રાજ્યમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે સરકાર દ્વારા વિશેષ સંવેદનશીલતા દાખવવામાં આવી છે. કિડનીના રોગથી પીડાતા દર્દીઓ તથા તેના પરિવારજનોએ ડાયાલિસીસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. આ પ્રકારના રોગથી પીડાઇ રહેલા દર્દીઓએ નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હોવાથી તેમને સરળતા રહે તથા પોતાના રહેણાંક વિસ્તારથી નજીકનાં સ્થળે જ આ સવલત મળી રહે તે હેતુસર રાજ્યમાં વધુ પ્રમાણમાં અદ્યતન ડાયાલીસીસ સેન્ટર ઉભા કરવામાં સરકારે કટિબદ્ધતા દાખવી છે.
રાજ્યમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ કુલ ૩૮ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ વધુ છ સ્થળોએ અદ્યતન ડાયાલિસિસ સેન્ટર રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
ધારાસભ્યએ બનાવ્યું સેન્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫૦ કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે એવું કહ્યું હતું કે, દેશનાં ૪૫૦ જિલ્લાઓમાં ડાયાલિસીસ સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. પણ ગુજરાતમાં ખાટલે મોટી ખોટ એ છે કે ગ્રામીણ વિસ્તારને સાંકળતા મોટા તાલુકા મથકોએ ડાયાલિસીસ સેન્ટરો નથી. રાજુલા જનરલ હોસ્પિટલના નવા બિલ્ડીંગ દોઢ વર્ષ પહેલા કરોડો રૂપીયાના ખર્ચે બનાવાયું છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર તાલુકા વિસ્તારોમાં ડાયાલિસીસના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે તેવા દર્દીઓને ડાયાલિસીસ કરાવવા મહુવા કે સાવરકુંડલા જવુ પડે છે. અંબરીષ ડેરે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને સંભાળવતા નિતીનભાઈ પટેલ સમક્ષ લેખિત અને મૌખિકમાં અનેકવાર રજુઆત કરી હતી. તેમ ન થતાં તેમણે પોતે પોતાના ખર્ચે આવું સેન્ટર સ્થાપિત કરવું પડ્યું છે.