કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકારીને તેમણે કહેવી વાતોથી કોંગ્રેસમાં તેમનો ભારે વિરોધ થયો છે અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ સમક્ષ રજૂઆતો પણ દિવસ દરમિયાન થઈ છે. તેમણે ઉચ્ચારેલા શબ્દો અંગે ભારે ઉહાપોહ થયો છે. શું કહ્યું તેમણે ?
તેમના વિવાદાસ્પદ ઉચ્ચારો આ છે –
ગાંધીનગર ઉત્તરની વિધાનસભાની બેઠકમાં ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ વિરોધમાં કામ કર્યું હતું. કોંગ્રેસના હામીઓ બતાવે છે તેમણે ખૂલ્લેઆમ વિરોધમાં કામ કર્યું હતું. ઘણી ઠાકોરની બેઠકો પર આ રીતે વિરોધમાં કામ કર્યું છે. તેથી હારી ગયા. કોંગ્રેસના 40 વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા હતા તેમાં 15 તો હારી ગયા છે. તેના માટે અમે જવાબદાર તો નથી.
રાહુલ વારંવાર ગુજરાત આવતાં હતા તેથી કોંગ્રેસે આટલી બેઠકો મેળવી છે. કોઈ એવું કહેતું હોય કે મારા આવવાથી કોંગ્રેસને કોઈ ફાયદો નથી થયો, તો પછી શું કામ મને કોંગ્રેસમાં લીધો. કાઢી મૂકો મને કોંગ્રેસમાંથી. કોઈ ફેર પડતો નથી મને. હું નમાલી રાજનીતિ કરવા સર્જાઓ નથી. એવી ધમકી આપીને કહે છે કે મને ખોટી રીતે ન મુલવો. લાલચુ બનીને હું ઘુંટણીએ પડી જાવ એ મારી રાજનીતિ નથી. મારા પર ખોટો આરોપ કરો તો હું છાતી ઠોકીને બોલવાનો છું.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જવાબ આપે કે મારા કારણે કોંગ્રેસને ફાયદો નથી થયો. આ બન્ને મારી સામે આવીને ડીબેટ કરે. કોંગ્રેસ પ્રમુખને પડકારીને જાહેરમાં કહે છે કે હું કોઈની સાડાબારી રાખતો નથી. બહુ સ્પષ્ટ કહું છું કે, જે લોકો એવું કહેતા હોય કે અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસને કોઈ ફાયદો નથી થયો તે બીજી વખત મોં સંભાળીને બોલે. તેમણે જાહેરમાં બોલવું પડશે અને સાબિત કરવું પડશે. નહીંતર મને બોલતા કોઈ રોકી નહીં શકે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી મારાથી નાના છે. છ મહિનાનો ફેર છે. બન્ને સાથે મારા લડાઈ ઝઘડાના સબંધ છે. પ્રેમથી હક્કથી તે મારો કોલર પકડે અને હું તેનો કોલર પકડી શકું છું. કોંગ્રેસમાં આંતરિક નારાજગી છે. મારા કારણે તમને વિધાનસભામાં ફાયદો થયો છે.
ખરેખર કેટલો ફાયદો થયો —-
35 બેઠક એવી છે કે જ્યાં ઠાકોર ઉમેદવાર જ જીતે
40 હજારથી એક લાખ સુધીના ઠાકોર મતદારો ધરાવતી 35 બેઠકો છે. જે ખરેખર તો અલ્પેશના પ્રભાવથી જીતવી જોઈતી હતી. પણ કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં 8 બેઠક જ ઠાકોરની આવી છે. મધ્ય ગુજરાતમાં 4 આવી છે. તેની સામે પાટીદારોના 18 ધારાસભ્યો છે. તેનો મતલબ કે ઠાકોર મતદાર જ્યાં વધું હતા ત્યાં ભાજપને વધું બેઠક મળી છે. 40થી એક લાખ ઠાકોર મતદારો ધરાવતી બેઠકો. જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પુરતાં જ ઠાકોર મતદારો છે.
