[:gj]હાઇબ્રીડ પાર્કમાં ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત થશે[:]

[:gj]પુનઃ પ્રાપ્ય ઊર્જા ના પ્રોત્સાહન માટે અનેક નવી નીતિઓ બનાવી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વીન્ડ પોલીસી, સોલાર પોલીસી, સ્‍કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કર્યું છે. દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વીન્ડ હાઇબ્રીડ પાર્ક બનશે.

વિન્‍ડ સોલાર – હાઇબ્રીડ પોલીસી – ૨૦૧૮માં રાજયમાં આવનારા ૧૦ વર્ષમાં ઓછામાં ઓછી ૩૦ હજાર મે.વો. પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્‍યો છે. જયાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલાર અને વિન્‍ડ એનર્જી પાર્ક છે ત્‍યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી, સૌર ઊર્જા ઉત્‍પન્‍ન કરી શકાશે. વણવપરાયેલી બીનઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો વપરાશે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન ૪૦ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવશે.

ડેવલપરે ૧૦ વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલી જમીન ઉપર તેમના પ્રોજેકટના ૧૦૦ ટકા ક્ષમતા ઉભી કરી, પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાની રહેશે.

પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેકટર રૂા.૧૫૦૦0 વાર્ષિક ભાડુ સરકારને ચુકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવશે. પાર્ક ડેવલપર આ જગ્યા સબલીઝ કરે તો પણ આ દરો ચુકવવાના રહેશે. વધુમાં, પ્રતિ હેકટર રૂા.૧૫૦૦૦ પ્રતિ વર્ષ માળખાકીય સુવિધા માટે ચુકવવાના રહેશે.

હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે.

પાર્ક ડેવલપરની પસંદગી ને નીતિવિષયક માટે માન. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. ઓછામાં ઓછા ૧૦૦૦ મેગા વોટનું ઉત્પાદન થઇ શકે તેટલી જમીન ફાળવવામાં આવશે. પાર્કમાં દેશના કોઇપણ રાજ્ય પોતાના રીન્યુએબલ પાવર પર્ચેઝ ઓબ્લીગેશન પુરા કરવા માટે પોતાના રીન્યુએબલ પ્લાન્ટ સ્થાપી શકશે તથા ઉત્પન્ન થયેલ વીજળી પોતાના રાજ્યમાં લઇ જઇ શકશે. દેશના ઘણાં રાજ્યો એવા છે જ્યાં આ રાજ્યોના ભૌગોલિક સ્થાનના કારણે પવન ઊર્જા કે સૌર ઊર્જા ઉત્પન્ન કરવાનું શક્ય નથી. આ રાજ્યો આ પોલીસી હેઠળ સ્થપાનાર રીન્યુએબલ પાર્કમાં હિસ્સેદાર બની પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરી પોતાના રાજ્યોમાં લઇ જઇ શકશે.

કેન્‍દ્ર સરકારની કંપની સેકી – સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા જે દેશભરમાં અન્ય રાજ્યો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજ્યના હાઇબ્રીડ પાર્કમાં જગ્‍યા ફાળવી શકાશે.

ભારત સરકારે રીન્યુએબલ પાર્કમાં ઉત્પન્ન થયેલ વીજળી અન્ય જગ્યાએ લઇ જવા માટે જરૂરી ટ્રાન્સમીશન નેટવર્કની સ્થાપના માટેનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાની તૈયારી દર્શાવેલી છે.

રાજય સરકારે હાઇબ્રીડ પાર્ક પોલીસી જાહેર કરીને ૧૦ વર્ષમાં ૩૦ હજાર મે.વો. પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, જેમાં પણ સોલાર અને વિન્‍ડ એનર્જીમાં કચ્‍છની ક્ષમતાનો મહત્‍તમ ઉપયોગ કરાશે. ૧૦ વર્ષમાં સ્થપાનાર આ ૩0 હજાર મેગા વોટના પ્રોજેક્ટ માટે અંદાજે ૧ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયાનું મુડી રોકાણ રાજ્યમાં થશે. તદ્ઉપરાંત ઉત્પાદિત થનાર વીજળીને પ્રવહન કરવા માટેની વીજ લાઇનો માટે અંદાજે ૧૦ હજાર કરોડનું મુડી રોકાણ થવાનો અંદાજ છે.

