ભાજપના 12 નેતાને હવે કોઈ પૂછતું નથી

ગુજરાત ભાજપના વિસરાતા જતા ચહેરા કે જેમનો એક સમયે ડંકો વાગતો હતો. કેશુભાઈ પટેલની સરકારમાં લાઇમલાઇટમાં આવેલા 12 ચહેરા કે જેઓ આજે પણ ચૂંટણી લડવા બેતાબ છે. પાર્ટી ટિકિટ આપે તો તેઓ અવશ્ય ચૂંટણી લડી શકે છે. કેટલાક ચહેરા હાલમાં ભાજપમાં ફેંકાઇ ગયા છે તો કેટલાક ચહેરા ખુદ અલિપ્ત થયા છે. આ છે ભાજપની ગઇકાલ.

મહેન્દ્ર ત્રિવેદી

એક સમયે સૂર્ય મધ્યાહને તપતો હતો. કેશુભાઈ પટેલની સરકારમાં સાંસ્કૃતિક મંત્રી પછી હોમ મિનિસ્ટર થયા. મંત્રીમંડળના બંગલા વિસ્તારમાં જ્યારે હનુમાન ચાલીસા કરે ત્યારે આખું ભાજપ તેમના બંગલે ભેગું થયેલું હોય, એ સમયે મંત્રીમંડળનો બંગલા વિસ્તાર ધમધમતો હતો. આજે સલામતી રક્ષકો વચ્ચે ભેંકાર ભાસે છે. ભાજપની સરકારમાં ભાવનગરના બ્રાહ્મણ કેબિનેટ મંત્રી હતા. આજે ફેંકાઈ ગયા છે. ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચેરમેન હતા પરંતુ હવે નથી.

દિલીપ સંઘાણી:

આ એક અમરેલીનો ચહેરો છે, જે દિલ્હીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી બનેલા છે. સંસદસભ્ય અને ધારાસભ્ય એમ બંને લેબલ તેમને લાગેલા છે. ક્યારેક ચૂંટણી હાર્યા છે તો ક્યારેક ચૂંટણી જીત્યા છે. સ્વભાવના કારણે પાર્ટીમાં તેમનું સ્થાન છેલ્લી હરોળમાં આવી ગયું છે. સહકારી પ્રવૃત્તિમાં પાછા ગળાડૂબ થયા છે. અમરેલીના ઇન્ટરનલ રાજકારણમાં ફેંકાઈ ગયા છે.

ભરત બારોટ:

આખા બોલા કેબિનેટ મંત્રી તરીકે કેશુભાઈ પટેલની સરકારમાં લાઇટમાં આવ્યા હતા. દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય આજે ખોવાયેલા છે. સામાજીક પ્રસંગોમાં જવા પુરતા રાજકીય રહ્યા છે. 2017મા તેમને ટિકિટ આપવામાં આવી હતી પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

બિમલ શાહ:

કેશુભાઈ પટેલની સરકારમાં આઇટી મિનિસ્ટર હતા. અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે રહ્યા છે. 2012મા ટિકિટ નહીં મળતાં તેમણે શંકરસિંહ વાઘેલાને જીતાડવાનું કામ કર્યું હતું. ક્યારેક ભાજપમાં તો ક્યારેક ભાજપથી દૂર ગયા છે. લોકસભામાં તેમને આશા છે કે કોંગ્રેસ તેમને ટિકિટ આપશે.

વલ્લભ કથિરીયા:

કેન્દ્રીય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતમાં બોર્ડ-કોર્પોરેશન સિવાય તેમનું સ્થાન નથી. એક સમયે ભાજપને ભરપેટ વખોડ્યું હતું અને પછી ત્રણ પાનામાં માફીપત્ર લખ્યો હતો. કભી હાં, કભી ના જેવો તેમનો સ્વભાવ છે. 1999થી 2004મા MP અને યુનિયન ગવર્મેન્ટમાં મિનિસ્ટર રહ્યા છે. કુલ ચાર વખત એમપી બન્યા છે. આ ડૉક્ટર સાહેબ હાલ ગૌ સેવા બોર્ડના ચેરમેન છે.

હરિન પાઠક:

અમદાવાદની લોકસભા બેઠક આવે એટલે એક જ નામ હોય છે અને તે હરિન પાઠક. ભાજપનો પર્યાય છે. ભાજપમાં છેલ્લી ચૂંટણીમાં તેમનું પત્તુ કપાયું હતું. તેમણે વિરોધ કર્યો તો જવાબ મળ્યો- બસ થયું હરિનભાઈ, કેટલી વખત ચૂંટણી લડશો, હવે તો બીજાને તક આપો…’ બસ પછી ઠરી ગયા છે. તેમના સ્થાને પાર્ટીએ ફિલ્મસ્ટાર પરેશ રાવલને પસંદ કર્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં હરિન પાઠકને ટિકિટ મળે તેવી કોઈ સંભાવના નથી.

