એક જહાજ શરૂ કરી શક્યા નહીં, ત્યાં 8નું વચન રૂપાણીએ આપી દીધું, સ્વપ્ન બતાવો રાજ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વારંવાર નિષ્ફળ જઈ રહ્યાં છે. ઘોઘા અને દહેજ વચ્ચે મુસાફરો માટે જહાજ સેવા શરૂ કરવાની હતી પણ ગુજરાત ભાજપની સરકાર તેમાં સદંતર નિષ્ફળ ગઈ છે. સરકારે મોટે ઉપાડે ઘોઘા દહેજ રો-રો ફેરીનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કરી દીધું હતું. રો-રો ફેરીનું શું થયું તે જોવાની જાણે તસ્દી વિજય રૂપાણી અને તેમના પ્રધાનોએ લીધી નથી. રૂ.615 કરોડનું જંગી ખર્ચ કરાયું હોવા છતાં પ્રજાના નાણાં ભાજપ સરકારે ડૂબાડી દીધા છે. આજ સુધી જહાજ સર્વિસ શરૂ થઈ શકી નથી.

31 જુલાઈ 2018 સુધી રો-રો ફેરીની સુવિધા બંધ હતી. ચોમાસાના પ્રતિકૂળ હવામાન અને ડ્રેજીંગની કામગીરી તેમજ ઓપરેટર દ્વારા પેસેન્જર જહાજ બાદ રો-રો જહાજ લાવવાની કામગીરીના વિલંબને કારણે સર્વિસ શરૂ થઈ શકી નહોતી. હવે નવરાત્રીએ ફરીથી શરૂ કરવાનું સરકાર કહે છે. ઘોઘા દહેજ રો-રો ફેરીનો વીમો મળી જાય પછી ચાલુ થઈ જશે અને રૂ.615 કરોડની પ્રોજેક્ટ ખર્ચ હતો તે વિલંબ થતાં એસ્સાર કંપનીને રૂ.44 કરોડની પેલન્ટી કરવામાં આવી છે. ફેરી ચાલુ થયા બાદ દંડની રકમ નક્કી કરવામાં આવશે. રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ દિવસમાં માત્ર ત્રણ ફેરા જ કરશે.

ફરી એક વખત ભાજપ સરકારે સપનાનું વાવેતર કર્યું છે. આવનારા દિવસોમાં રાજ્યમાં સાતથી આઠ સ્થળે આવી ફેરી સર્વિસ ચાલુ કરવાનું સપનું પણ બતાવી દીધું. 22 વર્ષમાં એક ફેરી સર્વિસ ચાલુ કરી શક્યા નથી ત્યાં બીજા ધોળા દિવસે તારા બતાવવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ બાદ પીપાવાવ-કચ્છ-ભાવનગર અને જામનગરથી મુંબઈ સુધી જહાજો દોડતાં થશે.