલા બેરોજગારીના આંકડાઓ મુજબ 2018 ના ઓક્ટોબર માસના અંત સુધીની સ્થિતિ
મુજબ ગુજરાતમા બેરોજગારીની ટકાવારી 7.5 ટકા જેટલી ઊંચી છે. આ ટકાવારી કેન્દ્ર સરકારના
બેરોજગારીના આંકડા કરતાં ઊંચા છે. કેન્દ્ર સરકારમાં બેરોજગારીની ટકાવારી 6.8 ટકાની છે.
ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ
ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે
આક્રોશ અને અજંપો છે. ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી
પરત ખેંચે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ નિમણૂંક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી
રહી છે. મોટા ભાગના વિભાગો ઈન્ચાર્જ થી જ ચાલી રહ્યાં છે. દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧
વર્ષમાં માત્ર ૧.૩૮ લાખ રોજગારી દેશના યુવાનોને મળી, સામા પક્ષે નોટબંધીનું ઉતાવળિયું પગલું અને જી.એસ.ટી.ના
અમલીકરણની નિષ્ફળતાને લીધે દેશમાં લાખો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર-ધંધા પડી ભાંગતા માત્ર
ગુજરાતમાં ૨૦ લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.[:]