ગુજરાત યુનિ.ના સ્ટાર્ટઅપ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં સ્ટાર્ટઅપ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાતે લઇ જવામાં આવશે. તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કર્યા બાદ હવે આ પ્રદેશમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને વેગ મળે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આજે ગુજરાત યુનિવર્સિટીમાં જીયુસેક એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાણાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે વિદ્યાર્થીઓ, પ્રોફેસરોને સંબોધતાં કહ્યું હતુ.

યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાયેલા જીયુસેક વાર્ષિક એવોર્ડસ ૨૦૧૯માં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યુ કે, મારા પિતાજી કહેતા હતા કે, મોટા વ્યકિત બનવા કરતાં કંઇક મોટુ કામ કરો. મે ધર્મશાલામાં સ્ટેડિયમ તૈયાર કર્યુ ત્યારે લોકો એ‌વુ કહેતા હતા કે, ૫૦ વર્ષથી જે કામ થયુ નથી તે ૨૫ વર્ષનો છોકરો કયાંથી કરી શકશે? પણ માત્ર ૫૦ કરોડના ખર્ચમાં આ સાકાર કરી બતાવ્યુ હતુ. તેમણે ઇનોવેશન કરતાં વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યુ કે, પરિણામથી ભાગવુ આસાન છે, પરંતુ ભાગી જનારાને કયારેય કશુ મળતુ નથી. જે લડે છે તેના કદમોમાં જ સફળતાં મળે છે.

તેમણે યુનિવર્સિટી અંગે વાત કરતાં કહ્યુ કે, આ યુનિવર્સિટીએ દેશને અનેક મહાન વ્યકિતઓ આપ્યા છે. જે પૈકી બે વ્યકિતઓ આજે સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને છે અને તેના નામ લેવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ કે તમે સારી ટીમ રાખો તો કોઇ કામ અઘરુ નથી, ટીમમાં તમારા કરતાં હોશિયાર વ્યકિતઓ હોય તો પણ તમે તેની અવગણના ન કરો તે જરૂરી છે. યુનિવર્સિટી દ્વારા રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જે સ્ટાર્ટઅપ કરવામાં આવ્યા છે ખૂબ જ વખાણવા લાયક છે. તેમણે મહિલાઓ માટે હરસ્ટાર્ટના પણ વખાણ કર્યા હતા. તેમણે સ્ટાર્ટઅપના વિદ્યાર્થીઓને કહ્યુ કે તમારી પ્રોડ્ક્ટને અન્ય કરતાં વધારે સારી રીતે જાણો, તમારા કસ્ટમરને તમારા કોમ્પીટીટર કરતાં વધુ સારી રીતે સમજો અને તમારી પ્રોડક્ટમાં વિશ્વાસ કરીને રોકાણ કરે તેવા રોકાણકારની શોધ કરો.

યુનિવર્સિટીમાં એવોર્ડ સમારંભમાં આવતાં પહેલા અનુરાગ ઠાકુરે જીયુસેકની મુલાકાત લઇને જુદા જુદા સ્ટાર્ટઅપ અંગે વિદ્યાર્થીઓ પાસેથી જાણકારી મેળવી હતી.