[:gj]હું છું ગાંધી: ૧૧૧ લડાઈમાં ભાગ[:]

[:gj]વિલાયત પહોંચ્યા તો ખબર પડ્યા કે ગોખલે તો પારીસમાં રહી ગયા છે, પારીસની સાથેનો આવજાનો સંબંધ બંધ થઈ છે, ને તે ક્યારે આવશે એ ન કહી શકાય. ગોખલે તબિયતને અંગે ફ્રાન્સ ગયા હતા ત્યાં લડાઈને લીધે સપડાઈ ગયા. તેમને મળ્યા વિના દેશ જવું નહોતું. તે ક્યારે આવી શકશે એ કોઈ કહી શકે તેમ નહોતું.

દરમિયાન શું કરવું? લડાઈને વિશે મારો ધર્મ શો હતો? મારા જેલી સાથી અને સત્યાગ્રહી સોરાબજી અડાજણિયા વિલાયતમાં જ બારિસ્ટરીનો અભ્યાસ કરતા હતા. સારામાં સારા સત્યાગ્રહી તરીકે સોરાબજીને ઇંગ્લંડમાં બારિસ્ટરીની તાલીમ લેવાને સારુ ને પછી દક્ષિણ આફ્રિકામાં આવી મારી જગ્યા લેવાના હેતુથી મોકલવામાં આવ્યા હતા. તેમનું ખર્ચ દાક્તર પ્રાણજીવનદાસ મહેતા આપતા હતા. તેમની સાથે ને તેમની મારફતે દાક્તર જીવરાજ મહેતા ઇત્યાદિ જેઓ વિલાયતમાં અભ્યાસ કરતા હતા તેમની સાથે મસલત કરી. વિલાયતમાં રહેનાર હિંદીઓની એક સભા બોલાવી ને તેમની પાસે મારા વિચારો મેં મૂક્યા. મને લાગ્યું કે વિલાયતમાં વસતા હિંદીઓએ લડાઈમાં પોતાનો ફાળો ભરવો જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓએ લડાઈમાં સેવા કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો હતો. હિંદીઓ તેથી ઓછું ન કરી શકે. આ દલીલોની સામે આ સભામાં પુષ્કળ દલીલો થઈ. આપણી અને અંગ્રેજોની સ્થિતિ વચ્ચે હાથીઘોડાનો તફાવત છે. એક ગુલામ અને બીજા સરદાર. એવી સ્થિતિમાં ગુલામ સરદારની ભીડમાં સ્વેચ્છાએ સરદારને કેમ મદદ કરી શકે? ગુલામીમાંથી છૂટા થવા ઇચ્છનાર ગુલામનો ધર્મ સરદારની ભીડનો ઉપયોગ છૂટા થવા સારુ કરવો એ નથી? આ દલીલ તે વેળા મને કેમ ગળે ઊતરે? જોકે હું બેની સ્થિતિનો ભેદ સમજી શક્યો હતો, પણ મને આપણી સ્થિતિ છેક ગુલામીની નહોતી લાગતી. મને તો એમ લાગતું હતું કે, અંગ્રેજી પદ્ધતિમાં દોષ હતો તેના કરતાં કેટલાક અંગ્રેજી અમલદારોમાં દોષ વધારે હતો. તે દોષ આપણે પ્રેમથી દૂર કરી શકીએ. જો અંગ્રેજોની મારફતે અને તેમની મદદથી આપણે આપણી સ્થિતિ સુધારવા ઇચ્છતા હતા, તો આપણે તેમની ભીડને વખતે તેમને મદદ કરીને સ્થિતિ સુધારવી જોઈએ. રાજ્યપદ્ધતિ દોષમય હોવા છતાં મને જેમ તે આજે અસહ્ય લાગે છે તેમ તે વેળા અસહ્ય નહોતી લાગતી. પણ જેમ પદ્ધતિ ઉપરથી મારો વિશ્વાસ આજે ઊઠી ગયો છે ને તેથી હું આજે અંગ્રેજી રાજ્યને મદદ ન કરું, તેમ જેમનો વિશ્વાસ પદ્ધતિ ઉપરથી જ નહીં પણ અંગ્રેજી અમલદારો ઉપરથી પણ ઊઠી ચૂક્યો હતો તે કેમ મદદ કરવા તૈયાર થાય?

