ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ખેતીની જમીન થતી જશે. જે ખરાબાની કે નકામી જમીન પર ઉદ્યોગો સ્થાપવાની કોઈ કૃષિ નીતિ સરકારે બનાવી ન હોવાથી આમ થશે. ફેક્ટરીનું ઉત્પાદન વધારવા જતાં કૃષિ પેદાઓનું ઉત્પાદન ઘટશે.

સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલના માધ્યમથી જિલ્લા કલેકટરો સાથે ઓનલાઇન એન.એ, અછત, પાણી-ઘાસચારો, અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસિડી સહાય તેમજ ગરીબ કલ્યાણ મેળા અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની સમિક્ષા કરી હતી.

આવી પરવાનગી માટેની અગાઉની ૯૦ દિવસની ટાઇમ લીમીટ-સમયમર્યાદા હવે ટેકનોલોજીના ઉપયોગ અને સંપૂર્ણ પારદર્શીતાથી માત્ર ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાની પણ જિલ્લા તંત્રવાહકોને સૂચના આપી હતી.
૭/૧ર ના ઉતારા સ્કેન કરવાની પ્રક્રિયા જે હાલ ચાલી રહી છે તે માટે ટેકનીકલ સજ્જતા વ્યાપક બનાવી એ કાર્યવાહીમાં પણ ગતિ લાવવાના સૂચનો આ સમીક્ષા દરમ્યાન કર્યા હતા.

રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતાં કહ્યું કે, આગામી તા. પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી લેવાય અને રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા હેકટર દિઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવવા કહેવાયું છે.

તેમણે અછતગ્રસ્ત જિલ્લા તાલુકાઓમાં પશુધન માટે ઘાસચારો, મનરેગાના કામો અને સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની સ્થિતી અંગે પણ વિસ્તૃત ચિતાર મેળવ્યો હતો. કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ઘાસચારો, પાણીની સ્થિતી અને મનરેગાના કાર્યોની વિગતોના આધારે સમિક્ષા કરી હતી.

૩૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ અને જિલ્લાતંત્રો સાથે મળીને પૂર્ણ કરવા સૂચના આપી છે.

૩ જાન્યુઆરીથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટરોને લાભાર્થીઓની યાદી અને સહાય-સાધન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શીતાથી ગોઠવવા કહેવામાં આવ્યું છે.