[:gj]ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો[:]

[:gj]ગાંધી આશ્રમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આશ્રમની ગૌશાળાની જમીન અંગે પણ વરવી હકિકત બહાર આવી છે. આજીવન સત્ય અને અહિંસાના ભેખધારી રહેલા મહાત્મા ગાંધી સનાતન હિંદુ સંસ્કૃતિને માનતા હતા અને તેના એક ભાગરુપે જ તેમણે આશ્રમમાં ગૌ શાળા શરુ કરી હતી. જેનું દુધ આશ્રમવાસીઓને પણ આપવામાં આવતુ હતુ. આજે આ ગૌશાળાની મોટાભાગની જમીન રહી નથી ત્યારે આ જમીનનો કયા અને કોણે વહીવટ કર્યો તેની વિગતો લોકો સામે આવે તે જરુરી છે.

ગાંધી આશ્રમ ગૌશાળાને 101 વર્ષ

ગાંધીજીના જન્મને 150 વર્ષ પૂરા થતાં હોય તેની ઉજવણી શરૂ કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી આશ્રમને 17મી જૂન, 2017ના રોજ 101 વર્ષ પૂર્ણ થયા છે. તેની સાથે ગાંધીજીની ગૌશાળાને પણ 100 વર્ષ પૂરાં થયા છે. ભારતની આઝાદી અને અહિંસક સમાજરચના માટે આશ્રમ કેન્દ્રસ્થાન બન્યું હતું. ખેતી, ખાદી, ગ્રામોદ્યોગો, ગોપાલન, નયી તાલીમ, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય એકતા, સમરસ સમાજરચના વગેરે પ્રવૃતિઓનો આરંભ ગાંધીજીએ આશ્રમથી કર્યો હતો.

1816થી જ આશ્રમ ગૌશાળા છે

1816માં આશ્રમની શરૂઆતથી જ ગૌશાળાનું કામ થતું હતું. 1933માં ગાંધીજીએ આશ્રમ બંધ કર્યો ત્યારે ગૌશાળા પણ બંધ થઈ હતી. ફરી હરિજન આશ્રમ તરીકે ગાંધી આશ્રમની કામગીરી શરૂ થઈ ત્યારે ગૌશાળાની કામગીરી પણ શરૂ થઈ હતી. ગૌશાળાની આર્થિક સ્થિતિ સ્વતંત્ર રહી છે. તેના માટે ટ્રસ્ટી મંડળ અલગથી કામ કરે છે. ગૌશાળા માટે ચાર કેન્દ્ર છે. જેમાં એક હરિજન આશ્રમ, બીડજ ગામ કે જે અમદાવાદથી 23 કિમી દૂર છે. ધર્મપુરા જે 24 કિમી દૂર છે. સુએજ ફાર્મ કે જે 10 કિમી દૂર આવેલું છે.

હાલનું મકાન 1938મા બન્યું હતું

15 જૂન, 1938મા ગૌશાળાનું મકાન મુંબઈ સરકારના વડાપ્રધાન ખેરના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેની તક્તી પણ આજે હયાત છે. ત્યારે ગૌશાળાનું મકાન બાંધવા તથા રહેણાકના મકાનો બનાવવા માટે રૂ. 7,200નો ખર્ચ થયો હતો. જે ખર્ચ ઘી અમદાવાદ અમેરિકન કોટન લિમિટેડ તરફથી ગૌશાળાને મળતી મદદમાંથી કરવામાં આવ્યો હતો. આજે આ મકાનો એનડીડીબીએ તોડી પાડ્યા છે.

ગૌશાળા સાથે આશ્રમ વિખેરી નાંખ્યો

1930ની 12મી માર્ચે 78 આશ્રમવાસીઓ સાથે આશ્રમથી દાંડીયાત્રા નીકળી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી નહીં મળે ત્યાં સુધી તેઓ હવે આશ્રમમાં પરત નહીં ફરે. આંદોલનમાં 60,000 જેટલા સત્યાગ્રહીઓએ જેલો ભરી દીધી હતી. જેમાં લોકોની માલ-મિલકત જપ્ત થઈ, એમની સહાનુભૂતિમાં ગાંધીજીએ આશ્રમને વિખેરી નાંખવાની જાહેરાત કરી હતી. આશ્રમવાસીઓની ધરપકડો થઈ હતી. આશ્રમભૂમિ નિર્જન બની હતી.

