[:gj]પાલનપુર, તા.૦૩
થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું.

થરાદમાં શંકરભાઈ ચૌધરીની ટિકિટ કપાતા રાજકારણ ગરમાયું છે. તેવામાં કેટલાક ટીખળખોરોએ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી વધુ ને વધુ નોટાનો બટન દબાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી કરાઇ હતી. ઉપરાંત 3 જીએ મલુપુર ગામમાં ભેગા થવાનું પણ આહવાન કરાયું હતું. જેમાં કેટલાક નંબરો ટાંકવામાં આવ્યા હતા. તેવામાં આસોદર ગામમાં કેટલાક લોકો એકઠા થયા હતા.
જેઓ નોટા માટે એકઠા થયા હોવાનો મેસેજ વહીવટીતંત્ર સુધી પહોંચી જતા ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી ગયા હતા અને જ્યાં લોકો ભેગા થયા હતા તેમના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી. જ્યાં લોકોએ નોટા માટેની બેઠક નહીં પરંતુ સામાજિક કારણોસર ભેગા થયા હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે વહીવટીતંત્ર કે પોલીસ દ્વારા કોઈપણ વિગત આપવામાં આવી ન હતી.
બનાસકાંઠાના સરહદી પંથકમાં અસરકારક જનસંપર્ક માટે રાત્રે સભાઓમાં જે પ્રકારે રેગડીઓ લલકારવામાં આવે છે, તેવી રેગડી શંકરભાઈને ટિકિટ ન મળતા સમર્થકો હવે તેમના ગુણગાન ગાતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. હાલમાં જે રેગડી વાયરલ થઇ છે તેમાં શંકરભાઈ જેવો નેતા ન મળે એવું કહેવામાં આવી રહ્યું છે.
[:]
You must be logged in to post a comment.