રીન્‍યુએબલ એનર્જી એટ્રેકટીવનેસ ઇન્ડેક્સ ૨૦૧૭ અન્‍વયે ભારત વિશ્‍વમાં બીજા ક્રમે છે. આગામી ૨૦૨૨ સુધીમાં ભારત સમગ્ર વિશ્‍વમાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદન ક્ષેત્રે અગ્રેસર બનશે ત્‍યારે રાષ્‍ટ્રના વિકાસ માટે રાજ્યના વિકાસના મંત્રને સાકાર કરી, ગુજરાત પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે શિરમોર બની રહેશે.

રાજ્યની હાલની કુલ સ્‍થાપિત વીજ ક્ષમતામાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જાનો હિસ્‍સો ૭૬૪૫ મે.વો. એટલે કે ૨૮ ટકા છે, જે ૨૦૨૨ સુધીમાં વધારીને ૨૨૯૨૨ મે.વો. એટલે કે ૫૩ ટકા સાથે લગભગ બમણો કરવાનો લક્ષ્‍યાંક અને તે માટેનું સઘન આયોજન

આવનાર ત્રણ વર્ષમાં અંદાજેરૂા. ૧ લાખ કરોડના મૂડી રોકાણ  ગુજરાતે ત્રણ વર્ષમાં ૧૫ હજાર મે.વો. પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરી કરાર કરવાનું આયોજન કર્યુ છે. જેમાં ૧૦ હજાર મે.વો. વીજળી સૌર ઊર્જા દ્વારા અને પાંચ હજાર મે.વો. વીજળી પવન ઊર્જા દ્વારા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્‍યો છે.

ધોલેરા સર ખાતે પ હજાર મે.વો.ના સોલાર પાર્કનો સમાવેશ થાય છે. આ સોલાર પાર્ક માટેના ૧ હજાર મે.વો.ના ટેન્‍ડરો ટૂંક સમયમાં બહાર પડાશે.

બનાસકાંઠા જિલ્‍લાના રાધા નેસડા ખાતે સોલાર પાર્કમાં ૭૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરાશે. આ સિવાય બનાસકાંઠા જિલ્‍લાના હર્ષદ ખાતે પણ એક સોલાર પાર્ક સ્‍થાપીને વધારાની પ૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરવામાં આવશે.

રાજ્ય સરકારે ૫૦૦ મે.વો. સૌર ઊર્જા ખરીદી કરવા હમણાં જ પ૦૦ મે.વો.નું ટેન્‍ડર બહાર પાડયું છે. જે કંપની જાતે જમીન શોધી પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરી, સૌર ઊર્જા ઉત્‍પન્‍ન કરશે તેમના પૈકી જેના ઓછા ભાવ આવશે તેની પાસેથી વીજળી ખરીદાશે.

રાજય સરકારે રાજયમાં

૬૬ કે.વી. સબ સ્‍ટેશનો પૈકી કેટલાંક સબ સ્‍ટેશનો એવા છે કે, જયાં રાજય સરકારની ખરાબાની જમીન પડી છે. પ્રાથમિક તબકકે કુલ ૫૦ સબ સ્‍ટેશનોને ધ્‍યાને લેવાયા છે. આવી સરકારી ખરાબાની જમીન ઉપર ઓછામાં ઓછા ૨૦ મે.વો. અને તેથી વધુના સૌર ઊર્જા એકમો સ્‍થાપવામાં આવશે. આવી ઉત્‍પાદિત થતી સૌર ઊર્જા ખરીદવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાશે અને તે મુજબ સરકાર વીજળી ખરીદશે. રાજય સરકારની આ પહેલ દ્વારા અંદાજે ૩ હજાર મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાજય સરકાર ધરાવે છે.

