એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં 4 જૂન 2018થી અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ માવજી દેસાઈ ફરીથી ચૂંટાયા બાદ ડેરીની પડતી થઈ રહી છે. તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેથી તેઓ પોતાનું મહત્વ ટકાવી રાખવા માટે ડેરીનો ઉપયોગ કરી રહ્યાં છે. 2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત્તાનું જ અસ્તિત્વ હતું.
બનાસ ડેરીમાં 3 લાખ ગરીબ પશુપાલકો દૂધ ભરાવે છે. ડેરીમાં રોજની 50 લાખ લીટર દૂધની આવક થાય છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.10 હજાર કરોડ છે. તેથી બનાસ ડેરી માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે. પાલનપુરમાં 3 મોટા મોટા પ્લાનટ આવેલા છે.
27 ડિસેમ્બર 2018માં વાવ-સુઇગામ – રાધનપુર -સાંતલપુર તાલુકાની દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ સાથે ચિંતન શિબિર કરીને શંકર ચૌધરીએ કહી દીધું કે દૂધનો ભાવ ઘટ્યો છે તે નહીં વધે. પશુપાલકોને એવું કહ્યું કે તમારી ભેંસ દૂધ આપે તેના ભાવ એટલા માટે નથી મળતાં કારણ કે દુનિયાના દેશોમાં દૂધ વેચાતું નથી. દૂધના વ્યસાયમાં વૈશ્વિક મંદીનો સમય છે. આવનારો સમય ડેરી ઉદ્યોગ માટે સારો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે દૂધના પાવડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. તેથી બનાસ ડેરીએ કર્યો છે. ડેરી ઉદ્યોગને નુક્શાન ના જાય માટે ગુજરાત સરકારે રૂ.50ની સબસિડી એક કિલો પાવડરે કરી છે. ગુજરાતમાં રૂ.300 કરોડ આ રીતે સરકાર આપશે.
2015સુધીના પાંચ વર્ષમાં અમૂલ ફેડરેશને 159 ટકાની વૃદ્ધિ કરી હતી. 2014-15ના વર્ષમાં ફેડરેશનનો કારોબાર 14.3 ટકાની વૃદ્ધિ સાથે રૃ.20,733 કરોડે પહોંચ્યો હતો. જે 2013-14માં રૂ.18,143 કરોડ હતો. આમ શંકર ચૌધરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. 31 ડીસેમ્બર, 2017ના રોજ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 50 પૈસા જેટલો ઘટાડો કર્યો હતો. પશુપાલકોને આર્થિક ખોટ ભોગવવાનો વારો આવ્યો હતો.
રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં બનાસના પ્લાન્ટ છે તેની ખોટ પણ બનાસકાંઠાના લોકોએ ભરપાઈ કરવી પડે છે. ઉત્તરપ્રદેશમાં કાનપુર અને લખનૌમાં 5 લાખ લીટર દૂધ પ્રોસેસ ક્ષમતાના ડેરી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. નવો યુએચટી પ્લાન્ટ, વ્હે-પાવડર પ્લાન્ટ, ચીઝ પ્લાન્ટ, ફરીદાબાદ ડેરી પ્લાન્ટ પણ શરૂ કર્યા છે. ખેડૂતોના બેંક ખાતામાં દર મહિને રૂ.500 કરોડ જમા થતાં હતા તેમાં વધારામાં ઘટાડો થઈ રહ્યો છે.
પશુપાલકોનો નફો વધ્યો પણ ખર્ચ તેનાથી વધી ગયું
2009-10માં પશુપાલકોની આવક પ્રતિ કિલો ફેટ રૂ.337 હતી જે 7 વર્ષમાં વધીને 2016-17માં રૂ.680 થઇ હતી. પણ પશુ માટેનું ખર્ચ અઢી ગણું વધી ગયું હતું. 2017-18માં આ આવક ઘટી રહી છે. ભારત એ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વમા ભારતનું દૂધમાં યોગદાન 18.5 ટકા રહ્યું છે. દૂધ ઉત્પાદનનો વૃદ્ધિદર વિશ્વના 3.1 ટકાની સામે ભારતનો 6.26 ટકા છે, જ્યારે ગુજરાતની બનાસ ડેરીનો વિકાસ દર 6.09 ટકા હતો. હવે તે પણ ઘટી રહ્યો છે. કારણ કે પશુપાલકોના ભાવમાં જંગી ઘટાડો કર્યો છે. હવે દૈનિક 51.75 લાખ કિલોગ્રામ દૂધ ઉત્પાદન થાય છે. દૂધ ઉત્પાદકોને ફેટ, જથ્થો અને કિંમત મોબાઇલ ફોનમાં સંદેશાથી આપાવામાં આવે છે. તેના પરથી પશુપાલકો જાણી ગયા છે કે અગાઉ જે ભાવ મળતાં હતા તે હવે મળતા નથી. સંઘ દ્વારા 2016-17માં દૂધ ઉત્પાદકોને દૂધ ખરીદી પેટે રૂ.5381 કરોડ અપાયા હતા. બનાસ ડેરી હાલ 1.8 લાખ જેટલા શેરધારકો ધરાવે છે જે 1200 જેટલા ગામોમાં દૂધ એકઠું થાય છે.