આઇ.કે.જાડેજા:

ઇન્દ્રવિજયસિંહ જાડેજાએ ધ્રાંગધ્રાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમની ટિકિટ કપાઈ પછી તેઓ સંગઠન માટે કામ કરી રહ્યા છે. કેશુભાઈની બીજી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમની અને પુરૂષોત્તમ રૂપાલાની જોડી સચિવાલયમાં મશહૂર હતી. રૂપાલાજી રૂપાળા કામ કરીને કેન્દ્રીય મંત્રી બની ગયા અને આઇ.કે.જાડેજા રહી ગયા. 2019મા તેમના નામનો વિચાર પાર્ટી કરી શકે છે. હાલ પ્રદેશ ઉપપ્રમુખ છે.

નરોત્તમ પટેલ:

ભાજપના વડીલ કહી શકાય તેવો ચહેરો છે. કેશુભાઈની સરકાર થી મોદીની સરકાર સુધી કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ભાજપના મોટાગજાના નેતા છે. ચોર્યાસી મતવિસ્તાર સૌથી મોટો વિસ્તાર હતો. તેથી તેઓ વિક્રમી લીડથી ચૂંટણી જીતતા હતા. હવે વિસ્તાર કટ થયો છે. કાશીરામ રાણાના ખાસ હતા પરંતુ કાશીરામ રાણાની જેમ પક્ષપલ્ટો તેમણે કર્યો ન હતો. હવે સ્વેચ્છાએ તેઓ ખસી ગયા છે. નરોત્તમ પટેલ કેબિનેટ મંત્રી હતા ત્યારે કોઈ વ્યક્તિ તેમને વારંવાર મળે તો પણ તેનું દર વખતે અવશ્ય નામ પૂછે, એટલા ભૂલકણાં છે.

દત્તાજી ચિરંદાસ:

સંઘ પરિવારનો ચહેરો છે. સત્તામાં ક્યારેય આવ્યા નથી પરંતુ સંગઠનમાં 1990થી 1995 સુધી સક્રિય રહ્યા હતા. એ સમયમાં ભાજપમાં ચીમન શુક્લ, નારસિંહ પઢિયાર અને દત્તાજીની ત્રિપુટી કહેવાતી હતી. નાનું મોટું કામ હોય તો સચિવાલયનું ચક્કર લગાવી જાય છે.

ઉમેશ રાજ્યગુરૂ:

કેશુભાઈ પટેલની 1995ની સરકારમાં બંદર વિભાગના મંત્રી હતા. મત્સ્યોદ્યોગ આપ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘મારે માછલીઓનો વેપાર નથી કરવો, મહેરબાની કરીને મારું ખાતું પાછું લઈ લો’ તો મુખ્યમંત્રીએ લઈ લીધું હતું. ભાજપથી નારાજ થઈને શંકરસિંહ વાઘેલા સાથે ગયા પરંતુ પાછા ભાજપમાં આવી ગયા. રાજકોટની બેઠકના તેઓ દાવેદાર હતા પરંતુ દાવેદારો વધારે હોવાથી તેમનો ગજ વાગ્યો ન હતો.

જયનારાયણ વ્યાસ:

આ એક એવું નામ છે કે તેમના જેટલો અભ્યાસ ભાજપમાં કોઈ રાજનેતા કે જે મિનિસ્ટર બન્યા છે, તેમણે કર્યો નથી. કેશુભાઈની સરકારમાં હતા ત્યારે તેમને કેશુભાઈ સાથે વિવાદ થયો હતો. સિદ્ધપુરમાં ક્યારેક ટિકિટ મળે અને ક્યારેક તેઓ કપાઈ જાય છે. ભાજપના સંગઠનમાં સક્રિય નથી પરંતુ ટીવી ડિબેટમાં ભાજપ તરફી બેટિંગ કરવામાં તેઓ પારવધા છે.

સુરેન્દ્ર પટેલ:

અમદાવાદમાં ‘કાકા’ ના હુલામણા નામથી જાણીતા સુરેન્દ્ર પટેલે વર્ષો સુધી સંગઠનમાં ટ્રેઝરર તરીકે કામ કર્યું છે. અમદાવાદના ઔડાનો વિકાસ તેમને આભારી છે. એક સમય હતો જ્યારે કેશુભાઈ પટેલને હટાવવાના હતા ત્યારે હાઇકમાન્ડમાં મુખ્યમંત્રીપદ માટે તેમનું નામ ચમક્યું હતું પરંતુ પાર્ટીએ છેવટે પસંદગી બદલી હતી. લાંબો સમય ઔડાના ચેરમેન રહ્યા છે.