રાજય સરકારે સૌર ઊર્જા ઉત્‍પાદન માટે એક બીજી પહેલ કરીને ’’સ્‍મોલ સ્‍કેલ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સ સોલાર પ્રોજેકટ’’ તૈયાર કર્યો છે. દેશભરમાં પ્રથમ જ વખત ગુજરાત સરકારે આ નવતર અભિગમ સાથે યોજના બનાવી છે. જેમાં કોઇપણ વ્‍યકિત, પેઢી, નાની કંપની કે સહકારી મંડળી અડધા મે.વો. એટલે કે ૫૦૦ કિ.વો. થી માંડીને ૪ મે.વો. સુધીની સૌર ઊર્જાનું ઉત્‍પાદન ખેતરમાં કે કોઇ પડતર જમીનમાં કરશે અને ઉત્‍પાદિત થતી સૌર ઊર્જા ૧૧ કે.વી. લાઇનમાં આપશે તો અગાઉના અંતિમ ટેન્‍ડરની જે આખરી પ્રાઇઝ નકકી થઇ હશે તે ભાવે સરકાર આ વીજળી ખરીદશે અને નવી ટેન્‍ડર પ્રક્રિયાની જરુર નહી રહે. આ પ્રોજેકટ માટે રાજ્ય સરકાર રપ વર્ષનો કરાર પણ કરશે.

પ્રોજેકટથી ૨૦૦૦ મે.વો. સૌર ઊર્જા ઉત્‍પાદિત થવાનો અંદાજ છે અને આ અંગે વિસ્‍તૃત પોલીસી રાજય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે.

સ્‍કાય-સૂર્ય શકિત કિસાન યોજના અને રૂફટોપ યોજના પણ રાજયભરમાં કાર્યરત રહેશે.

રૂફટોપ યોજના અમલમાં મૂકી નાગરિકોને પણ પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે જોડયા છે. અત્‍યાર સુધીમાં રૂફટોપ દ્વારા ૨૩૩ મે.વો.સૌર ઊર્જા ઉત્‍પન્‍ન થઇ રહી છે.

ત્રણ વર્ષમાં પ હજાર મે.વો.પવન ઊર્જા ઉત્‍પાદિત કરવાનો લક્ષ્‍યાંક રાખ્‍યો છે. કચ્‍છમાં ૪ હજાર મે.વો.જેટલી પવન ઊર્જાના ઉત્‍પાદનની સંભાવના હોઇ, કોઇ એક સ્‍થળેથી જ આટલી મોટી માત્રામાં આવી ઊર્જા ઉત્‍પાદિત કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.આ રીતે પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત કરવાની કચ્‍છ વિસ્‍તારની જે ક્ષમતા છે તેનો રાજય સરકાર મહત્‍તમ ઉપયોગ કરશે.આ ઉપરાંત ૧ હજાર મે.વો.ની રાજયના અન્‍ય સ્‍થાનેથી ઉત્‍પન્‍ન થતી પવન ઊર્જા ટેન્‍ડર દ્વારા ખરીદ કરવામાં આવશે.

દેશભરમાં પહેલી વખત ગુજરાતના પીપાવાવ બંદર ખાતે મધદરિયે ૧ હજાર મે.વો. ક્ષમતાનો વિન્‍ડ પાવર પ્રોજેકટ સ્‍થાપવાનો કેન્‍દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ પ્રોજેકટ દ્વારા ઉત્‍પાદિત થનારી પવન ઊર્જાનો સંપૂર્ણ હિસ્‍સો ખરીદવાની રાજય સરકારે કેન્‍દ્ર સરકારને સંમતિ પણ આપી દીધી છે. રૂા. ૧૫ હજાર કરોડના મૂડી રોકાણ સાથેના આ પ્રોજેકટના ટૂંક સમયમાં ટેન્‍ડર બહાર પાડવામાં આવશે.આ પ્રોજેકટથી પીપાવાવ વિસ્‍તારમાં રોજગારીની તકોમાં વધારો થશે.

ઉદ્યોગો માટે કેપ્‍ટીવ પાવર વપરાશકારોને વધુ પ્રોત્‍સાહન આપવા માટે રાજય સરકારે વિન્‍ડ કેપ્‍ટીવ પોલીસીમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

રાજયની હાલ પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદિત ક્ષમતા ૭૬૪૫ મે.વો. છે એટલે કે, કુલ ઊર્જા ઉત્‍પાદનના ૨૮ ટકા જેટલી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન ૨૨૯૨૨ મે.વો. એટલે કે કુલ સ્‍થાપિત ક્ષમતાના ૫૩ ટકા જેટલું પુનઃ પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદન વધારવા જે ભગીરથ પૂરુષાર્થ આદર્યો છે જેના પરિણામે દેશભરમાં ઊર્જાવાન ગુજરાત અગ્રેસર રહેશે. તેમ ગુજરાતના ઉર્જા પ્રધાને જાહેર કર્યું હતું.[:]