[:gj] સિધ્ધપુર પંથકના 50 જણા સાથે હજના નામે 85.50 લાખની ફરિયાદ[:]

[:gj]પાટણ, તા.૧૪

સિદ્ધપુર પંથકના હજયાત્રા કરવા ઇચ્છુક 50 મુસ્લિમ બિરાદરો પાસેથી વિઝા મેળવી આપવા અને અન્ય વ્યવસ્થા કરી આપવા માટે રૂ.85.50 લાખ ચેક મારફતે નાણાંકીય વ્યવહાર કર્યા બાદ ન વિઝા લાવી આપ્યા કે ન હજયાત્રા કરાવતાં વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો સામે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

સિદ્વપુર તાલુકાના વાઘરોલ ગામના વસીઅહેમદ રહીમ મોમીન તેમજ તેમના ગામના 34, બાદલપુરના 6, રસુલપુરના 4, હૈદરપુરના 2 અને સેદ્રાના 4 મળી કુલ 50 લોકો હજયાત્રાએ જવા ઇચ્છતા હતા. દરમિયાન તેઓને વોટ્સઅપ પર સાબરકાંઠાના કથિત એજન્ટ ઇનાયત ઇબ્રાહિમ માંકણોજીયા (રહે.લાલપુર, તા.હિંમતનગર)ની જાણકારી મળતાં તેનો સંપર્ક કરતાં તેઓ વચ્ચે થયેલ વાતચીત મુજબ 15 ફેબ્રુઆરીના રોજ ઉમરૂ હોટલ ખાતે બેઠક થઇ હતી. તેમાં અલઇમાન ટૂર એન્ડ ટ્રાવેલ કંપની હજ યાત્રાએ લઇ જશે તેવું જણાવાયું હતું.

ઇનાયત અને મૂર્તુઝા સૈયદઅલી સૈયદ (રહે.મુંબઇ) બન્નેએ તારીખ 15 ફેબ્રુઆરી 2019 થી 12 સપ્ટેમ્બર સુધી સમય વિશ્વાસમાં લઇને એક યાત્રીના રૂ. 3.80 લાખ નકકી કરેલા હતા. જેના એડવાન્સ પેટે રૂ. 2 લાખ ભરપાઇ કરવાના હતા. 50 યાત્રિકોના રૂ.1 કરોડ પહેલાં અને બાકીની રકમ વીઝા આવ્યા બાદ ચૂકવવાની હતી તે મુજબ 1 કરોડ ચૂકવી આપ્યા હતા. આ પછી એજન્ટોની યાદી જાહેર થતાં તેમાં આ એજન્સીનું નામ ન હોઇ ઇનાયતનો સંપર્ક કરતાં તેણે બીજી એજન્સીઓમાં મોકલી આપવા આશ્વાસનો આપ્યા બાદ હજ યાત્રાનો દિવસ નજીક આવતાં તેણે મારાથી લઇ જઇ શકાશે નહી તેમ કહી હાથ અધ્ધર કરી પાસપોર્ટ પાછા આપી દીધા હતા. યાત્રિકોએ પૈસાની ઉઘરાણી કરતાં ચાર પાંચ વ્યક્તિઓના ફક્ત રૂ.14.50 લાખ પરત આપ્યા હતા અને બાકીના નાણાં પેટે કેટલાક લોકોને આપેલા ચેક બાઉન્સ થયા હતા. 85.50 લાખની ઠગાઇ કરી હોવાની કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ જે.કે. ચૌધરી ચલાવી રહ્યા છે.[:]