પોરબંદરનું મેર દંપતી ઈગ્લેન્ડથી પરત ફરી ભેંસ દોહે છે અને ખેતી કરે છે

ગુજરાતના લોકો પશ્ચિમી દેશમાં જઈને પૈસા કમાવા માટે દોડી રહ્યા છે.પણ પોરબંદરમાં રહેતા ભારતી મેર કોમના ખુંટી પરિવારે ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી છોડી વિદેશથી પોતાના વતનમાં પરત ફરીને તેમણે ખેતી અને પશુપાલન શરૂ કર્યું છે.

2006 માં રામદેવ ખુંટી કામ કરવા ઇંગ્લેન્ડ ગયા હતા. 2 વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી રામદેવ ભારત પરત ફર્યા હતા. 2009માં રામદેવના લગ્ન ભારતી સાથે થયા હતા. ભારતીએ એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો અભ્યાસ કર્યો છે. 2010 માં તેઓ બંને ઇંગ્લેંડ ગયા હતા. ત્યાં ભારતીએ આંતરરાષ્ટ્રીય પર્યટન અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બંને ત્યાં સારી નોકરી કરી રહ્યા હતા. જોકે પાછળથી, બંનેએ તેમના માતાપિતા પાસે વતનમાં પાછા ફરવાનું નક્કી કર્યું. ગામમાં પાછા ફર્યા પછી, બંનેએ ખેતી અને પશુપાલનનું કામ શરુ કર્યું છે. આ નિર્ણયથી ગામના ઘણા લોકો આશ્ચર્યમાં અનુભવી રહ્યા છે. પરંતુ, તેઓ કહે છે કે આ એક સારો વ્યવસાય છે.

રામદેવે કહ્યું કે, યોગ્ય રીતે ખેતી અને પશુપાલન કરવાથી સારી કમાણી કરી શકાય છે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે, માતાપિતા અને પરિવાર સાથે રહેવાનો આનંદ પણ કઈંક અલગ જ છે. જીવનમાં બધું પૈસા નથી. તે યુવાન લોકો માટે પણ એક સંદેશ છે જેમણે કુટુંબ છોડ્યું છે અને પૈસા માટે સાત સમુદ્રની પાર રહે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીએ આ પહેલા પશુપાલન અને ખેતી કાર્ય ક્યારેય કર્યું ન હતું, પણ સમય જતા તેણે ખેતીના બધા જ કામ શીખી લીધા. આ પરિવાર વાડીએ 7 ભેંસો રાખે છે. ભેંસોને દોહવા, તેમને નિરણ નાખવુ તેમજ ખેતીકામ સહિતના તમામ કામ આજે ભારતીબેન સારી રીતે કરી રહ્યા છે. પરિવાર પશુપાલન અને ખેતીવાડીમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યો છે.