ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી

ગુજરાતના ધોળાવીરા અને લોથલ સહિતની ભારતમાં પાંગરેલી સિંધુ ખીણની કૃષિ સંસ્કૃતિમાં 4000 થી 4500 વર્ષ પહેલા ઘઉં અને જવની ખેતી વધારે પ્રમાણમા થતી હતી. આ સિવાયના પાકો પણ કદાચ લેવાતા હતા. ચોખાની બોલબાલા નહોતી. હરપ્પન સંસ્કૃતિના જે અવશેષો જોવા મળે છે, તે જોતા એવુ લાગે છે કે અહીંયા બાજરીની વિવિધ પ્રજાતિઓની ખેતી વધારે પ્રમાણમાં થતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના અંતિમ તબક્કામાં કદાચ લોકો ચોખાનો ઉપયોગ કરતા થયા હતા. શામળાજીના બૌધ સ્તુપના ખોદકામમાં એક ડબ્બામાં અનાજના દાણા મળી આવ્યા હતા.

ભારતમાં ચોખાની (ડાંગરની)પધ્ધતિસરની ખેતીની શરૃઆત ગંગા કિનારે ઉત્તર પ્રદેશમાં થઈ હતી તેમ બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડનના ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિઓલોજીના પ્રોફેસર ડોરિઅન ફુલરે એક વાતચીતમાં કહ્યુ હતુ. એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગ તેમજ યુએલસીના ઈન્સ્ટિટયુટ ઓફ આર્કિઓલોજી દ્વારા આર્કિઓલોજી ઓફ રાઈસ વિષય પર બે દિવસના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હાજરી આપવા માટે આવેલા ડો.ફુલર ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં ચોખા સહિત વિવિધ કૃષિ પાકોની ખેતી કેવી રીતે થતી હતી તેના ઈતિહાસ પર વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.

ડો.ફુલરે કહ્યું હતું કે, ભારતના કેટલાક હિસ્સાઓમાં ચોખાની કેટલીક પ્રજાતિઓ ઉપલબ્ધ હતી પણ તેની ખેતીની શરુઆત આજથી લગભગ 4000 વર્ષ પહેલા ગંગા કિનારે હાલના ઉત્તરપ્રદેશમાં થઈ હતી.જ્યાંથી તેનો પ્રચાર પ્રસાર ભારતના અન્ય હિસ્સાઓમાં થયો હતો.મારુ અનુમાન છે કે ભારત અને ચીન વચ્ચે તે સમયે પણ થતા વેપારના ભાગરુપે સેન્ટ્રલ એશિયાના રુટ થકી ભારતમાં ચીનના ચોખાની કેટલીક પ્રજાતિઓનુ આગમન થયુ હતુ.જેને ભારતના લોકોએ સ્થાનિક પ્રજાતિઓ સાથે મિક્સ કરીને ચોખા ઉગાડવાનુ શરુ કર્યુ હતુ.કદાચ તેના કારણે ચોખાનુ ઉત્પાદન વધ્યુ હતુ.જેનાથી ચોખાની ખેતી ભારતના બીજા ભાગોમાં પણ લોકપ્રિય થઈ હતી.જોકે મારી થીયરી હજી સુધી વૈજ્ઞાાનિક રીતે પૂરવાર થઈ નથી.

ડો.ફુલરનુ કહેવુ હતું કે ભારત સહિત દુનિયાની માનવ સભ્યતાઓના વિકાસમાં ઘઉં, ચોખા અને મકાઈનો બહુ મોટો ફાળો રહ્યો છે. ભારતમાં માનવ સંસ્કૃતિને વિકસાવવામાં ચોખાનુ બહુ મોટુ યોગદાન રહ્યુ છે.

આખી દુનિયામાં બીજા વિશ્વયુધ્ધ પછી વધુ ઉત્પાદન થાય તેવા કૃષિ પાકોની બોલબાલા વધવા માંડી હતી. વૈજ્ઞાાનિકોનુ રિસર્ચ પણ આ જ દિશામાં રહ્યુ હતુ. જેના કારણે વધુ ઉત્પાદન મળે તેવી જ પ્રજાતિઓની ખેતી થવા માંડી હતી. આમ બીજા વિશ્વયુધ્ધ પછીના સમયગાળામાં ચોખા સહિત સંખ્યાબંધ કૃષિ પાકોની પ્રજાતિઓ લુપ્ત થઈ હતી. હવે આ પ્રજાતિઓની ખેતી થતી જ નથી અથવા તો એક ચોક્કસ વિસ્તાર સુધી જ સિમિત રહી ગઈ છે. જેમ કે ભારતમાં એક સમયે બ્રાઉન ટોપ મિલેટ નામની બાજરીની પ્રજાતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી. હવે તેની ખેતી તામિલનાડુના બે-ચાર ગામડા સુધી જ મર્યાદિત રહી છે.

મગનું મૂળ વતન ભારતીય ઉપખંડ માનવામાં આવે છે. ભારતમાં મગની ખેતી હજારો વર્ષથી કરવામાં આવતી હોવાના અનેક પ્રમાણો મળી આવેલા છે. જેમાં ભારતના પુરાતન સ્થળો જેવા કે હડ્ડપન સંસ્કૃતિની ધરોહર ગણાતા પંજાબમાંથી 4500 વર્ષ જૂના મગના કાર્બોદિત દાણા મળી આવ્યા છે, તો દક્ષિણ ભારતના કર્ણાટકમાંથી 4000 વર્ષ જૂના મગના મોટા દાણા મળી આવ્યા છે.