રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. જગતનો તાત આજે સિંચાઈનાં પાણી માટે તરસે છે, તો બીજી બાજુ રાજ્યમાં ચાલુ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાનાં કારણે પહેલાંથી જ દેવાનાં બોજ તળે દબાયેલો ખેડૂત વધુ દેવાં હેઠળ જઈ રહ્યો છે અને રાજ્ય સરકાર આ મામલે કોઈ નિરાકરણ લાવી નથી રહી. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખેડૂતોને વીજ પૂરવઠો મળી રહે એવાં મોટાં દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દાવા માત્ર પોકળ જ છે કેમ કે કચ્છ જિલ્લામાં ખેડૂતોને વીજ કનેક્શન સમયસર નથી મળી રહ્યાં અને તેનાં કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
કચ્છ જિલ્લામાં ખેતીવાડીમાં વીજનાં અનેક પ્રશ્નો છે. પરંતુ વીજ કનેક્શન સમયસર ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયાં છે. ખેડૂતો દ્વારા અરજી કર્યા છતાં વીજ કનેક્શન મળતું નહિ હોવાની રાવ ઉઠવા પામી છે.
કચ્છના માનકુવા ગામના ખેડૂતો વીજ કનેક્શન સમયસર ન મળતા ભારે પરેશાન છે. જે ખેડૂતોની ખેતી ભૂગર્ભ જળ પર નિર્ભર છે તેમને સમયસર વીજ કનેક્શન ન મળતાં ઊભા પાક નિષ્ફળ જાય છે. તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેડૂતો દ્વારા ખેતીવાડી વીજ પુરવઠા માટે 3565 નવી અરજીઓ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેમાંથી 1477 અરજીનો જ નિકાલ થયો છે અને 1477 નવા વીજ કનેક્શન આપવા પાછળ 35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજુ પણ નવા વીજ કનેક્શનની 2088 અરજી પડતર છે. વર્ષ 2016 અને 2017ની આ અરજીનો નિકાલ ટૂંક સમયમાં થશે તેવું PGVCLનાં અધિકારીનું કહેવું છે. પરંતુ વીજ કનેક્શનની વર્ષો સુધી પેન્ડિંગ અરજી અંગે PGVCLનાં અધિકારીનું કહેવું છે કે અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વધુ સમય લાગી જતો હોય છે. હાલ અમે જલ્દી વીજ કનેક્શન આપવા માટે પ્રયત્નશીલ હોવાની માત્ર ખાતરી ઉચ્ચારવામાં આવી રહી છે.
ગુજરાતનાં છેવાડાનાં જિલ્લાંમાં આ સ્થિતિ છે ત્યારે આવનારા દિવસોમાં આ ખેડૂતોને વીજ કનેક્શન મળશે કે કેમ એ જોવું રહ્યું.
ગુજરાતી
English



