ભાજપને પડકારતાં પ્રભાતસિંહ સામે પગલાં કેમ ન લેવાયા ?

પંચમહાલ લોકસભામાં પંચાયત

દારૂ વિના ચૂંટણી જીતાતી નથી એવા પંચમહાલના ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નિવેદનો કર્યા હોવા છતાં તેમની સામે ભાજપ દ્વારા આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેમણે 28 સપ્ટેમ્બર 2018માં આ નિવેદન કર્યું હતું. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખની એક બેઠકમાં પણ તેઓ હાજર હતા. અગાઉ તેમણે પક્ષ સામે બગાવત કરીને ટિકિટ માંગી હતી. દારુ અંગેનું તેમનું આ નિવેદન અનેક વખત કરી ચૂક્યા છે. જેનો વિડિયો પ્રજાની વચ્ચે ફરી રહ્યો છે છતાં પ્રદેશ કે રાષ્ટ્રીય ભાજપના નેતાઓએ તેમની સામે પગલાં લીધા નથી.

ચાર વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહેલાં પ્રભાતસિંહે પક્ષને પડકારીને જાહેરાત કરી હતી કે તેઓ હવે પછીની લોકસભાની 3 ચૂંટણી ભાજપમાંથી લડશે. ભાજપે જે યાદી બનાવી છે તેમાં આ વખતે પ્રભાતસિંહને ટિકિટ ન આપવા વિચારણા કરી હતી. આમ પ્રભાતસિંહ પોતે ગુજરાત સરકારની દારૂબંધી, ચૂંટણી પંચ અને ભાજપને પડકારી રહ્યાં હોવા છતાં તેમની સામે કોઈ પગલાં નહીં ભરીને ભાજપના નેતાઓએ નૈતિકતા ગુમાવી દીધી હોવાનું ગાંધીનગરના ભાજપના કાર્યકરો માની રહ્યાં છે.

મારી ટિકિટ કાપનાર જન્મ્યો નથી

તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પડકાર ફેંકીને જાહેર કર્યું હતું કે, આગામી ૩ ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી લડશે. તેમાં વિજયી પણ બનશે. પંચમહાલ જિલ્લામાં તેમને હરાવી શકે તેવુ કોઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય અને વર્ષ 2019, 2025, 2030નાં સાંસદ સભ્ય તરીકે હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું. 2019ની લોકસભાની ચૂંટણીમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો જ નથી. ભલે મારી ઉમર 77 વર્ષની હોય પણ હું આગામી 3 ટર્મ સુધી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ નથી. પાછળથી પક્ષે તેને ઠપકો આપતાં તેમણે આ નિવેદન અંગે કહ્યું હતું કે આ નિવેદન મારા વિરોધીઓ માટે હતું.

દારુ વગર ચૂંટણી જીતી શકાતી નથી

વાઈન (દારુ) વીના ચૂંટણી જીતી શકાતી નથી. ગોધરા ખાતે લોકજન શક્તિ પાર્ટીના  કાર્યક્રમ દરમિયાન ભાજપના સાંસદ પ્રભાતસિંહે આ નિવેદન આપ્યું હતું. તેથી તે અત્યંત ગંભીર છે. આ બેઠકમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં હું જંગી બહુમતિથી જીત્યો છું, આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ 2.50 લાખની બહુમતિથી હું જીતવાનો જ છું અને આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. સાંસદે વધુમાં જણાવ્યુ કે, મને પંચમહાલમાં કોઈ હરાવી શકે તેમ નથી. આમ તેઓ સીધા જ પક્ષને પડકારી રહ્યાં હોવા છતાં પક્ષ દ્વારા તેમની સામે કોઈ શિસ્તભંગના પગલાં ભરવામાં આવતાં નથી.

