23 જૂલાઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગર પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો હતો કે ઉત્તર ગુજરાતમાં 2017માં આવેલા પૂરના કારણે ઘણાંને સહાય મળી નથી અને સરકારના કામો પૂરા નથી થયા એવી ફરિયાદ છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તમામ લોકોને સહાય મળી ગઈ છે અને સરકારી કામો પૂરા થઈ ગયા છે. પરંતુ મુખ્યમંત્રીની પોલ ખોલતી એક વિગત બહાર આવી છે. 2017ના પૂરમાં ઉત્તર ગુજરાતના ચાર ગામોને જોડતો પુલ ધોવાઈ ગયો હતો. આ પુલ તૂટી ગયો હતો તે સ્થળની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી અને અધિકારીઓને આ પુલ બનાવવાનો આદેશો કર્યો હતો. તે આદેશને એક વર્ષ ઉપરાંત થઇ ગયું હોવા છતાં પણ પુલ બન્યો નથી. તેથી ચાર ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે. આદેશ આપ્યો હોવા છતાં એ કામ મંજૂર થઈ ગયા હોવા છતાં પણ સરકારી અધિકારીઓ મુખ્યમંત્રીના આદેશોનું પાલન કરતા નથી. જે આ પૂલ ન બનતા સ્પષ્ટ થયું છે. મુખ્યમંત્રી એટલે કે સરકારને પડકાર ફેંકી રહ્યા હોય એમ અધિકારીઓ કામો પણ કરતા નથી. ઉત્તર ગુજરાતમાં જ્યારે પુર આવ્યું ત્યારે દાંતીવાડા નજીક ડીસા માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ દેખાવ કરવા ખાતર મીની સચિવાલય ઊભું કરી દીધું હતું. પાંચ દિવસ સુધી ડિસામાં રોકાયા હોવાનો ઢોંગ કર્યો. તો સાથે બોડીગાર્ડ રાખીને લોકોની વચ્ચે ફરતા હતા અને લોકોના કામો થાય માટેના આદેશો આપતા હતા. પરંતુ એ કામો થયા છે કે કેમ તે અંગેની તકેદારી પણ લીધી નથી. તેમણે હવાઇ નિરીક્ષણ પણ કર્યું હતું અને પહેલી ઓગસ્ટે દાંતીવાડા ખાતે અર્ધ લશ્કરી દળ – બીએસએફ કેમ્પસ ખાતે ઉતરાણ કરી દાંતીવાડા ડેમ અને પુલ તૂટી ગયો હતો તે સ્થળે ગયા હતા. ભીલાચલ, હરીયાવાડા અને વાસ ગામને સીમાડે પુલ બનાવા સમીક્ષા પણ કરી હતી. કલેક્ટર સાથે ચર્ચા કરીને જે અંગેનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. પૂલ બનાવવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજે કશું થયું નથી.