ગુજરાતના 24માં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી વિદાય થયા બાદ તેમના સ્થાને કોણ આવશે તેની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે. જો જાહેરાત નહીં થાય તો મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને હવાલો આપવાની શક્યતા છે. પણ નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ પસંદ કરે છે કે જેનું ક્યાંય નામ ચર્ચામાં ન હોય. નક્કી થાય અને ચર્ચા થાય તો તેમને નિમણુંકમાંથી પડતા મૂકવામાં આવે છે. અમિત શાહની પણ આવી જ રાજકીય માનસિકતા રહી છે.
ગુજરાતની પ્રજાને વિશ્વાસમાં લીધા વગર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા રાજ્યપાલ જાહેર કરે એવી શક્યતા છે.
ગુજરાતના નવા રાજ્યપાલ કોણ હશે તે અંગે બે મહિનાથી અટકળો શરૂ થઇ હતી. વિદાય બાદ ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂક થશે જો કે જ્યાં સુધી નવા રાજ્યપાલની શોધ ન થાય ત્યાં સુધી મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતની જવાબદારી સોંપાય તો નવાઈ નહીં.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, નાગાલેન્ડના પદ્મનાભ આચાર્ય, મહારાષ્ટ્રના સી.વી. રાવ, ઉત્તર પ્રદેશના રામ નાઈક, પશ્ચિમ બંગાળના કેસરીનાથ ત્રિપાઠી, ગોવાના મૃદુલા સિન્હા, કેરળના પી. સદાશિવમ્ વગેરેની પાંચ વર્ષની મુદત જુલાઈ-ઓગષ્ટના અરસામાં પુરી થઈ રહી છે.
વજુભાઈ વાળા તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪થી રાજ્યપાલ પદે છે. ઓમપ્રકાશ કોહલી ગુજરાતમાં ૧૬ જુલાઈ ૨૦૧૪થી રાજ્યપાલ તરીકે કાર્યરત છે. ગુજરાતના આનંદીબેન પટેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૮થી મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ છે.