લજાઈ ગામે ગૌસેવાના લાભાર્થે ૧૦ લાખનો ફાળો: સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટક કરાયું રજૂ

અમારા ગામની ગાયો કદી કતલખાને નહિ જાય તેવા ઉમદા આશય સાથે ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા 51 વર્ષથી ચાલતા સેવાયજ્ઞમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રજૂ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં એક જ રાત્રિમાં રૂપિયા ૧૦ લાખનો ફાળો નોંધાયો હતો.
મોરબી નજીક ૫૧ વર્ષ પૂર્વે ૧૯૬૭માં લજાઈ ગામનાં લોકો દ્વારા કરાયેલા સંકલ્પને પરિપૂર્ણ કરી ગૌવંશને કતલખાને જતું બચાવવા ગૌ સેવાનો અનોખો યજ્ઞ ચલાવવામાં આવે છે. આ સેવા યજ્ઞના ભાગરૂપે નિરાધાર, અંધ, અપંગ ગાયોની સેવા કરવા માટે દર વર્ષે નવરાત્રિમાં લજાઈ ગામના યુવક મંડળ દ્વારા નાટક રજૂ કરી ફાળો એકત્રિત કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગપતિ, ડૉક્ટરોથી લઈ તમામ ક્ષેત્રના લોકો ઉંચ નીચનો ભેદભાવ ભૂલી નાટકના પાત્રો ભજવે છે અને સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવી અદભુત માહોલ ખડો કરે છે.
શુક્રવારે લજાઈ યુવક મંડળના સભ્યો દ્વારા પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય રસિક કોમિક નાટક રજૂ કરવામાં આવતા હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સેવા યજ્ઞમાં એક જ રાતમાં લોકોએ ઉદાર હાથે ફાળો નોંધાવતા ૧૦ લાખ જેવી માતબર રકમ ગૌ સેવા માટે એકત્રિત થઈ હતી. લજાઈ ગામે ચાલતા આ સેવા યજ્ઞ અંગે ગૌશાળાના સંચાલક અને મહંત સોમદત બાપુએ જણાવ્યું હતું કે 51 વર્ષથી આ સેવાયજ્ઞ ચાલે છે અને અમે પુરાતન સંસ્કૃતિ મુજબ ગાયોને પૂજનીય ગણી કતલખાને જતી બચાવવા પ્રયાસ કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે લજાઈ ગામે દર નવરાત્રિમાં દિવાળી જેવાં માહોલ વચ્ચે તમામ બહેનો દિકરીઓ પણ આ ઉત્સવમાં જોડાવા બહારગામથી ખાસ મહેમાન બની અહીં આવે છે અને આ કાર્યક્રમનો આનંદ ઉઠાવે છે.