મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાશે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ અનેક નેતાઓ ભાજપ છોડી રહ્યા છે

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે.
મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા માટે ઈચ્છા વ્યક્ત કરી ચુકયા છે પણ મુકુલ રોય ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ પણ છે. તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે ટીએમસીમાં સામેલ થશે. આમ ચૂંટણી બાદ ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણ વિરામ મુકાયુ છે.
ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી રાજીવ બેનરજી અને અન્ય કેટલાક ધારાસભ્યો પણ ફરી ટીએમસીમાં સામેલ થવાની અટકળો પણ તેજ બની છે. મુકુલ રોય પહેલા એવા નેતા હતા જે ટીએમસી છોડીને ભાજપમાં ગયા છે. હવે તેઓ ટીએમસીમાં સામેલ થવા જઈ રહેલા ભાજપના પહેલા નેતા છે.
મુકુલ રોય તાજેતરમાં કોલકાતામાં થયેલી ભાજપની બેઠકમાં પણ નહોતા દેખાયા. એ પછી તેમની પાર્ટી છોડવાની અટકળો તેજ બની હતી. તાજેતરમાં મુકુલ રોયના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે પણ મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસીના નેતા અભિષેક બેનરજી હોસ્પિટલ પહોંચ્યા હતા. એ પછી મુકુલ રોયની ઘરવાપસી થશે તેવી અટકળો તેજ બની હતી.
મુકુલ રોયે ટીએમસી સાથે 2017માં છેડો ફાડ્યો એ પછી તેમણે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપ જોઈન કરાવ્યુ હતુ. હાલમાં તેઓ નદિયા જિલ્લાના ધારાસભ્ય છે. 2021માં વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ વધારે સક્રિય નહોતા જોવા મળ્યા. તેમણે ઝાઝો પ્રચાર પણ નહોતો કર્યો.