પૂર્વ મંત્રી આઇ કે જાડેજાના સર્વન્ટ ક્વોર્ટરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા પૂર્વ મંત્રી આઇ કે જાડેજાને ત્યાં સર્વન્ટ તરીકે રહેતા રબારી પરિવારની દીકરી સેજલબેન સાસરીમાં અણબનાવને લઇને બે દિવસ પહેલા પિયર ગાંધીનગર આવ્યાં હતાં. જાડેજાને બંગલે માતા તથા ભાઇ સાથે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં હતાં. મંગળવારે સવારે સેજલબેને સર્વન્ટ રૂમમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને 20 જુન 2018માં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

મૂળ કડીનાં કાસવાનાં વતની વિષ્ણુભાઇ રાયમલભાઇ દેસાઇ તથા તેમનાં માતા લાડલીબેન છેલ્લા છ વર્ષથી સર્વન્ટ તરીકે રહે છે. જેઓને સર્વન્ટ ક્વાર્ટર ફાળવવામાં આવેલુ છે. સેજલબેનની સાસરીમાં કૌટુંબિક ઝઘડાને લઇને સેજલબેન તથા તેમનાં બે વર્ષનાં પુત્રને સાસરીનાં લોકો ગાંધીનગર વિષ્ણુભાઇ પાસે મૂકી ગયા હતા. મંગળવારે સવારે વિષ્ણુભાઇ, તેમનાં માતા તથા ભાણેજને લઇને બાઇક લઇને ઇન્દ્રોડા ગામે સંબંધીને ત્યાં ગયાં હતાં.

સેજલબેન ઘરે એકલા હતા. દરમિયાન 9 વાગ્યાનાં અરસામાં જાડેજાની કારનાં ડ્રાઇવર શૈલેષભાઇ ઠાકોર સર્વન્ટ રૂમમાં કારની ચાવી લેવા જતા દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા બારીમાંથી જોતાં સેજલબેન ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. શૈલેષભાઇએ વિષ્ણુભાઇને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

ખોટી શંકા રાખીને પતિ હેરાન કરતો

સેજલબેનનાં પિયરજનોનાં જણાવ્યા અનુસાર સેજલબેનને પતિ દ્વારા ખોટી શંકા રાખીને હેરાન કરવામાં આવતાં હતાં અને ત્રાસ આપવામાં આવતો હતો. અંતિમ ક્રિયા બાદ આ અંગે ફરિયાદ બાબતે નિર્ણય લેવાનું જણાવ્યું હતું. મંગળવારે સવારે રોજની જેમ સેજલબેને માતાની જગ્યાએ બંગલામાં કામ પણ કર્યું હતું અને પછી ક્વાર્ટરમાં ગયાં અને આ પગલું ભર્યું હતું.