તેમણે આ સમયે પ્રજાની માગણી મજબૂત રીતે જાહેર કરવાની ને તેમાં સુધારો કરાવી લેવાનો આગ્રહ કરવાની તક જોઈ. મેં આ અંગ્રેજોની આપત્તિને આપણી માગણી કરવાનો વખત ન માની લડાઈ દરમિયાન હકો માગવાનું મુલતવી રાખવાના સયંમમાં સભ્યતા  ને દીર્ઘદૃષ્ટિ જોયાં. તેથી મારી સલાહ ઉપર હું મક્કમ રહ્યો ને જેમને ભરતીમાં નામ લખાવવાં હોય તે લખાવે એમ સૂચવ્યું. નામો સારી સંખ્યામાં લખાયાં. તેમાં લગભગ બધા પ્રાન્તના ને બધા ધર્મના માણસોનાં નામ હતાં.

લૉર્ડ ક્રૂ ઉપર આ વિશે કાગળ લખ્યો અને હિંદી માગણીનો સ્વીકાર થવા સારુ જખમી સિપાઈઓની સેવા કરવાની તાલીમ લેવાની આવશ્યકતા જણાય તો તાલીમ લેવાની ઇચ્છા ને તૈયારી જાહેર કર્યાં. કંઈક મસલતો પછી લૉર્ડ ક્રૂએ હિંદી માગણીનો સ્વીકાર કર્યો ને અણીને ટાંકણે સામ્રાજ્યને મદદ દેવાની તૈયારીને સારુ આભાર માન્યો.

નામ આપનારાઓએ પ્રસિદ્ધ દાક્તર કેટલીના હાથ નીચે જખમીઓની સારવાર કરવાની પ્રાથમિક તાલીમનો આરંભ કર્યો. છ અઠવાડિયાંનો નાનકડો ક્રમ હતો, પણ તેમાં જખમીઓને પ્રાથમિક મદદ દેવાની બધી ક્રિયા શીખવવામાં આવતી હતી. અમે લગભગ ૮૦ જણ આ ખાસ વર્ગમાં જોડાયા. છ અઠવાડિયાં પછી પરીક્ષા લેવાઈ તેમાં એક જ જણ નાપાસ થયો. જેઓ પાસ થયા તેમને સારુ હવે સરકાર તરફથી કવાયત વગેરે દેવાનો પ્રબંધ થયો. કર્નલ બેકરના હાથમાં આ કવાયત દેવાનું મૂકવામાં આવ્યું ને તેમને આ ટુકડીના સરદાર નીમવામાં આવ્યા.

આ વખતનો વિલાયતનો દેખાવ જોવાલાયક હતો. લોકો ગભરાતા નહોતા પણ બધા લડાઈમાં યથાશક્તિ મદદ કરવામાં રોકાઈ ગયા. શક્તિવાળા જુવાનિયા તો લડાઈની તાલીમે લેવા મંડી ગયા. પણ અશક્ત, બુઢ્ઢા, સ્ત્રીઓ વગેરે શું કરે? તેમને સારુ પણ ઇચ્છે તો કામ તો હોય જ. તેઓ લડાઈમાં ઘવાયેલાઓને સારુ કપડાં વગેરે સીવવાવેતરવામાં રાકોયાં. ત્યાં સ્ત્રીઓની લાઇસિયમ નામે ક્લબ છે તેનાં સભ્યોએ લડાઈખાતાને જોઈતાં કપડાંમાંથી જેટલાં બનાવી શકાય તેટલાં બનાવવાનો બોજો ઉપાડયો. સરોજિની દેવી તેનાં સભ્ય હતાં. તેમણે આમાં પૂરો ભાગ લીધો. મારી તેમની સાથેની ઓળખાણ તો આ પહેલી જ હતી. તેમણે વેતરેલાં કપડાંનો મારી પાસે ઢગલો કર્યો, ને જેટલાં સીવીસિવડાવી શકાય તેટલાં સીવીસિવડાવી તેમને હવાલે કરવાનું કહ્યું, મેં તેમની ઇચ્છાને વધાવી લીધી ને જખમીઓની સેવાની તાલીમ દરમિયાન જેટલાં કપડાંને પહોંચી શકાય તેટલાં તૈયાર કરી કરાવી આપ્યાં.

વધુ આવતા અંકે______

[:]