નુકસાન છતાં ભાવ વધારો આપ્યો હતો
બનાસકાંઠામાં ભારે નુકસાન બાદ બનાસડેરી દ્વારા પશુપાલકોનાં હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસડેરીએ ગાય અને ભેંસના દૂધમાં ફેટ દીઠ રૂ.20 રૂપિયાનો વધારો 2 ઓગસ્ટ 2017માં કર્યો હતો. કારણ કે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી શંકર ચૌધરી જીતવા માંગતા હતા. હવે કોઈ ચૂંટણી ન હોવાથી તેઓએ પશુપાલકોના દૂધના ભાવમાં જંગી ઘટાડો કર્યો છે.
ડેરીમાં તોડફોડ
બનાસડેરીમાં કસ્ટોડિયનની નિમણુંકથી પશુપાલકોએ 23 સપ્ટેમ્બર 2015માં હલ્લાબોલ કરીને તોડફોડ કરી હતી. બનાસ ડેરી બચાવો હિતરક્ષક સમિતિ અને ભાજપના જૂથ સામે આવી જતાં પશુપાલકો વિફર્યા હતા. શંકર ચૌધરીની ખટપટના કારણે 14માંથી 8 ડિરેકટરોએ રાજીનામાં આપી દીધા હતા. પછી વહીવટદાર નિયુક્ત કરી દેવાયા હતા. તેથી જીલ્લાના હજારો પશુપાલકો સવારથી જ ડેરીની સામે વિરોધ કરી રહ્યાં હતા. પણ શંકર ચૌધરી કોઈ પણ ભોગે ડેરી પર કબજો મેળવવા માંગતાં હતા.
ડિરેક્ટરને માર માર્યો
કસ્ટોડીયનનો ચાર્જ લેવા એસ.બી.ચૌહાણ પહોંચતાં અને ડિરેકટર અણદાભાઈ પટેલ અને તેમના સમર્થક ડેરીના દરવાજામાં પ્રવેશવા જતાં જ પશુપાલકોએ કચેરીના કાચ ફોડી, ખુરશીઓ ઉછાળી રોષ વ્યક્ત કર્યો હતો. રજીસ્ટાર ચૌહાણ તેમજ કાંકરેજના ડિરેકટર અણદાભાઈ અને ઉણના લક્ષ્મણભાઈ આ ત્રણેય જણાને પશુપાલનોએ મૂઢ મારનો ભોગ બન્યા હતા.
પરથી ભટોળને ખતમ કરવા કાવતરું
બનાસ ડેરીમાં 2015માં અધ્યક્ષ તરીકે પરથીભાઈ ભટોળ હતા. તેમને ઊથલાવવા માટે આ કાવતરાં કરાયા હતા. તેથી પરથી ભટોળે ખેડૂતોની હિતરક્ષક સમિતિ બનાવી હતી. ડેરીમાં પોતાની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં ચૂંટણી કરવા માંગતા હતા. જ્યારે ભટોળને ખતમ કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની આગેવાનીમાં બનાસ ડેરી બચાવો સમિતિ બનાવી હતી. જો ચૂંટણી થાય તો ભટોળ ચૂંટાય તેમ હતા. પણ શંકર ચૌધરી ડેરી પર કબજો લેવા માંગતા હતા. તેથી સરકારના અધિકારી વહીવટદાર તરીકે મૂકી દીધા હતા. તેથી ખેડૂતો અને માલધારીઓ શંકર ચૌધરી સામે પહેલાંથી હતા. પણ કાવાદાવા કરીને તેઓ અધ્યક્ષ બની ગયા હતા. ત્યારથી બનાસ ડેરીની પડતી શરૂ થઈ છે. હવે જંગી ખોટ કરે છે. તેથી પશુપાલકોના દૂધના ભાવમાં ઘટાડો કરી દેવામાં આવી રહ્યો છે.