ખેડૂતોને આપવામાં આવતી સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં 10 જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી. હવે ખાનગી કંપનીઓને પાક વીમા પ્રીમિયમ પેટે કરોડો રૂપિયા કમાવી દેવા માટે પાક વીમો ફરજીયાત કરાયો છે.
કૃષિ પાક વીમા યોજનાના સરળીકરણ માટે કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં મગફળીએ ગૌણ પાક છે. ૨૦૧૫માં ૪૧ ટકા, ૨૦૧૬-૧૭માં ૫૩ ટકા અને ચાલુ ખરીફ ૨૦૧૮માં પાક પ્રીમીયમ પેટે ૫૫ ટકા જેટલો ઊંચો દર વસુલવા સરકારે કરાર કર્યો છે. પાક વીમા યોજનાનાં મોડીફીકેશનથી ખેડૂતોએ સરકારને માત્ર નાણાકીય નુકસાન જ નથી પરંતુ ગ્રામ્ય કક્ષાએ યુનિટ બનાવવાથી ગામડામાં આંતરવિગ્રહ ફાટે તેવી સ્થિતિ છે.
વિપક્ષના નેતાઓ મગફળીકાંડનાં સંદર્ભમાં કહ્યું કે ૪૦૦૦ કરોડનાં મગફળી ખરીદીના કૌભાંડની તપાસ ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વ હેઠળ વિધાનસભાની સર્વપક્ષીય સંયુક્ત સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ. કોંગ્રેસની આ માગણીનો સ્વીકાર થયો નથી પરંતુ માત્ર ચાર ગોડાઉનોમાં આગ લાગી તેના કારણોની તપાસ માટે જ તપાસ પંચ નિમાયું છે. જો કોંગ્રેસની માગણી નહીં સ્વીકારાય તો ૭૨ કલાકના ઉપવાસ આંદોલન પુનઃ શરૂ કરાશે.
હજુ મગફળીકાંડની તપાસ થઈ નથી ત્યાં મગફળી ભરવાના બારદાનનું કૌભાંડ બહાર આવ્યું છે. આવા બારદાનો બાંગ્લાદેશથી વાયા કોલકતા થઈને ગુજરાતમાં આવ્યા હતા. ખરીદી અને આગ લગાવેલા બારદાનનાં ભાવ વચ્ચે રૂ. ૨૬નો ફેર હોવાથી માત્ર બારદાનમાં જ રૂ. ૫૦ કરોડનું કૌભાંડ આચરાયું છે. તમામ બાબતોની તપાસ થવી જોઈએ.