અમદાવાદમાં અગાઉ ગયા બે મહિના દરમિયાન સતત ઠલવાઈ ચુકેલા હિમાચલ પ્રદેશના સફરજનો બાદ હવે કાશ્મીરના સફરજનોનો જથ્થો શરુ થઇ ગયો છે. રોજ કાશ્મીરથી સફરજનોની લગભગ ૨૫થી ૩૦ જેટલી ટ્રકો અમદાવાદમાં ઠલવાઈ રહી છે. વર્ષે સરેરાશ 2.50 કિલો સફરજન અમદાવાદના લોકો ખાય છે.
એક ટ્રકમાં લગભગ ૧૫ ટન જેટલો જથ્થો ગણતા પ્રતિ દિન સાડા ચાર લાખ કિલોનો જથ્થો અમદાવાદમાં ઠલવાઈ રહ્યો છે. જેની સરેરાશ રૂ. ૧૦૦ પ્રતિ કિલો ગ્રામ કિંમત ગણતા ચાર કરોડના સફરજન ગુજરાતીઓની આહારની ક્ષુધાને સંતોષે છે.
અગાઉ કાશ્મીરથી પ્રતિ દિન સફરજનનો જથ્થો લઈને લગભગ ૧૫ થી ૧૭ જેટલી ટ્રકો આવતી હતી. પરંતુ હવે તેની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. આગામી ફેબ્રુઆરી મહિનાના અંત સુધી કાશ્મીરના આ સફરજનના જથ્થાની આવકો ચાલુ રહેશે.
હાલને તબક્કે સફરજનનો હોલસેલ ભાવ રૂ. ૧૧૦૦ જેટલો પર પેટીનો ચાલી રહ્યો છે. એક પેટીમાં લગભગ ૧૬ થી ૧૭ કિલો જેટલા સફરજન આવતા હોય છે. તે જોતા સરેરાશ ૬૫ થી ૭૦ રૂ. જથ્થાબંધ ભાવે અમદાવાદ આવતા સફરજન બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૭૦ થી ૧૦૦ ની આસપાસ તેની ગુણવત્તા પ્રમાણે વેચતા હોય છે.
સફરજન ઉપરાંત હાલને તબક્કે મોટા પ્રમાણમાં શહેરમાં સ્ટ્રોબેરીની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે. સ્ટ્રોબેરી મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર અને પંચગીનીથી આવી રહી છે. તે સીધી પેકીંગમાં જ આવે છે અને બે કિલોગ્રામનું પેકીગ અઢીસો અઢીસો ગ્રામના આઠ પેકીંગમાં લગભગ રૂ. ૩૦૦ આસપાસ વેચાણ થતી રહે છે. આ ઉપરાંત અત્યારે ફ્રુટ માર્કેટમાં સંતરા અને મોસંબીની પણ ભરપૂર આવકો થઇ રહી છે.