ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રેલી

ટંકારા તાલુકાનાં તમામ ગામડાંઓના વરસાદનાં આંકડા ધ્યાને લઈ સરકાર દ્વારા તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે લાતીપર ચોકડીથી મામલતદાર કચેરી સુધી ખેડૂતોએ સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ મહારેલી યોજી ટંકારા મામલતદાર કચેરી ગજવી હતી. જો આગામી 15 તારીખ સુધીમાં ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહિ કરવામાં આવે તો સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ચાલુ વર્ષે રાજ્યનાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં અપૂરતા વરસાદ છતાં મોરબી જિલ્લાના ફક્ત ત્રણ તાલુકાઓને જ સરકારે અછતગ્રસ્ત જાહેર કરી ટંકારાને અન્યાય કરતા આજરોજ ટંકારા તાલુકાના સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ મોટીસંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન ટંકારાની સ્થિતિનો ચિતાર રજૂ કરી અપૂરતા તથા છૂટાછવાયાં વરસાદને કારણે ખેડૂતોને બી બિયારણના પૈસા પણ માથે પડ્યાં હોઈ ટંકારા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે તમામ ગામોના વરસાદના આંકડા મેળવી તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ તંત્રને અપીલ કરવામાં આવી છે. હાલમાં ટંકારા તાલુકાના અનેક ગામોમાં પાણી, પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ખેડૂતો પાયમાલ થવાને આરે છે. ત્યારે ન્યાય મેળવવા આજે તાલુકાના ૪૫ ગામના ખેડૂત અગ્રણીઓ અને સરપંચો તથા હોદેદારો મળી મહારેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી દોહરાવી હતી અને જો આગામી 15 તારીખ સુધીમાં ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહિ કરવામાં આવે તો સરપંચ એસોસિએશનના પ્રમુખે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રેલીમાં જોડાયેલાં ખેડૂતોનો એકસૂર હતો કે, રાજ્ય સરકાર ખેડૂત વિરોધી નિર્ણયો કરી રહી છે. રાજ્યમાં દુષ્કાળનાં ડાકલાં વાગી રહ્યાં છે, ત્યારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં લોકાર્પણનાં કાર્યક્રમોમાં વ્યસ્ત સરકારને ખેડૂતો માટે નિર્ણય કરવાનો સમય નહિ હોવાનો પણ આરોપ ખેડૂતોએ લગાવ્યો હતો.
જો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર મોરબીનાં ટંકારા તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર નહિ કરે તો આ તાલુકાનાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરતાં અચકાશે નહિ એવી શક્યતાઓ નકારી શકાય નહિ.