સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભવિદ્યાનગર નામ નર્મદા બંધની યોજના તૈયાર કરનાર ભાઈકાકાએ આપ્યું છે. જ્યાં નગરપાલિકામાં ભાજપના તમામ સભ્યો છે, એક સભ્ય પણ વિપક્ષમાં નથી. આવું અગાઉની ચૂંટણીમાં થયું હતું. 2013માં પણ ભાજપ એક માત્ર પક્ષ ચૂંટાયો હતો. કોંગ્રેસ કે બીજા કોઈ વિરોધ પક્ષમાં ન હતું. સતત 10 વર્ષ સુધી એક જ પક્ષને સત્તા આપવાના માઠા પરિણામ લોકશાહી વિરૃદ્ધ કેવા આવી શકે છે તે પોલીટીકલ સાસંયના વિદ્યાર્થીઓ માટે વલ્લભ વિદ્યાનગર, કુતિયાણા, ઝાફરાબાદ, સલાયાનો અભ્યાસ કરવા જેવો છે.
બીજી વખત 20 બેઠક ભાજપને
19 ફેબ્રુઆરીએ 75 નગરપાલીકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં વલ્લભવિદ્યાવગર નગરપાલિકામાં તમામ 20 બેઠક પર ભાજપની જીત થઈ હતી. તેની અવળી અસર હવે દેખાઈ રહી છે. કોઈ વિરોધ કરનાર ન હોવાથી ત્યાં ભાજપના સભ્યો દાદાગીરી, ભ્રષ્ટાચાર અને અનીતિ પર ઉતરી આવ્યા છે. કારણ કે ત્યાં તેનો વિરોધ કરનાર અને પોલ ખોલનાર કોઈ સભ્ય જ પ્રજાએ ચૂંટીને મોકલેલા નથી. કોંગ્રેસને સફેદ ચૂનો લાગી ગયો હતો.
અધિકારીને ધમકી આપી
હવે તેના ખતરનાક પરિણામ આવી રહ્યાં છે. લોકશાહીમાં વિરોધ પક્ષનું શું મહત્વ છે તે જાણવા માટે વલ્લભવિદ્યાનગરના વહિવટમાં જે કંઈ થઈ રહ્યું છે તે સમજવું પડે તેમ છે. અહીં ભ્રષ્ટાચારે હવે માજા મૂકી છે. ભ્રષ્ટાચાર ન કરે તો ભાજપના સભ્યો અધિકારીને ભ્રષ્ટાચાર કરવા માટે ધમકી આપે છે. ધમકી આપીને તેઓ હવે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. વલ્લભવિદ્યાનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ જે બાબાભાઈ તરીકે પણ ઓળખાય છે. કન્સલ્ટંટના કામ માટે જે અંદાજીત ભાવ નક્કી કરાયા હતા તેના કરતાં 4.75 ટકા ઊંચા ભાવે કામ આપવા માટે મહેન્દ્ર પટેલે મુખ્ય કારોબારી અધિકારી મયુર જોશીને ધમકી આપી છે. તેઓ અધિકારીની ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને અધિકારીને કહી દીધું કે અમે કહીએ તેમ કરવું પડશે. નહીંતર શ્****** તારી બદલી ગાંધીનગર કહેવડાવીને કરી દઈશ. તેથી અધિકારી ફફડી ઉઠ્યા હતા. તેમ છતાં તેમણે ભાજપના નેતાને કહી દીધું હતું કે નિયમ વિરૃધ્ધ એક પણ કામ નહીં કરું. તેમ કહેતાં ભાજપના નેતાએ તેને મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી તેઓએ તેમની કચેરી છોડીને ભાગી જવું પડ્યું હતું. વિકાસ ગાંડો અને ભ્રષ્ટ થયો હોવાના મેસેજીસ તુરંત વલ્લભવિદ્યાનગર, આણંદ, નડિયાદ અને ખેડામાં વહેતાં થયા હતા. સત્તામાં જ્યારે વિરોધ પક્ષ જ ન રહે ત્યારે લોકોના પૈસાની કેવી હાલત થઈ શકે છે તે આ શહેરના શાસકોએ બતાવી આપ્યું છે. અહીં નીમ્ન કક્ષાનું રાજકારણ શરૂ થયું છે. અધિકારીએ પોલીસ રક્ષણ વગર કચેરીએ નહીં જવા માટે જાણ કરી દીધી છે. તેમના જીવને જોખમ હોવાનું તેમણે જાહેર કર્યું છે. અહીં ભાજપના નેતાઓ ઈટેન્ડરીંગ કરતાં નથી. ભાજપના સંસદ સભ્ય કે ભાજપના કોઈ નેતા આ ભ્રષ્ટાચાર રોકવા માટે કોઈને કંઈ કહેતાં નથી.