ભાજપમાં કુટુંબ વાદ

ભાજપ માટે કાલોલ બેઠક કાયમ કકળાટ ભરી રહે છે. 2017માં ભાજપે પ્રભાતસિંહના પત્નીને બદલે પુત્રવધુને ટિકિટ આપતા આખો મામલો પડકારાયો હતો. પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણ ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ છે જ્યારે પુત્રવધુ સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પત્ની રંગેશ્વરી માટે ટિકિટ માંગી હતી. પણ ભાજપના નેતાઓએ ધારાસભ્ય અરવિંદ રાઠોડની ટિકિટ કાપીને પ્રભાતસિંહના પુત્રવધૂ સુમન ચૌહાણને ટિકિટ આપી હતી. જેનો વિરોધ ભાજપના કાર્યકરોએ કર્યો હતો. આ બેઠક પર જ્ઞાાતિવાદી રાજકારણ હાવી રહ્યુ છે. પ્રભાતસિંહ ચૌહાણ ઓબીસીમાંથી આવે છે. આ બેઠક પર ઓબીસી વોટર્સની સંખ્યા ખૂબ વધારે છે, એટલું જ નહીં પ્રભાતસિંહનો કોઈ નજીકનો પ્રતિસ્પર્ધી પણ ન હોવાના કારણે તેઓ આવો દાવો કરી રહ્યા છે તે વાત સમજી શકાય તેમ છે.

યુવાન સાસુ અને પ્રોઢ પુત્રવધૂનો જંગ

પ્રભાતસિંહ ચૌહાણના પત્ની કોણ ને પુત્રવધૂ કોણ એ સવાલ પૂછાવા લાગ્યો છે. તેનું કારણ પ્રભાતસિંહનાં પત્ની યુવા છે ત્યારે જ્યારે તેમનાં પુત્રવધૂ પ્રૌઢા છે. રંગેશ્વરી વસાવા સાથે પ્રભાતસિંહનાં આ ચોથાં લગ્ન છે જે પતિથી 42 વર્ષ નાનાં છે. પ્રભાતસિંહ ચૌહાણની વય હાલમાં 77 વર્ષ છે જ્યારે રંગેશ્વરી ચૌહાણની વય માત્ર 36 વર્ષ છે જ્યારે બીજી તરફ તેમનાં પૂત્રવધૂ સુમનબેનની વય 51 વર્ષની છે. આમ પુત્રવધુ પોતાનાં સાસુ કરતાં 16 વર્ષ મોટી છે. રંગેશ્વરી ચૌહાણ સત્તાવાર રીતે પોતાનું નામ રંગેશ્વરી વસાવા જ લખાવે છે. પૂત્રવધુ સુમનબેનને ટિકિટ આપતા પ્રભાતસિંહના કુટુંબમાં મહાભારત શરુ થયું હતું અને તેમની પત્ની રંગેશ્વરીબેન છંછેડાયા હતા. જોકે પ્રભાતસિંહે બાદમાં તેમનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ (સુમનબેનનો પતિ) બૂટલેગર છે તે સંદર્ભનો પત્ર તેમના લેટરપેડ પર લખીને શાહને પાઠવ્યો હતો. ભાજપની કથની અને કરણીમાં ફેર છે જ તેનો ઉત્તમ નમૂનો કાલોલ બેઠક છે. અંતે સાસુવહુ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. વહૂ સુમનબેન ફોર્મ ભરવા ગયા ત્યારે તમામે ઉપસ્થિત રહી આશિષ પણ પાઠવ્યા હતા. પક્ષ પ્રમુખની સભા યોજાઇ હતી તેમાં સ્ટેજ પર પ્રભાતસિંહ ચૌહાણ, તેમની ચોથી પત્ની રંગેશ્વરી ચૌહાણ, બૂટલેગર પુત્ર પ્રવીણસિંહ અન તેમનો પૌત્ર સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા હતા. આમ વંશવાદ અહીં ભાજપમાં પૂરબહાર ફૂલ્યોફાલ્યો છે.

