બેન્કો બંધ, 30 બેન્કોના 10 લાખ કર્મચારી હડતાળ પર

સમગ્ર દેશની 21 સરકારી બેન્કો અને 9 જૂની ખાનગી બેન્કોના 10 લાખ કર્મચારીઓ આજે હડતાળ પર છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયનના આહ્વાન બાદ બેંક કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેમાં કર્મચારીઓના 4 અને અધિકારીઓના 5 યૂનિયન સામેલ થયા છે. સરકારી બેન્કોના મર્જરના વિરોધમાં અને વેતન વધારાની માંગને લઈને કર્મચારીઓએ હડતાળનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં બેંકોની આ બીજી હડતાળ છે.
આજે સમગ્ર દેશની 21 સરકારી બેન્કો અને 9 ખાનગી બેન્કોનાં 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે, જેની સીધી અસર બેંકિંગનાં કામકાજ પર પડશે. વિજયા બેન્ક અને દેના બેન્કના બેન્ક ઓફ બરોડામાં મર્જર કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના યુનિયને આજે હડતાળનું આહવાન કર્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન, નવ યુનિયનોનું એક સંયુક્ત સંગઠન ઉપરાંત ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન, નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઈઝ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક વર્કર્સ દ્વારા આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટેચલમે જણાવ્યું છે કે, અધિક મુખ્ય કામદાર કમિશનર સાથે આ અંગે બેઠક થઈ ચૂકી છે, પરંતુ તેમના તરફથી કોઈ પણ પ્રકારની ખાતરી પૂરી પાડવામાં ન આવતા યુનિયન દ્વારા હડતાળ પર ઉતરવાની જાહેરાત કરાઈ છે.
રાજકોટમાં પણ તમામ બેન્ક બંધ રહી છે. રાજકોટના પરાબજાર બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે બેન્કના કર્મચારીઓના સૂત્રોચ્ચાર સાથે હડતાળ પાડી હતી. સૌરાષ્ટ્રના 7 હજાર કર્મચારી હડતાલમાં જોડાયા છે. બેન્કો બંધ રહેતા સૌરાષ્ટ્રમાં કરોડોના વ્યવહારો ખોરવાયા છે. બેન્કો બંધ રહેતા રાજકોટના ધંધા ઉદ્યોગને મોટી અસર પહોંચી છે. જામનગરમાં પણ બેન્કો બંધ રહેતા ગ્રાહકોને અને વેપારી વર્ગને ભારે મુશ્કેલીઓ પડી હતી.
યુનિયનનો દાવો છે કે, સરકાર બેન્કોને મર્જ કરીને તેમની સાઈઝને મોટી કરવા માંગે છે, પરંતુ જાહેર ક્ષેત્રની તમામ બેન્કોને પણ જો એકમાં મર્જ કરી દેવામાં આવે તો પણ તેમની કુલ મૂડી સાથે તેઓ વિશ્વની ટોચની 10 બેન્કોમાં સ્થાન નહીં મેળવે. ઉલ્લેખનીય છે કે, સરકારે સપ્ટેમ્બર મહિનામાં બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે ત્રણ જાહેર ક્ષેત્રની બેન્કોનું મર્જર કરીને એક બેન્ક બનાવવામાં આવનારી છે.
21 ડિસેમ્બરના રોજ પણ જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓ દ્વારા બેન્કોના મર્જર અને તેમના પગાર ધોરણની પડતર સમસ્યાઓના તાત્કાલિક ઉકેલની માગણી સાથે હડતાળ પાડી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં માત્ર એક જ દિવસ બેન્કોના કામ થયુ છે.