1852માં 622 એકર જમીન હતીપછી વધુ ખરીદી

હરિજન ટ્રસ્ટે ગૌશાળાના હેતુ માટે જમીન મેળવી હતી. 1852મા ગૌશાળાનું અલગ ટ્રસ્ટ બન્યું હતું. ત્યારે 622-32 એકર જમીન જ બતાવવામાં આવી હતી. ત્યાર બાદ 1973મા ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મુક્તિ માંગી ત્યારે તેમાં 1492-23 એકર-ગુંઠા જમીન હતી. 1990મા સરકારી ઠરાવોથી 1346 એકર જમીન ગૌશાળાને મળી હતી.

જેમાં આ પ્રમાણે એકર જમીન હતી

પ્રત્યક્ષ કબજો – 999

બીનઅધિકૃત કબજો – 99

ગણોતિયા હસ્તક  – 248

કૂલ જમીન 1346-00

આમ 1960મા હરિજન બોધપત્રમાં બતાવેલી 1700 એકર જમીનમાં 354 એકર જમીન ઓછી જોવા મળી રહી છે. વળી દબાણ અને ગણોત ગણવામાં આવે તો ગૌશાળા પાસે 999 એકર જમીન રહે છે. 701 એકર જમીનનો આશ્રમ ગૌશાળા પાસે કજબો નથી. જે બતાવે છે કે ગૌશાળા પાસે તો 701 એકર જમીન રહી નથી.

 1973માં એનડીડીબીને  ખેરાત

1952મા સાબરમતી ગૌશાળા ટ્રસ્ટની નોંધણી થઈ હતી. જેમાં છ ટ્રસ્ટીઓ હતા. 1973મા આ ટ્રસ્ટને એનડીડીબીને આપી દેવામાં આવ્યું હતું. 1974માં અમદાવાદ ખાતે વીર્ય ઉત્પાદન શરૂ કરવામા આવ્યું હતું. ત્યાર પછી ખેડાના બીડજ ફાર્મમાં 1976-77મા સ્થળાંતરિત કરાયું હતું. 2018મા 160 સાંઢ અને 40 ગાય હતી. આજે એટલી જ છે. કૃત્રિમ વીર્ય એકઠું કરીને 23 લાખ ગાયોને કૃત્રિમ વીર્ય આપી બચ્ચા પેદા કરવામાં આવે છે.

ગૌસેવા આયોગની યાદીમાં ગૌશાળા નથી

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતની તમામ ગૌશાળાની જિલ્લાવાર યાદી તૈયાર કરીને પ્રસિદ્ધ કરી છે. જેમાં ક્યાંય ગાંધી આશ્રમની ગૌશાળા જાહેર કરવામાં આવી નથી. ખેડા કે અમદાવાદ જિલ્લામાં તે યાદી જોવા મળતી નથી.

1700 એકર જમીન ઘટતી ગઈ

છેલ્લા 100 વર્ષથી સાબરમતી આશ્રમમાં હાલ કન્યાકેળવણી, પશુપાલન, ખાદી ઉત્પાદન, ગૃહઉદ્યોગ, ગૌશાળા, સાબુ ઉત્પાદન, ફર્નીચર બનાવા જેવી વિવિધ પ્રવૃત્તિ થાય છે. છેલ્લાં 100 વર્ષથી આશ્રમમાં વિશ્વભરમાંથી લોકો આવે છે. તે ગાંધીજી પ્રત્યે આસ્થાના કારણે આવે છે. ગૌશાળા જોવા માટે મોટાભાગે કોઈ જતું નથી. પણ લોકો અવશ્ય પૂછે છે કે ગૌશાળા તો છે પણ ગાયો અને જમીન ક્યાં છે ? આ પ્રશ્નનો ઉત્તર તો ગૌશાળા ટ્રસ્ટ કે અમૂલ આપી શકે તેમ છે.