પત્નીએ પ્રભાતસિંહને ફેસબુક પર ધમકી આપી

પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર તો ઉમેદવારનું નામ જાહેર થતાં ભાજપના સાંસદ પ્રભાતસિંહના ઘરમાં જ ભડકો થયો હતો. પ્રભાતસિંહના પત્ની એક કાર્યક્રમને બાદ કરતાં પોતાની પુત્રવધૂ માટે પ્રચાર કરતાં જોવા મળ્યાં નથી. પોતાના બદલે વહુને ટિકિટ મળી હોવાની જાણ થતાં જ પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણે આવેશમાં આવી ફેસબુક પર પ્રભાતસિંહને ધમકી આપી હતી. જેને તેમણે ગણતરીની મિનિટોમાં ડિલિટ પણ કરી નાખી હતી. 77 વર્ષના પ્રભાતસિંહે પોતાના 40 વર્ષના પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે ટિકિટ માગી હતી, અને જો ટિકિટ ન મળે તો પક્ષ છોડી દેવાની પણ ધમકી આપી હતી. રંગેશ્વરીએ પોતાના પતિ સાંસદ પ્રભાતસિંહ અંગે લખ્યું હતું કે, તમે માનું દૂધ પીધું હોય તો કાલોલ પ્રચાર કરવા આવજો, અ મારી ખૂલ્લી ચેલેન્જ છે. કાલોલમાં 21 જણાએ ટિકિટ માંગી હતી, તે બધા શું વાંઢા હતા કે કોઈની પત્નીને નહીં અને સુમન ચૌહાણને જ ટિકિટ આપવામાં આવી ? જેમણે મેન્ડેટ આપેલો છે તેમને પૂછજો કે કેટલાં મતદાન મથક અહીં છે, વિધાનસભા એટલે શું ? કાલોલમાં અઢી લાખ મતદારો છે તેમાંથી કોઈની પત્ની ન મળી ટિકિટ આપવા ?  જો પાર્ટીએ 150 બેઠકો જીતવી હોય તો એવા ઉમેદવારો પસંદ કરવા જોઈએ કે જેમણે જનતા માટે કામ કર્યું છે.

પત્રકારને ધમકી

પોતાની પત્નીને માટે કાલોલ બેઠક માટે ભાજપની ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરવાની ચિમકી 2017માં તેમણે આપી હતી. ત્યારે પણ તેમની સામે કોઈ પગલાં ભરાયા ન હતા. કાલોલ બેઠક માટે તેમના પુત્રવધૂને ટિકિટ ભાજપે આપીને આડકતરી રીતે પ્રભાતસિંહને પડકાર્યા હતા. પણ તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પત્ર લખીને કાલોલ બેઠક અંગે પુનઃવિચારણા કરવા માટે માંગણી કરી હતી. જેનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું. આ પત્ર અંગે એક ટીવી પત્રકારે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભાતસિંહ ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકારનું કાંડુ પકડીને ધમકી આપતાં કહ્યું હતું કે તારે માર ખાવો છે, માર. એમ કહીને તેમણે કેમેરાને હડસેલી દીધો હતો. ત્યાંથી તેઓએ તુરંત ચાલતી પકડી હતી.

શું હતો એ સ્ફોટક પત્ર

25 નવેમ્બર 2017માં સાંસદ પ્રભાતસિંહે પક્ષના પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, કાલોલમાં ભાજપ હારે તો, જવાબદારી મારી નહીં. મારો પુત્ર પ્રવિણ બુટલેગર છે અને સી કે રાહુલજીની ક્વોરીમાંથી 300 પેટીઓ દારૂ મળી હતી તે દારૂની પેટીઓ પ્રવિણની હતી. પ્રવિણ હાલમાં પણ દારૂનો વેપાર કરે છે જેના ભાગરૂપે ભાજપ દ્વારા ચૂંટણી માટે પ્રવિણની પત્નીને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ ચૂંટણીમાં હારશે. સાસુ-વહુ બંનેએ ટિકિટ માંગી હતી, અને પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુને ભાજપે ટિકિટ આપી છે.

