લીમડાના ઝાડમાંથી નીકળી રહ્યો છે ધૂમાડો

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ કે જ્યાં એક લીમડાના ઝાડમાંથી બે દિવસથી સતત ધૂમાડો નીકળી રહ્યો છે અને જેને નિહાળવા લોકોના ટોળાં ઉમટી રહ્યાં છે.
પાલીતાણાના તાલુકાના નાનીમાળ ગામમાં દુધાળા રોડ પર લવિંગ્યા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડમાંથી છેલ્લા બે દિવસથી સતત ભારે માત્રામાં ધૂમાડો નીકળી રહ્યો છે. પ્રથમ તો અહીંના સ્થાનિકોને એમ લાગ્યું કે લીમડાના ઝાડમાં ક્યાંક આગ લાગી હશે એટલે તે આગ બુઝાવવાનો ગ્રામજનોએ પ્રયાસ કર્યો, પરંતુ આ આગ બુઝાઈ નહોતી. જેથી ગ્રામજનોએ ફાયર વિભાગને બોલાવીને પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફાયર સ્ટાફ દ્વારા પણ આગ પર પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવવાને બદલે વધતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
જો કે બુધવારથી ચાલુ થયેલી આ ઘટનાની વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારોમાં વહેતી થઈ હતી. તેમજ સોશિયલ મીડિયામાં આ લીમડાના ઝાડનો વીડિયો લોકોએ મૂકતાં આ લીમડાને નિહાળવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યાં છે. આ જગ્યા પર લવિંગ્યા મહારાજની સમાધિ પણ આવેલ છે અને જે લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ હોય ત્યારે બે દિવસથી બની રહેલી આ ઘટનાના કારણે લોકોની આસ્થામાં વધારો થયો અને આસ્થા સાથે લોકો આ લીમડાના દર્શન કરવા માટે આવી રહ્યાં છે.