ગુજરાતના કુંભની તૈયારી શરૂ, 7 લાખ ભક્તો આવશે

પાટણ જિલ્લાના રણને કાંઠે સમી-હારીજના વઢિયાર વિસ્તારમાં મિની કુંભ તરીકે જાણીતા મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે. 5થી 19 ફેબ્રુઆરી સુધી મિની કુંભ થશે. જેમાં લાખો લોકો આવે તેવી ધારણા છે. સમીના મામલતદાર સુપ્રિયા ગાંગુલીએ આ મેળાને પ્લાસ્ટિક મુક્ત મેળો જાહેર કર્યો છે. વરાણા ગામે આવેલું ખોડિયાર માતાના મંદિર પાસે કુંભ ભરાશે. માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળથી બનાવવામાં આવે છે. આ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળા દરમ્યાન 5થી 7 લાખ લોકો આવે છે. મેળામાં વઢિયાર સહિત અન્ય પંથકના લોકજીવન જોવા મળે છે. અહીં આખું વર્ષ આવતા ભક્તજનો માટે ભોજન પ્રસાદની મફત સગવડ પુરી પાડવામાં આવે છે. તલ -સાકર અને તલ- ગોળની સાંની ચડાવવાની વર્ષા જૂની રસમ પરંપરાગત ચાલી આવે છે.

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના – મોટા 1600 લોકમેળાઓ ભરાય છે. તરણેતર જેવા લોકમેળા વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં અમદાવાદનો વૌઠા, જુનાગઢનો ભવનાથનો મેળો, સુરેન્દ્રનગરનો તરણેતર, ડાકોરનો મેળો, શામળાજી, ગાંધીનગરનો પલ્લી મેળો, પોરબંદરનો માધવરાય, કચ્છનો રવેચી, પાટણનો વરાણા, સોમનાથ, ખેડામાં ફાગવેલ, અંબાજી, ભરૂચનો માધ, ભાવનગરનો ગોપનાથ વગેરે લોકમેળા યોજાય છે. રાજ્યમાં સૌથી વધુ 159 માળા સુરત જિલ્લામાં ભરાય છે. સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે.