અમિત ઠાકર કેમ દાહોદને શાંત કરી શકતા નથી.

સરકારે જાહેર કરેલું કહેવાતું દાહોદ શહેર 8 મહિનાથી રાજકીય રીતે ભડકે વળી રહ્યું છે. દાહોદના પ્રભારી અમિત ઠાકર છે. જેઓ પ્રદેશ ભાજપના નેતા છે. તેઓ સતત અન્યાયનો ભોગ બનતાં આવેલા હોવાથી તેમની જવાબદારી છે એવા દાહોદ ભાજપમાં અન્યાય સામે બળવો થયો છે. તેથી અમિત ઠાકરનો જવાબ માંગવામાં આવી રહ્યો છે. દાહોદ નગર પાલિકાની સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં ભાજપમાં ફરી એક વખત ભડકો થયો છે. જે અધ્યક્ષોની નિમણૂંક થઈ તે તમામ રાજીનામાં આપી ચૂક્યા છે. જે સમગ્ર મામલો હવે ગાંધીનગર ભાજપ સમક્ષ લાવવામાં આવ્યો છે. નારાજ ઉપપ્રમુખ પોતાનો હોદ્દાનો ત્યાગ કરીને મનમાની કરતાં મોવડીઓ સામે પડકાર ફેંક્યો છે. દાહોદમાં ભ્રષ્ટાચારના મુદ્દે વિવાદો ફરી ઊભા થયા છે. દાહોદને સ્માર્ટ સિટી જાહેર કર્યું છે. લોકોના પ્રશ્નો પારાવાર છે. તે ઉકેવાના બદલે રાજકીય અને ભ્રષ્ટાચારની ગોઠવણી પાર પાડવા માટે ખેલ ખેલવામાં આવી રહ્યાં છે. અહીંના ભાજપના પ્રભારી, ધારાસભ્ય અને સંસદ સભ્ય એક હથ્થું સત્તા ભોગવતાં હોવાથી ચૂંટાયેલા સભ્યો બળવો કરી રહ્યાં છે. ભાજપના સ્થાનિક કાર્યકરો અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને પણ ગણકારતાં ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
અન્યાય સામે રણશીંગુ
દાહોદ પાલિકાના ભાજપના દંડક અરવિંદ ચોપડાને ફરીથી દંડક બનાવતાં તેમણે નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. તેમણે પક્ષને પોતાનો વિરોધ જણાવી દીધો છે, જેમાં કહ્યું હતું કે તેઓ દંડક તરીકે કામગીરી કરવા માગતા નથી. જે અધ્યક્ષને લાયક નથી તેવાઓને હોદ્દા આપી દેવાયા છે. વરિષ્ઠ કાર્યકરોની અવગણના થઈ રહી છે. આરોગ્ય સમિતિના અધ્યક્ષ કુણાલ બામણીયા અને દુકાન સમિતિના અધ્યક્ષ પ્રિતી સોલંકીએ પણ પોતાની નિયુક્તિ સામે રાજીનામા આપી દીધા હતા. લીગલ સમતિના અધ્યક્ષ અને ભાજપના જાણીતા નેતા સલમા આંબાવાલ પણ રાજીનામું આરી દીધું છે. ઉપરાંત પ્રિતી સોલંકીના પતિ અને ભાજપ શહેર ઉપપ્રમુખ સત્યેન્દ્ર સોલંકીએ રાજીનામું આપી દીધું છે. તેમણે ભાજપના નેતાઓને કહી દીધું છે કે, મહેનત કરે છે એવા કાર્યકરોની કદર ભાજપ કરતો નથી. કુલાણ બામણીયાએ પક્ષ સમક્ષ એવી લાગણી વ્યક્ત કરી છે કે, પક્ષને વફાદાર રહેવું જોઈએ પણ તેઓ સૌથી વરિષ્ઠ હોવા છતાં ફરીથી તેમની અવગણના કરવામાં આવી છે. અવગણના સહન કરવી તે પણ એક હદ સુધી હોય છે. તે હદ પાર થઈ ગઈ છે.
પત્રકારોને દૂર રખાયા પણ ભાજપના બળવાખોરોએ વિગતો જાહેર કરી
ભાજપની અંદરની લડાઈ બહાર ન આવે એ માટે દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં કાયદા મૂજબ પ્રજા અને પત્રકારો હાજર રહી શકે છે. તેમ છતાં પત્રકારોને સભાની કાર્યવાહીથી દૂર રખાયા હતા અને ભાજપની અંદરની વિગતો બહાર ન આવે તે માટે તમામ પ્રયાસો ભાજપના નેતાઓએ કર્યા હતા પણ ભાજપના નેતાઓએ જેમને અન્યાય કર્યો હતો એવા નેતાઓએ સામેથી પત્રકારોને તમામ વિગતો જણાવી હતી અને ગાંધીનગર સુધી આ વાત તેમણે મોકલી હતી.

8 જૂનનો બદલો લેવાયો
8 જુન 2018માં દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા હતા. જેનો બદલો 30 જૂલાઈએ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 8 જુન 2018માં વિવાદોની વચ્ચે ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર અભિષેક મેડા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંત દેસાઈને 21 મત મળતાં વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 13 મત મળ્યા હતા. ભાજપના પ્રમુખ પદ માટે જેવું અભિષેક મેડાનું નામ જાહેર થયું તેની સાથે જ કૃણાલ બામણીયાએ બોર્ડની બેઠકનો સભાત્યાગ કર્યો હતો. આમ ત્યારે પણ કૃણાલ બામણીયા અભિષેક મેડાના વિરોધમાં હતા. આજે પણ એટલોજ વિરોધ કરી રહ્યાં છે. કૃણાલ બામણીયાની માગણી હતી કે તેમને પ્રમુખ બનાવવામાં આવે કારણ કે તે સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવે છે. પક્ષના વરિષ્ઠ સભ્ય પણ છે. તેમણે પક્ષને અને અમિત ઠાકરને વારંવાર કહ્યું હતું કે, પક્ષ માટે સતત કામ કરનારને પ્રમુખની જવાબદારી સોંપવી જોઈએ. પણ ભાજપના સ્થાનિક અને રાજ્યકક્ષાના નેતા અમિત ઠાકરે તેમની વાત ન માની. તેથી તેમણે વોકઆઉટ કર્યો હતો. કૃણાલ બામણીયા ભાજપમાં ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેમણે ક્યારેય કોઈ પદની માગણી કરી નથી. પહેલી વખત તેમણે માગણી કરી હતી. તેથી તેમને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવી જોઈતી હતી. પણ પક્ષે તેમ કર્યું નથી. આટલા વર્ષો પછી પણ પક્ષે તેમની કદર કરી નથી. પ્રમુખ તરીકે કામ કરવાની તક મળે એવી તેમની ઇચ્છા હતી. પણ તેમ થયું નથી. આમ અન્યાનો સીલસીલો જૂલાઈ 2018માં પણ ચાલુ છે. સમગ્ર મામલો હવે ગુજરાતના પ્રદેશ નેતાઓ સમક્ષ જઈ ચૂક્યો છે.

8 જૂને ભાજપના વરિષ્ઠ કાઉન્સીલર બાદ ભાજપના બીજા એક સભ્ય અરવિંદ ચોપડા પણ સભા છોડી ગયા હતા. તેમની માગણી હતી કે તેમને મહત્ત્વનો હોદ્દો આપવામાં આવે. પક્ષ દ્વારા તેમ કરવામાં આવ્યું ન હતું. તેથી તે પણ વોક આઉટ કરીને બહાર નીકળી ગયા હતા અને પક્ષના નિર્ણય સામે ભારે વિરોધ કર્યો હતો.
2017થી ભાજપમાં ભડકો કેમ થઈ રહ્યો છે
26 નવેમ્બર 2017માં ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ત્યારે જ બધાને એવો અહેસાસ થઈ ગયો હતો કે પ્રદેશ ભાજપના ઠોકી બેસાડેલા નેતઓ દાહોદમાં ઊંધુંચતુ કરી રહ્યાં છે. બાબુ કટારા દાહોદના પૂર્વ ધારાસભ્ય પણ છે. તેઓ કોંગ્રેસના સહપ્રભારી જીતુ પટવારીની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. જેને લઈને દાહોદ ભાજપમાં ભંગાણ પડ્યું છે. દાહોદમાં રાહુલ ગાંધી સાથે તેમણે બેઠક કરીને આદિવાસીઓની સમસ્યા જણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપની આદિવાસી નીતિના કારણે અસંતોષ છે. આદિવાસી સમાજને થયેલા અન્યાયને કારણે તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. બાબુ કટારા સામે ભૂતકાળમાં કબૂતરબાજીના ગુન્હામાં સંડોવાયા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં અન્યાય આજે એજ સ્થિતી
20 નવેમ્બર 2017ના દિવસે દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાંચ ઉમેદવારો જાહેર કરી દીધા, ત્યારે દાહોદ અને ગરબાડા બેઠકના ઉમેદવારો સામે વિરોધ ઊભો થયો હતો. દાહોદમાં વિરોધ પ્રર્દિશત કરવા મૌન રેલીનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરની ગૃહ બેઠક લીમખેડા પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી રખાયું હતું. કારણ કે ત્યારે તે બેઠક પર વિખવાદો હતા. બીજી તરફ ભાજપે જેવા ઉમેદવારો જાહેર કર્યા તેની સાથે જ ઝાલોદ અને ફતેપુરા બેઠક પર ઉમેદવારો સામે વિરોધ ઊભો થયો હતો અને ઝાલોદ વિસ્તારમાં માજી સાંસદ સહિત 30 જેટલા ભાજપના કાર્યકરોએ રાજીનામા ધરી દઇને ભાજપના પ્રદેશ કાર્યાલયે મોરચો પહોંચ્યો હતો. આમ તેની સીધી અસર જૂલાઈમાં પણ જોવા મળી રહી છે.
બધા સામે વિરોધ
દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમદેવારોને પસંદ કર્યા છે, તેમાંથી એક પણ ઉમેદવાર સક્ષમ નથી. આદિવાસી સમાજ માટે લડે, સ્વચ્છ છબી ધરાવતાં હોય અને કોઇ ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ન હોય તેવા ઉમેદવારો આપવા ફેરવિચારણા કરવી જરૃરી છે તેવો સૂર ભાજપના કાર્યકરોએ ભાજપ સામે કાઢેલી રેલીમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ જૂલાઈમાં જે કંઈ રાજીનામાં પડી રહ્યા છે તેમાં ગઈ વિધાનસભાની ચૂંટણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે શરૂ થયેલા વિખવાદો ઠારવામાં તે સમયના દાહોદના પ્રભારી અમિત ઠાકર નિષ્ફળ રહ્યાં હતા. જેના પરીણામો જૂલાઈમાં પણ દેખાઈ રહ્યાં છે.
કોંગ્રેસને ભાજપનો રંગ
દાહોદ જિલ્લા પંચાયત ભાજપ હારી ગયો હતો. લોકસભાની ચૂંટણી વખતે ભાજપના પ્રદેશ પ્રભારીની કેટલીક ભૂલોના કારણે આમ થયું હતું. જો કે કોંગ્રેસ ભલે જીતી હોય પણ કોંગ્રેસના જિલ્લા પંચાયતના 9 સભ્યોએ પક્ષમાં બળવો કરીને કોંગ્રેસથી અલગ થઈને દાહોદ વિકાસ મંડળ નામનો અલગ પક્ષ રચીને સત્તા બનાવી છે. 2015માં જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપે પ્રયાસો કર્યા પણ તે પ્રદેશ નેતાઓના કારણ સફળ થઈ શક્યા ન હતા. કોંગ્રેસના 26 અને ભાજપના 24 સભ્યો ચૂંટાયા હતા. અઢી વર્ષ સુધી કોંગ્રેસની સત્તા રહી હતી. હવે કોંગ્રેસના 9 સભ્યોને ફોડીને ભાજપે તેને ટેકો જાહેર કર્યો છે.
ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે કામ કર્યું હતું. હવે ભાજપ પોતે રાજકીય આગમાં સળગી રહ્યો છે. ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ પાસે જતી રહી છે. આમ ભાજપના પ્રદેશ નેતાઓ દાહોદ જિલ્લાને સાચવી શક્યા નથી.