જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પહેલી વખત નાની નાની બાબતો વિચારીને બુધ દીઠ એક નિરીક્ષક નિયુક્ત કર્યા છે. ગામડાના બુથથી લઇ નગર પાલીકાના વોર્ડ અને જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે પ્રભારીની નિમણુંક કરી છે. 600 જેટલાં કાર્યકરો, નેતા, ધારાસભ્યોને કામ આપીને જવાબદારી સોંપી છે. જે ભાજપ કે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કરી શક્યા નથી.
કોંગ્રેસના 35 ધારાસભ્ય અહીં કામે લાગી ગયા છે. જેને બે વોર્ડ કે બે ગામની જવાબદારી સોંપીને તેમને નાના યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 20 વર્ષથી ચૂંટાતી કોંગ્રેસ ફરી એક વખત અહીં ચૂંટણી જીતીને પક્ષપલટુ કુંવરજી બાવળીયાને પાઠ ભણાવવા કોંગ્રેસના દરેક કાર્યકર કામે લાગી ગયા છે.
મુખ્ય જવાબદારી ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીના મુખ્ય પ્રચારકની કામગીરી અમિત ચાવડા સંભાળી રહ્યાં છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તથા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ને જવાબદારી સોંપાવામાં આવી છે.