અમદાવાદ,ગુરૂવાર
નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક રૂા. 2 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને માટે ભરવાના થતાં ફોર્મ 9-સીમાં કંપનીનું ઓડિટ કરનાર ઓડિટર પાસે જ કંપનીને દંડ કરવો જોઈએ કે નહિ કે કંપનીએ કંઈ ખોટું કર્યું છે કે નહિ તે વિગતો માગવામાં આવી છે. તેથી પણ 9સી ભરવામાં ઘણાં ખચકાઈ રહ્યાછે. સો ટકા સાચું રિટર્ન કોઈ જ ફાઈલ કરી શકતા નથી. તેવા સંજોગોમાં ઓડિટરના નામ, મેમ્બરશીપ નંબર, ઓફિસના સરનામા સાથે આ વિગતો માગવામાં આવી રહી છે.
ઓડિટર તેના ક્લાયન્ટને પેનલ્ટી અને સજા કરો તેવી ભલામણ કરે તે પછી કોઈ કંપની કે વેપારી તેની પાસે ફરીવાર ઓડિટ કરાવવા કે રિટર્ન ફાઈલ કરાવવા આવે જ નહિ તેવી માગણી જીએસટીના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. આ અપેક્ષા અર્થહીન અને પરિણામ ન આપે તેવી છે. ફોર્મમાં આ પ્રકારની વિગતો ભરવામાં આવે તો કોઈ વેપારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટને ઓડિટ માટે હાયર કરવાનું પસંદ જ કરશે નહિ.
ફોર્મ 9-સીમાં વેપારી પાસેથી લેટ ફી કેટલી વસૂલવાની થાય છે તથા વેપારી પાસે કેટલી પેનલ્ટી વસૂલવાની થાય છે તેની વિગતો જણાવવા ઓડિટરને ફરજ પાડવામાં આવી રહી છે. જીએસટીઆર-9માં હોય અને જીએસટીઆર-9સીમાં ન દર્શાવવામાં આવી હોય તેવી વિગતો દર્શાવવા ઓડિટરને જણાવવામાં આવ્યું છે, એમ દેશના ટોચના દસ જીએસટી પ્રેક્ટિશનર્સમાંના એક હેમ છાજેડનું કહેવું છે.
આ જ રીતે વેપારીને ભૂલમાં રિફંડ મળી ગયું હોય તો તે અંગે ડિપાર્ટમેન્ટને જાણ કરતી માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ ઓડિટરને માથે નાખવામાં આવી છે. આ જ રીતે વેપારી પાસે સરકારે અન્ય કોઈ બાકી લેણા નીકળવાના થતાં હોય તો તેની વિગતો પણ ઓડિટરે પૂરી પાડવી તેવો આગ્રહ ફોર્મ 9-સીના માધ્યમથી રાખવામાં આવી રહી છે. અત્યારે ઓડિટર પાસે તેના નામ, મેમ્બરશીપ નંબર અને અન્ય વિગતો સાથે આ માહિતી માગવામાં આવી રહી છે. ભવિષ્યમાં તેમાં કોઈ ગરબડ પકડાય તો તેવા સંજોગોમાં ઓડિટરને તે માટે જવાબદાર ઠેરવવાની કવાયત પણ સરકારી તંત્ર કરી શકે છે તેવી દહેશત પણ 9-સી ફાઈલ કરવામાં આનાકાની કરવાની ફરજ પાડી રહી છે
જીએસટીઆર 9-સી એ વાર્ષિક ઓડિટનું ફોર્મ છે. રૂા. 2 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે દર વર્ષે આ ઓડિટ ફોર્મ ભરવું ફરજિયાત છે. તેમાં જે તે નાણાંકીય વર્ષમાં જમા કરાવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને ટેક્સ ક્રેડિટ રૂપે લેવાની થતી રકમનું મેળવણું તથા ખરીદી અને વેચાણના બિલનું મેળવણું કરીને તમામ વિગતો મૂકવાની થાય છે. નાણાંકીય વર્ષ પૂરુ થયાના પછીના વર્ષની 31મી ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી દેવાનું હોય છે. તેમાં જમા કરાવેલા ટેક્સ અને લેવાની થતી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું બિલ ટુ બિલમેળવણું થવું જરૂરી છે. સી.એ. અને કોસ્ટ એકાઉન્ટન્ટ માટે તે સર્ટિફાય કરાવવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. વેપારીના રિટર્નમાંની અનિયમિતતાઓ, અદા કરવાની રહી જતી જવાબદારીઓની વિગતોને સર્ટિફાય કરવાનું કોસ્ટ એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફરજ પાડવામાં આવી છે. આ વેપારીના રિટર્નમાં રહી જતી અનિયમિતતાનો નિર્દેશ પણ તેણે ડિપાર્ટમેન્ટને આપવાનો રહેશે. જીએસટીના ઓડિટર માટે આ રિટર્ન પર ડિજિટલ સિગ્નેચર કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.