 

પ્રવિણસિંહ વિરૂદ્ધ પ્રભાતસિંહ

પ્રભાતસિંહને પાંચ પુત્ર છે ને તેમાંથી સુમનબેનના પતિ પ્રવિણસિંહ બીજા નંબરના છે. પ્રવિણસિંહ બુટલેગર તરીકે કુખ્યાત રહ્યાં હતા. તેઓ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી હારી ગયા હતા. પ્રવિણસિંહે પોતાના પિતા વિશે કહ્યું હતું કે આ ડોહાની મતિ મારી ગઈ છે. અમે તેમને પિતા માનતા જ નથી ને અમે બધાં તેમનાથી ત્રાસી ગયાં છીએ. વિનાશકાળે વિપરિત બુદ્ધિ જેવો તેમનો ઘાટ થયેલો છે. તેમને પોતાની ઉંમરનો મલાજો નથી. 77 વર્ષની તેમની ઉંમર છે તે રંગેશ્વરી તેમની ચોથી પત્ની છે. સાંસદે ટિકિટ પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે માંગી હતી. પરંતુ આ બેઠક માટે પુત્રે પણ દાવો ઠોક્યો હતો. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે તો એટલે સુધી ધમકી આપી હતી કે જો ટિકિટ નહી આપે તો તેઓ પાર્ટી છોડી દેશે. પ્રવીણ સિંહ ભાજપ છોડી 2016 ડિસેમ્બરમાં કોંગ્રેસમાં સામેલ થયા હતાં, પરંતુ 2017માં ભાજપમાં આવી ઘર વાપસી કરી હતી. તેમના પત્ની સુમનબેન ચૌહાણને ટીકીટ મળતા ભાજપનો ભરપુર પ્રચાર કર્યો હતો. અને સુમનબેન ચૌહાણ જીતી પણ ગયા હતા. 4 એપ્રિલ 2018માં પ્રવિણસિંહનું અવસાન થયું હતું.

ગુજરાત સરકારને પડકાર

1 જૂન 2018માં ગુજરાત સરકારે જળસંચય યોજના કરી ત્યારે પ્રભાતસિંહે ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે, આ યોજના પંચમહાલમાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું હતું કે પંચમહાલની નદીઓમાંથી મોટાભાગે ગેરકાયદેસર રેતી ઉપાડી જવામાં આવી છે. તેથી પાણીના સ્તર નીચે ગયા છે. તેથી ચેક ડેમ બનાવે તો પણ પાણીનું સ્તર ઊંચું આવવાનું નથી. જંગલોમાં ગેરકાયદે વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે. તેને રોકવા માટે મેં કહ્યું પણ તેમાં કંઈ થયું નથી. વૃક્ષો વિના વરસાદ ક્યાંથી આવશે. લાડકા અને રેતી ચોરતા વાહવનોની વિગતો તેમણે જાહેર કરી હતી. હું ભાજપનો સંસદ સભ્ય હોવા છતાં મારું અધિકારીઓ સાંભળતા નથી. જે રીતે અત્યારે કામ ચાલી રહ્યું છે તેનાથી ક્યારેય જળસંચય અભિયાન ક્યારેય સફળ નહીં થાય. તુરંત વન પ્રધાન ગણપત વસાવાએ કહ્યું હતું કે, જળસંચય અભિયાનથી પાણીનો સંગ્રહ થશે તેથી દુષ્કાળ પણ નહીં પડે. અભિયાન સફળ રહ્યું છે. આમ અહીં વન પ્રધાન અને ભાજપના સાંસદ જાહેરમાં સામ સામે આવી ગયા હતા.

(દિલીપ પટેલ)