1960મા હરિજન આશ્રમે એક બોધપત્રના દસ્તાવેજમાં બતાવવામાં આવ્યું છે કે સાબરમતી ગાંધી આશ્રમની ગૌશાળા પાસે 1700 એકર જમીન છે. તો ત્યાર પછી એવું તે શું થયું કે જમીન ઘટી ગઈ? 2005મા સાબરમતી આશ્રમ ગૌશાળાના અધ્યક્ષ દેવેન્દ્ર આર. દેસાઈએ દસ્તાવેજો ચકાસીને કેટલીક વિગતો જાહેર કરી હતી કે, ગુજરાત વડી અદાલતે 30 ઓગસ્ટ 2005ના રોજ હુકમ કરેલો હતો કે ગાંધી આશ્રમની આજુબાજુ આવેલી ગૌશાળાની જમીનોમાં થયેલા દબાણો અમપાએ દૂર કરવા. જમીન કેટલી છે તે અંગે દેસાઈએ કંઈ જાહેર કર્યું ન હતું.

ગાંધી આશ્રમ ગૌશાળાની 1600 એકર જમીન ક્યાં ગઈ ?

ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા, તેનું બનાવેલું 80 વર્ષ જૂના ઐતિહાસિક મકાન એનડીડીબીએ ફેબ્રુઆરી 2018માં તોડી પાડયું હતું. અગાઉ અહીં મકાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા ત્યારે ચેરિટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધીજીના સમયમાં તમામ આશ્રમવાસીઓને દૂધ આપવામાં આવતું હતું. જો કે ગાંધીજી પોતે દૂધ પીતા ન હતા. ગૌશાળા માટે અમદાવાદ આસપાસ 1588 એકર જમીન હતી. જ્યાં ગાય માટે ઘાસ અને ખેતી થતી હતી. તેમાં હાલ કેટલી જમીન છે તે ગૌશાળાએ જાહેર કર્યું નથી કે જાહેર જનતા સમક્ષ દૂધ, ઘી, ગાયનો હિસાબ આપ્યો નથી. જમીન એનડીડીબી – અમૂલને આપી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

1588 એકર જમીન ક્યાં ગઈ?

બીડજ અને ધર્મપુરા માટે રૂ. 1,34,093 ખર્ચ કરીને 782 એકર જમીન ખરીદ કરી હતી. સાબરમતી, બીડજ, સુએજ ફાર્મ માટે મળીને 803 એકર જમીન ખરીદ કરવામાં આવી હતી. આમ આ બન્ને જમીન થઈને કુલ 1,588 એકર જમીન હતી. જેમાં 700 એકર જમીન પર ગાયો માટે ઘાસ, અનાજ, કપાસ ઉગાડવામાં આવતા હતા. 350 એકર જમીન પર ખેડૂતોની પાસે હતી. બાકીની 638 એકર જમીન ગાયના ચારા માટે મકાન, રસ્તા માટે હતી. આમ હાલ સાબરમતી ગૌશાળા પાસે કેટલી જમીન છે તે ક્યારેય જાહેર કરાયું નથી. સૂત્રો કહે છે કે આ જમીનમાંથી મોટાભાગની જમીન હવે રહી નથી.

346 એકર જમીન પચાવી પાડી

ગૌશાળાની માલિકીની 346-29 એકર જમીન બીનઅધિકૃત કબજો કોઈકે લઈ લીધો છે. જે ગણોતીયા પાસે છે. ખેડે તેની જમીન કાયદો આવ્યા પછી બીજા લોકોએ કબજો લઈ લીધો છે. તે જમીન સાબરમતી ગૌશાળા પાસેથી જતી રહી છે. આ જમીનો ચરિયાણ હતી. તેથી તેને ખેડવા માટે ખેડૂતોને દર વર્ષે આપવામાં આવતી હતી. આ ખેડૂતોએ હવે કબજો જમાવી લીધો છે. તે અંગે કાયદેસર કાર્યવાહી કરી હતી. જેના કેસ ચાલુ છે.

સરકારે જમીન લઈ લીધી                                                                              

ગૌશાળાની 158 એકર જમીન સરકારે જાહેર હેતુ માટે સંપાદિત કરી છે. એટલે કે સરકારે ગાંધીજીની ગૌશાળાની જમીન લઈ લીધી છે. કાય દાની પરિસ્થિતિ બદલાતાં સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટને બક્ષીસથી 193 એકર અને 35 ગુંઠા જમીન તબદીલ થઈ હતી. બીજો હુકમ ન થાય ત્યાં સુધી તબદીલ ન કરવા આદેશ કર્યો હતો.