2018ની ચૂંટણીમાં શું થયું
ફેબ્રુઆરી 2018માં 77 નગરપાલિકામાંથી ભાજપનો 47માં વિજય થયો હતો. 16 કોંગ્રેસ પાસે રહી હતી. 1 એનસીપી, 1 બીએસપી, 6માં મિશ્ર, 4 અપક્ષો લઈ ગયા હતા. 2060 બેઠકોની ચૂંટણીમાં ભાજપને 1167, કોંગ્રેસને 630, અન્યને 263 બેઠકો મળી હતી. ભાજપને 56 ટકા બેઠકો મળી હતી. 63 ટકા નગરપાલિકા પર ભાજપને સત્તા મળી હતી.
વલ્લભવિદ્યાનગર અને જાફરાબાદ નગરપાલિકામાં તમામ સભ્યો ભાજપના જ ચૂંટાયા છે. જાફરાબાદમાં તો ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીની ધાકના કારણે આમ થયું છે.
2013માં 6 નગરપાલિકામાં એક જ પક્ષ ચૂંટાયો
2013માં નગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે 75માંથી 6 નગરપાલિકા એવી હતી કે જ્યાં એક પણ વિરોધ પક્ષ ન હતો. 6 માંથી ભાજપ પાસે 5 નગરપાલિકા હતી. જેમાં ન તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે રહ્યો હતો કે ન તો અપક્ષ જીત્યો હતો. આ ઘટના લોકશાહી માટે અત્યંત ગંભીર ગણાય છે. કારણ કે સત્તાધારી પક્ષ જ્યારે ખોટું કરે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવનાર પ્રતિ પક્ષ હોવો જોઈએ. નહીંતર બે મર્યાદ સત્તા શાસક પક્ષ પાસે સરી જતી હોય છે. તેમ ન થાય ત્યારે કમસે કમ એક વિપક્ષી સભ્ય તો હોવા જ જોઈએ. અલબત્ત પ્રજાએ મત આપીને આવો ચૂકાદો આપ્યો હતો. પરંતુ અડધા કરતાં વધારે પાલિકાઓ એવી હતી કે જ્યાં ધાકધમકી અને ડરના માર્યા સ્થાનિક લોકો ઉમેદવારી કરવા તૈયાર થયા ન હતા. કુતિયાણામાં આવું જ થયું હતું. જ્યાં ધમકીઓ આપીને બેસાડી દેવાયા હતા.
કઈ નગરપાલિકા હતી
2013માં માત્ર ભાજપના સભ્યો ચૂંટાયા હતા તે નગરપાલિકામાં ચાણસ્મા – 21, વલ્લભવિદ્યાનગર – 26, કોડીનાર – 27, રાપર – 21, સલાયા – 27, કુતિયાણામાં 12નો સમાવેશ થયો હતો.
સરકારની આર્થિક ગુંડાગીરી
એક પાલિકા એવી હતી કે જેને સરકારે 15 વર્ષ સુધી ગ્રાન્ટ આપવાના ઠાગાઠૈયા કર્યા હતા. તેથી તે પુરી બોડી ભાજપ જતી રહી હતી, કારણ કે તેને વિકાસ કરવો હતો. વિકાસ થાય તો જ ભ્રષ્ટાચાર થઈ શકે તેમ હતું. જે તમામ અપક્ષમાંથી ચૂંટાયા હતા. આમ સ્થાનિક કક્ષાએ ગુંડાગીરી થાય છે એવું નથી સરકાર પણ નાણાકીય ગુંડાગીરી કરી શકે છે. વિપક્ષ સતત જ્યાં ચૂંટાય છે ત્યાં આવી નાણાકીય નાલાયકી સરકાર કરે છે. જેથી મતદાર અને શાસક બન્ને પરેશાન થાય છે. ભાજપ સતત એવી જાહેરાત કરે છે કે કોંગ્રેસ દેશમાંથી સાફ કરી દઈશું. પણ જો ખરેખર કોઈ વિરોધ પક્ષ જ ન રહે તો શું થઈ શકે તે વિદ્યાનગરી એવી વલ્લભવિદ્યાનગર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.