જુની એસટી બસો ખરીદવાનું ગુજરાત સરકારનું કૌભાંડ

એસ ટી બસોને ભાડે લેવાના કરાર વર્ષ-2018માં કરવામાં આવેલો જેમાં એક વર્ષ જુની બસો એસ.ટી.નિગમ માટે આપવાની રહેશે તેમ છતાં, બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી છે.

કરોડો રૂપિયાની ભાડાની રકમ એસ.ટી.નિગમ ખાનગી વાહન માલિકોને ચુકવે છે. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્ષની ચોરી કરવા માટે એસ.ટી.ના મોટા અધિકારીઓજ વ્યવસ્થા કરી આપીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્ષ કે અન્ય જે કોઈ ટેક્ષ ભરવાનો હોઈ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલિકની છે. તેમ છતાં, તે બસોને અમદાવાદ વ્હીકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ. માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજુરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે. જે ખાનગી બસના માલિકોએ એસ.ટી.નિગમને બસો ભાડે આપે છે તે જ બસોના માલિકોએ અમદાવાદની એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ.માં બસો ભાડે આપેલી છે. જે બસોનું પાસીંગ અમદાવાદમાં કરાવેલું છે. મોટા ભાગના ખાનગી બસોના માલિકો ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર છે. એસ.ટી.નિગમનું ખાનગીકરણ કરવા માટે વર્ષોથી સત્તાધીશો ભાડેથી લીધેલી ખાનગી બસોના કરારની નકલો જાહેર કરતા નથી.

એસ.ટી.નિગમને જંગી ખોટના ખાડામાં ધકેલી દેનાર ભાજપ સરકારના ભ્રષ્ટાચારી નીતિ છે.
એસ.ટી.નિગમે ખાનગી બસો ભાડેથી લેવા માટેના કરેલા કરારોમાં કરારની મુદ્દત ટેન્ડર વખતે ચાર વર્ષની હતી તો પાછળથી છ વર્ષનો કરાર કોના આદેશથી થયો ? ક્યા ખાનગી બસ ચાલકોને ફાયદો કરાવવા માટે ટેન્ડરોની શરતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ? એસ.ટી.નિગમની બસો આઠ લાખ કીલોમીટરમાં ભંગારમાં મોકલવાની તો પછી ભાડાની બસો પંદર લાખ કિલોમીટર સુધી કેમ ફેરવવાની ? એક બસની ઈ.એમ.ડી. રૂ.પાંચ લાખથી ઘટાડીને ખાનગી ઓપરેટરને ફાયદો કરાવવા રૂ.એક લાખ કોના આદેશથી થઇ ? બેંક ગેરંટી બે-બે વર્ષની કેમ મેળવી? જ્યારે કરાર છ વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ છે તો બેંક ગેરંટી સાત વર્ષની મેળવવામાં આવી નથી ? નિગમની બસો દૈનિક 500થી ઓછા કી.મી. ફેરવવામાં આવે છે જયારે ભાડાની બસો 500 થી વધુ કી.મી. ફેરવવામાં આવે જેથી ખાનગી બસ માલિકોને ભાડાની વધુ રકમ ચૂકવી શકાય. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે 5000 જેટલા એસ.ટી.ના રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની જાહેર પરિવહન વ્યવસ્થા છીનવી લેવામાં આવી રહી છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.