હિંમતનગરનાં ઢૂંઢર ગામમાં 14 મહિનાની બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલામાં કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં સુપ્રીમો અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનો હાથ હોવાનાં થયેલાં આરોપો બાદ વ્યથિત થયેલાં અલ્પેશ ઠાકોરે ગુરુવારે ગાંધી આશ્રમ ખાતે બાપુને પ્રણામ કરીને એક દિવસનાં સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતાં. આ ઉપવાસ પર બેસતાં સમયે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાંથી પરપ્રાંતિયો પલાયન થાય તે માટે મારી ઠાકોર સેનાનો હાથ હોવાનો જે આરોપ મૂકાયો છે તે સદંતર જૂઠાણું છે અને તેનાં વિરોધમાં જ સદભાવના ઉપવાસ કરી રહ્યો છું.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અમદાવાદમાં હું જે સોસાયટીમાં રહું છું ત્યાં સમગ્ર દેશનાં ઘણાં લોકો રહે છે. આ દેશે એકતા અને અખંડિતતાનો પરિચય આપ્યો છે. આટલું ઓછું હોય એમ આ ગાંધી અને સરદારની ભૂમિ છે જ્યાં હિંસાને કોઈ સ્થાન ન હોય. તેમણે સુફિયાણી વાતો કરતાં વધુમાં કહ્યું કે, આ ગુજરાતમાંથી પ્રાંતવાદનો નારો નીકળે એ ખોટી વાત છે. અને ગુજરાતમાંથી લોકો પલાયન થઈ રહ્યાં છે તેમાં મારી ઠાકોર સેનાનો હાથ હોવાની અફવા ફેલાવવામાં આવી છે. આ પ્રકારની ગંદી રાજનીતિ ગુજરાતમાં ચાલી રહી છે જેનો હું વિરોધ કરું છું. રાજકારણથી ક્ષણિક ફાયદો થશે, પરંતુ આવનારી પેઢીને મોટું નુકસાન થશે અને રાજ્યનાં વિકાસમાં બ્રેક લાગશે.
ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે નહિ ચલાવી લેવાય અને આ માટે દેશનાં અલગ અલગ રાજ્યોમાં પણ સદભાવના ઉપવાસ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, હું કોઈનાં ઉપર આરોપ મૂકવા નથી માંગતો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મારા નામે રાજકારણ ખેલાઈ રહ્યું છે. એ
ગુજરાત ની અસ્મિતાને હાની પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે તે નહી ચલાવી લેવાય. એક સવાલનાં જવાબમાં કહ્યું કે, રાજકારણ છોડવા માટે બે દિવસ પહેલાં મેં જાહેરાત કરી હતી અને ત્યારથી મારી સેના અને મારા કાર્યકરો સાથે સતત સંપર્ક કરીને વાતચીત કરી રહ્યો છું. અને આજે ફરી એકવાર કહું છું કે, જો મારી સેના અને કાર્યકરો કહેશે તો હું ચોક્કસ રાજકારણ છોડી દઈશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં ઢૂંઢર ગામે માસૂમ બાળકી પર પરપ્રાંતિય યુવક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું, જેનાં કારણે કેટલાંક લોકો દ્વારા પરપ્રાંતિયોને નિશાન બનાવીને ગુજરાતમાંથી પલાયન થવા મજબૂર કરવામાં આવ્યાં અને તેમાં અલ્પેશ ઠાકોરની સેના અને તેમનાં કાર્યકરો જવાબદાર હોવાનો આરોપ મૂકાયો છે. અને સોશિયલ મીડિયામાં પણ જે પ્રકારે પરપ્રાંતિયોને હાંકી કાઢવા માટે જે મેસેજીસ વાઈરલ થયાં હતાં તેનાં આધારે મોડે મોડે જાગેલી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેનાં ભાગરૂપે અત્યાર સુધીમાં ઘણાં કેસ નોંધાઈ ચૂક્યાં છે અને 300થી વધારેની ધરપકડ કરાઈ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, અલ્પેશ ઠાકોરનાં સદભાવના ઉપવાસ આવનારા દિવસોમાં ગુજરાતનાં રાજકારણમાં કેવો રંગ લાવે છે.