સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આવતીકાલના રોજ સંત શીરોમણી જલારામ બાપાની 219મી જન્મજયંતિ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકોનો સંઘ સુરતથી પગપાળા વીરપુર પહોંચ્યો હતો.
પૂજય જલારામ બાપાના જન્મભૂમિ અને કર્મભૂમિ એવા વીરપુર ધામમાં આવતીકાલે પૂજય બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપુર અત્યારથી જ ઉમટી પડ્યું છે. બાપાની જન્મ જયંતી મનાવવા દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય તો સ્થાનિક ગ્રામવાસીઓ પણ આ નિમિત્તે
ઘેર-ઘેર આંગણાઓમાં બાપાનું જીવન કવન ચરિતાર્થ કરતી રંગોળીઓ દોરે છે. તેમજ દિવાળી બાદ ગામલોકો ફરી પોતાના ઘરો તેમજ દુકાનોમાં આસોપાલવના તોરણો, રોશનીના શણગારો તેમજ બજારોમાં મંડપ કમાનો નાખીને બજારોને શણગારવામાં આવે છે.
પૂજય બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરત જિલ્લાના ગભેણી ગામનો 100 લોકોનો સંઘ કે જે છેલ્લા આઠ વર્ષથી પગપાળા વીરપુર આવે છે. તે સંઘ ૧લી તારીખે પગપાળા બાપાની જન્મ જયંતી નિમિત્તે વીરપુર આવવા માટે પગપાળા નીકળ્યો હતો. જે આજે ૧૩મા દિવસે વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી ડીજેના સાથે બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. આ સંઘ સાથે વિદેશમાં રહેતું એક ગજ્જર કુટુંબ પણ જોડાયું હતું અને તે પણ ગભેણી ગામથી પગપાળા આવ્યું હતું.