વાવ, કાંકરેજ, રાધનપુર, ચાણાસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, બેચરાજી, કડી, હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર-નોર્થ, કલોલ, વિરમગામ, દશક્રોઈ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે.
12 બેઠકો એવી છે કે ઠાકોર મતદારોની સાથે રહીને જીતી શકાય તેવી હતી. જેમાંથી કોંગ્રેસને બહું ઓછી મળી છે. 12 બેઠક એવી છે કે, જ્યાં પક્ષના અન્ય જ્ઞાતિના ઉમેદવારને જીતવા મદદ કરી શકે. થરાદ, ધાનેર, વિરમગામ, પાલનપુર, ડીસા, વિજાપુર, ખેડબ્રહમા, મહેસાણા, ગાંધીનગર-સા, સાણંદ, માણસાનો સમાવેશ થાય છે.
કેમ એંધલા-વિરમગામ છોડ્યું
અલ્પેશ ઠાકોરનું વતન અને કાર્યક્ષેત્ર વિરમગામ છે. જ્યાં ઠાકોર મતદારો વધું છે. તેમ છતાં તે છોડીને તેમણે સિદ્ધપુર જવું પડ્યું હતું. જો તેઓ ખરા નેતા હોત તો વિરમગામથી જ ચૂંટણી લડ્યા હોત.
ઠાકોર સમાજના મતદારો પહેલેથી જ પરંપરાગત રીતે કોંગ્રેસની મત બેંક રહી છે. માધવસિંહ, ભરતસિંહ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસે આપ્યા છે. માધવસિંહ સોલંકીને બાદ કરતાં તમામ ઠાકોર નેતાઓએ ઠાકોર સમાજનો મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે. હવે અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે. દારુ બંધીનું આંદોલન બંધ છે. સમાજ સુધારાની વાતો હવે હવાઈ ગઈ છે. માત્ર રાજકારણ ખેલી રહ્યાં છે.
અલ્પેશનો ઉદય કેમ થયો
અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોર 1997થી કોંગ્રેસમાં છે. 2009માં અલેપશ ઠાકોર યુવક કોંગ્રેસની ચૂંટણી લડ્યો હતો પણ તે પ્રમુખ તરીકેની ચૂંટણી હારી ગયો હતો. તેથી તે યુવક કોંગ્રેસના ઉપ્રમુખ બન્યો હતો. પછી શંકરસિંહની ઠાકોર સેના બંધ કરી તો તે અલ્પેશને આપી દેવામાં આવી હતી. ત્યાં સુધી તેને કોઈ ઓળખતું પણ ન હતું. પરંતુ હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું એટલે શંકરસિંહ વાઘેલા જગદીશ ઠાકોરને હાર્દિક પટેલ સામે ઊભા કરીને રાજનીતિ કરવા માંગતા હતા. આ અંગે અમદાવાદ સર્કિટ હાઉસમાં બેઠક પણ થઈ હતી. આ રાજકીય ચાલની જાણ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીને થતાં તેમણે અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલ સામે સુભાષબ્રિજ – આરટીઓ સર્કલ પર ઉપવાસ કરવા બેસાડી દીધા હતા. મિડિયાએ હાર્દિક સામે અલ્પેશની પણ વાત લખવા માંડી અને અલ્પેશ ઠાકોર જીરોમાંથી હીરો બની ગયો હતો. અને પછી કોંગ્રેસમાં જવાનું નર્યું નાટક કર્યું હતું. તે કોંગ્રેસમાં જ વર્ષો સુધી રહ્યા છે. તે નેતા ન હતો પણ તેને ભરત સોલંકીએ નેતા બનાવી દીધા હતા. ઓછી મહેનતે તે નેતા બની ગયા હતા. ગુજરાતનું રાજકારણ હમેશ પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ખેલાતું રહ્યું છે. જેનો સીધો ફાયદો અલ્પેશને મળ્યો હતો.
