ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનીંગને અટકવવા રાજકીય આગેવાન કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતાં અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરતા અનેક ખેડૂતોને ઈજા પહોંચી હતી.
માઈનિંગની પ્રવૃત્તિને કારણે આસપાસનાં ખેતરોને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ અંગે અગાઉ અનેકવાર સ્થાનિક ખેડૂતોએ સ્થાનિક વહિવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ, આ મામલે કોઈ નિષ્કર્ષ આવ્યો નહિ. ત્યારે બુધવારે સવારે ભૂતપૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કરીને ભારે હંગામો મચાવ્યો હતો. અગાઉથી જ આ કાર્યક્રમની જાહેરાત કરાઈ હોવાનાં કારણે પોલીસ વિભાગે પણ આ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પણ સ્થાનિક ખેડૂતો આવી પહોંચ્યા હતા અને તેમને રોકવાનો પોલીસે પ્રયાસ કરતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણને લઈને વાતાવરણમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો પર પોલીસે અમાનુષી વર્તન કર્યું છે અને તેનાં કારણે અનેક ખેડૂતો ઈજાગ્રસ્ત થયાં છે. પોલીસનાં આ વર્તન સામે ખેડૂતો દ્વારા હાલમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાનમાં મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં ખેડૂતો પર થયેલાં લાઠીચાર્જ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગંભીર નોંધ લઈને આ મામલે તાત્કાલિક પગલાં ભરવાનાં આદેશ કર્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસે ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જનો વિરોધ વ્યક્ત કરી રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે, વર્તમાન રાજ્ય સરકાર ખેડૂત વિરોધી છે અને તેનાં ઈશારે જ ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.
ભૂતકાળમાં પણ કનુ કલસરિયા દ્વારા ખાનગી સિમેન્ટ કંપનીને જમીન આપી દેવાનાં સરકારનાં નિર્ણય સામે આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ફરીએકવાર કલસરિયાએ રાજ્ય સરકાર સામે માઈનિંગ કરી રહેલી ખાનગી કંપનીનો ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.