મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે નવવધૂઓને લગ્નમાં ૧ તોલો સોનું ભેટમાં આપવાની જાહેરાત કરી ?

ગૌહાટી,તા.21
આસામ સરકાર દ્વારા અરૂંધતિ યોજના અંતર્ગત રાજ્યમાં દુલ્હનને એક તોલા સોનું ભેટ આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને વિના મૂલ્યે એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે.

જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર અને નબળાં છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતિના લગ્ન ૧૮ વર્ષથી પહેલા અને યુવકના લગ્ન ૨૧ વર્ષથી પહેલા થઇ શકે નહીં.

જોકે, આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતા તે પરિવાર લઇ શકે છે, જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. આ ઉપરાંત કેબિનેટની આ બેઠકમાં રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી ઓફિસો અને કામકાજના સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપકીન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઇને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.