હવે કોંગ્રેસે બે ફોર્મુલા નક્કી કરી હતી. એક તો ભાજપ પાસે 80 ટકા રહેલી પાટીદારોની મત બેંકને કોંગ્રેસ તરફ કેમ લાવવી અને અલ્પેશ ઠાકોર કે જેમના કાર્યકરો હતા તે તો મૂળ કોંગ્રેસના જ હતા પણ દુનિયા સમક્ષ તેવું મોટું ચિત્ર ઉપસાવવા નક્કી થયું હતું. ગાંધીનગરમાં સભા કરીને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. તે સભામાં હાજર રહેલાં લોકો ગાંધીનગર કોંગ્રેસના જ કાર્યકરો લાવેલા હતા. ગામડાઓમાં અલ્પેશે સાભાઓ કરી હતી જેમાં ઠાકોર સમાજ ભાજપમાં જવા તૈયાર ન હોવાનું તારણ નિકળ્યું હતું. તે અમિત શાહને મળવા ગયા હતા પણ તેમાં કંઈ જામ્યું ન હતું. તેથી તેના માટે મજબૂરી બની ગઈ હતી કે કોંગ્રેસ માં જ રહેવું.
આમ કોંગ્રેસ પાસે તો પહેલાથી જ ઠાકોર મતદારો હતા પણ પાટીદાર મતદારો કે ગ્રામ્ય વિસ્તારમાં હતા તેમણે કોંગ્રેસને સારા એવા મત આપ્યા. શહેરી પાટીદારોએ કોંગ્રેસને બહુ ઓછા મત આપ્યા હતા. આમ અલ્પેશના આવવાથી કોંગ્રેસના બહુ ફાયદો થતો ન હતો.
અલ્પેશને કોંગ્રેસમાં લાવવાનું અહેમદ પટેલે નક્કી કર્યું તે સમયે અલ્પેશ ઠાકોર જાહેરમાં કહેતાં હતા કે ગુજરાતના મુખ્ય મંત્રી ઠાકોર હશે. પણ મુખ્ય મંત્રીની વાત કોંગ્રેસે માની નહીં એટલે નાયબ મુખ્ય મંત્રીની વાત કરી પછી વિધાનસભાની 30 ટિકિકો માંગી તેટલી આપવા ઈન્કાર કર્યો એટલે 17 ટિકિટ માંગી અને છેલ્લાં કોંગ્રેસે તે કહે એવી 7 ટિકિટો આપી હતી.
વિધાનસભાની 7 ટિકિટ આપી તેમાં ત્રણ જીતી શકાઈ અને 4 બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. સિધ્ધપુર, બહુચરાજી અને ધવલસિંહ જીતી શક્યા. ખેરાલુ અને ગાંધીનગર દક્ષિણ બેઠક અલ્પેશ ઠાકોરના ઉમેદવાર હારી ગયા હતા.
આમ ગુજરાતમાં પાટીદાર પછી ઠાકોર મતદારો વધું છે તેનો ફાયદો અલ્પેશ ઠાકોર ઉઠાવવા માંગતો હતો. પાટીદારોએ તો એક વખત ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મત આપ્યા પણ અલ્પેશ ઠાકોરનો આખા ગુજરાતમાં ક્યાંય પ્રભાવ જોવા મળ્યો ન હતો. જો જોવા મળ્યો હોત તો ઠાકોર પ્રભાવિત 35થી 40 બેઠકોમાંથી 30 બેઠક કોંગ્રેસને મળી હોત અને સરકાર કોંગ્રેસની બની હોત. પણ તેમ થયું નહીં.
હવે અલ્પેશ ઠાકોરનો અવાજ શંકરસિંહ સાથે મળતો આવી રહ્યો છે. આવનારા સમયમાં તે કોંગ્રેસ માટે બીજા સંકરસિંહ વાઘેલા બની શકે છે.