સજીવ ખેતી પરની પ્રથમ ફિલ્મ કચ્છના ભુજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ‘જાગ્યા ત્યારથી સવાર’ ફિલ્મનું નિર્માણ કરાયું છે,જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જાગ્યા ત્યારથી સવાર ફિલ્મનું શૂટિંગ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પ્રાંગણમાં માધાપર અને કુકમામાં જ કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના જ કચકડે મઢાયા છે. મહેશભાઈ અને મનોજભાઈ સોલંકી ગૌ ઉત્થાન અને સજીવખેતી ક્ષેત્રે બે દાયકાથી કાર્યરત છે.
કેમીકલ ખેતીના લીધે જમીન ખરાબ થઇ રહી છે,જેનાથી લોકોનું સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું છે. બીજા પાસામાં જમીન નબળી પડતા અને વળતર ન મળતા યુવાનો ખેતી છોડી રહ્યા છે. આ બધીજ પરિસ્થિતિ આજે સર્જાઈ છે. આ વિષય પર સુનિલભાઈ માંકડ અને દીપ ધોળકિયાએ આ ફિલ્મની વાર્તા લખી છે, યુવા ડાયરેક્ટર સનીકુમાર પરીખનું નિર્દશન છે.
મનોજભાઈ સોલંકીએ જણાવ્યુ કે, અત્યંત આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી બનેલી આ ફિલ્મ થીમ બેઝડ છે, એક્ટર કે સ્ટોરી બેઝડ નથી. 20 વર્ષનો જૈવિક ખેતીનો અનુભવનો નિચોડ આ ફિલ્મમાં ઉતારવામાં આવ્યો છે. ભવિષ્યમાં પર્યાવરણના મુદ્દે પણ ફિલ્માંકન કરવાનું તેમને લક્ષ્યાંક વ્યક્ત કર્યું હતું. આ ફિલ્મમાં કચ્છના જાણીતા કવિ મહેશભાઈ સોલંકી ‘બેનામ’ લિખિત ગીતો વાર્તાને અનુરૂપ છે. હીરોની ભૂમિકામાં રાધે વરુ, વિલન પ્રકાશ શુક્લ, હિરોઈન તરીકે કંવલજીત ટફ, ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા દેવેન્દ્ર પંડિત પણ મુખ્ય પાત્રોમાં છે.