જાહેર ટ્રસ્ટ અંગે ગાંધીજી શું કહેતાં હતા?

દક્ષિણ આફ્રિકામાં જાહેર જીવન શરૂ કર્યા બાદ ગાંધીજીએ કોંગ્રેસ માટે મિલકત ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમણે આ અંગે કહ્યું હતું કે, ‘કોંગ્રેસના ખજાનામાં લગભગ 5,000 પાઉન્ડ થયા. મારો લોભ એ હતો કે જો કોંગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કોંગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયા ને તે ભાડે અપાયા. તેના ભાડામાંથી કોંગ્રેસનું માસિક ખર્ચ સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે. ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમા થાય છે.’

ફંડથી નૈતિક અધોગતિ થાય છે

‘આ દુખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારું સ્થાયી ફંડ રાખવા વિશે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારું તેમ જ તેમના તંત્રને સારું જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઈ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.’ ગાંધીજીની વાત ગાંધી આશ્રમમાં સંપૂર્ણ સત્ય સાબિત થઈ છે. તેથી તેમણે આશ્રમની મિલકત સરકારને લઈ લેવા કહ્યું હતું. આશ્રમને વિખેરી નાંખવા કહ્યું હતું. પણ તેમ ન થયું. આજે પારાવાર ગેરવહીવટ બહાર આવ્યો છે.

લોકોના ફાળાના પૈસે સંસ્થા ચાલવી જોઈએ

મહાત્મા આગળ લખે છે કે, ‘જાહેર સંસ્થા એટલે લોકોની મંજૂરીને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલકત ઉપર નભતી સંસ્થા લોકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે ને કેટલીક વેળા તો ઊલટા આચરણ પણ કરે છે. આવો અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબકિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલિક થઈ પડ્યા છે ને કોઈને જવાબદાર હોય તેમ નથી. જેમ કુદરત પોતે રોજનું પેદા કરી રોજનું જમે છે તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ, એ વિશે મને શંકા જ નથી. જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતાની અને તેના સંચાલકોની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસોટી ઉપર ચડવું જોઈએ એવો મારો અભિપ્રાય છે.’ ગાંધીયનો પાસે જરા પણ ગાંધીજી માટે લાગણી હોય તો તેમણે ગાંધીજીના આ બોધનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. પણ તેમ કરવાના બદલે સંપતિનું સર્જન કરી રહ્યાં છે. તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જરા પણ નથી. ગાંધીજીએ સ્પષ્ટતા કરતાં આગળ લખ્યું છે કે, ‘આ લખાણની ગેરમસજ ન થાઓ. ઉપરની ટીકા એવી સંસ્થાઓને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓનાં ચાલુ ખરચોનો આધાર લોકો પાસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઈએ.

ગાંધીજી લાખો રૂપિયા એકઠા કરતાં હતા

ગાંધીજી જાહેર લડત ચલાવવા માટે લાખો રૂપિયા એકઠા કરતાં હતા. છતાં તેમના પર ક્યારેય તેનો ડાઘ લાગ્યો નથી. પોતાનો પ્રયોગ વર્ણવતાં ગાંધી કહે છે કે, ‘આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. પણ હવે પછી આપવાની બિનાઓનો ઉલ્લેખ હું અહીં ન કરું. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.

ગાંધી સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ

ગાંધીજીની સંસ્થાઓને હવે તાળા મારી દેવાનો સમય આવી ગયો છે. ગાંધીજીએ સ્થાપેલી એક પણ સંસ્થા તેમના વિચારો પ્રમાણે હવે ચાલતી નથી. તેમના વિચારો હવે વેપારમાં બદલાઈ ગયા છે. ભલે પછી તે ગૌશાળા હોય, ચરખો હોય, પુસ્તકો હોય કે ખાદી હોય. તમામ સ્થળે ગાંધી વિચારની ક્રાંતિ નહીં પણ ગાંધીજીના નામે વેપાર કરવામાં આવી રહ્યો છે. બહુ થોડા લોકો એવા બચ્યા છે કે જે ગાંધીજીના વિચારો પ્રમાણે વર્તી રહ્યાં છે. તેમના જન્મને 150 વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ફરીથી ગાંધીયન સંસ્થાઓએ વિચાર કરવો પડશે.[:]