ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અજબનો વહીવટ ચાલી રહ્યો છે.રામોલ-હાથીજણ વોર્ડમાં ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ હોવાની વાત બે વર્ષથી તંત્રની જાણમાં હોવાછતાં હજુ સુધી મ્યુનિ.ના બે વિભાગ કાર્યવાહી કરવાને બદલે માત્ર સામ-સામા કાગળો લખી રહ્યા છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,રામોલ-હાથીજણ વોર્ડમાં ગેરતપુરથી વિવેકાનંદનગર તરફ જતી ખારી નદી થઈ હાથીજણ તરફની ડ્રેનેજ લાઈન વર્ષ-૨૦૧૭ના વર્ષમાં અંદરથી બેસી ગઈ છે.આ મામલે સ્થાનિક રહીશો અને કોર્પોરેટર દ્વારા પણ તંત્રના અધિકારીઓનુ વારંવાર લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યુ છે.વર્ષ-૨૦૧૯ પણ અડધા ઉપરાંત પસાર થઈ ગયુ હોવાછતાં હજુ સુધી પૂર્વ ઝોનના એડીશનલ સીટી ઈજનેર અને ડ્રેનેજ પ્રોજેકટના સીટી ઈજનેર સામસામા પત્રો જ લખી રહ્યા છે.સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલનો આ મામલે સંપર્ક કરવામાં આવતા તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,બે વર્ષથી રજુઆત કરીએ છીએ.પહેલા કોંગ્રેસમાં હતો ત્યારે અને હવે ભાજપમાં છુ ત્યારે પણ.પણ અધિકારીઓ ગાંઠતા નથી.આ ડ્રેનેજલાઈન ઉપરના મેઈનહોલથી છેક અંદર સુધી બ્રેક થઈ ગઈ છે.આ ઉપરાંત એલાઈમેન્ટ બેસી ગયુ છે.વરસાદનુ એક ઝાપટુ પડે છે તો પણ અહીંની સોસાયટીઓમાં ગટરના પાણી બેક મારે છે.તો ભારે વરસાદમાં શુ હાલત હોય કલ્પના કરો.આ તરફ એડી.સીટી ઈજનેરનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા સંપર્ક થઈ શકયો નથી.જયારે ડ્રેનેજ પ્રોજેકટના ઈજનેરનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ,આ મામલે તાકીદે ઘટતી કાર્યવાહી કરવા મેં એડીશનલ સીટી ઈજનેરને પત્ર લખી જાણ કરી દીધી છે.