કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારીને 30-9-2018 સુધી કરવામાં આવી છે. 31 મે 2018 સુધીમાં કાયમી ધોરણે વીજ જોડાણો સરકારી વીજ કંપનીએ કાપી કાઢ્યા છે તેમને લાભ મળશે. જેનાથી વીજ કંપનીઓને રૂ.67 કરોડ જેટલું ભારણ પડશે. ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી માફી યોજનામાં ફેરફાર કરી મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો માટે સ્કાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. સ્કાય યોજનાનો લાભ કાયમી ધોરણે જેમના વીજ જોડાણો કાપી કઢાયા છે કે બંધ થયેલ છે તેવા ખેડૂતો પણ લઇ શકે તે માટે લાભ આપવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ગ્રાહકો બીલની મૂળ રકમ ભરપાઇ કરે તો વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. વીજ જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત રૂા.૬૪.૫૨ કરોડની રકમ માફ કરવાની થશે. જયારે સ્ટ્રીટ લાઇટ અને જાહેર હેતુ માટેના જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત રૂા. ૨.૨૫ કરોડની રકમ માફ કરવાની થશે. કેટલા લોકોને કે સંસ્થાઓને તેનાથી ફાયદો થશે તે સરકારે જાહેર કર્યું નથી.