સરકારી હોસ્પિટલો પૂછે છે સવાલઃ નીતિનભાઈ, પ્રદિપસિંહ અમારા પર ભરોસો નહિ કે ?

એકબાજુ રાજ્ય સરકાર લોકોનાં આરોગ્યની સુખાકારી માટે સરકાર હસ્તકની હોસ્પિટલોમાં અદ્યતન સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને આ હોસ્પિટલોમાં પ્રજા સારવાર કરાવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તો બીજી બાજુ રાજ્યનાં જ મંત્રીઓ અને અધિકારીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવાનાં બદલે ખાનગી હોસ્પિટલોનો સહારો લે છે ત્યારે, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યનાં મંત્રીઓ કરાવવા લાગ્યા ખાનગી હોસ્પિટલોમાં સર્જરી
ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે, પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા પછી હવે નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરૂવારે મુંબઇ પહોંચી ગયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, સમગ્ર દેશમાં ગુજરાત 25000 ઘૂંટણની સર્જરી સાથે પ્રથમ નંબરે છે. આવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને જેમની પાસે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પણ હવાલો છે તેવા નીતિન પટેલ મુંબઇ બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે. આવી ખાનગી હોસ્પિટલોમાં આ સારવારનો ખર્ચ ખૂબ જ મોટો હોય છે, તો બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં પણ આ પ્રકારની સર્જરી ઓછા ખર્ચમાં થઈ શકે છે. આટલું ઓછું હોય એમ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત નામની યોજના દેશમાં અમલી કરાવી છે અને ગુજરાતમાં પણ આ યોજના સફળતાપૂર્વક અમલી કરાવવામાં આવી છે ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યની સરકારી હોસ્પિટલ કે વડાપ્રધાનની આ યોજના છોડીને કેમ મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં ગયા એ એક મોટો યક્ષ પ્રશ્ન છે.
વિદેશના નાગરિકો પણ ઘૂંટણની સર્જરી માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે. આવા સંજોગોમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરૂવારે પહોંચ્યા છે. તેમના ઘૂંટણની સર્જરી શુક્રવારે થઈ છે. નીતિન પટેલ પર શુક્રવારે સર્જરી થઇ ગયા પછી તેઓ રવિવારે ગુજરાતમાં પરત ફરશે તેવું હાલના તબક્કે આયોજન છે. ઉલ્લેખનીખ છે કે, નીતિન પટેલ છેલ્લા બે વર્ષથી ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાતા હતા. તબીબની સલાહ પછી તેમણે ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કરતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું ઓપરેશન પણ HCG હોસ્પિટલમાં થયું
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મ્હોંનું કેન્સર હોવાનું નિદાન થતાં ગયા સોમવારે સાંજે તેમની સર્જરી કરવામાં આવી હતી. સોમવારે બપોરે પ્રદીપસિંહ જાડેજાને અમદાવાદની ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલની કક્ષામાં આવતી HCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલે તેમના હેલ્થ બુલેટિનમાં જાહેર કર્યું હતું. ડો. કૌસ્તુભ પટેલ (કેન્સર સર્જન) અને તેમની ટીમે પ્રદીપસિંહ જાડેજાની સર્જરી કરી હતી જે લગભગ સાત કલાક જેટલી લાંબી ચાલી હતી. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. લગભગ એક અઠવાડિયા પહેલા પ્રદીપસિંહને મ્હોંનું કેન્સર ડિટેક્ટ થયું હતું. પ્રદીપસિંહ જાડેજાને હજુ ત્રણ-ચાર દિવસ સુધી તેમને ICUમાં રાખવામાં આવશે.

અગાઉ રાજ્ય સરકારનાં એક મંત્રીએ પણ મુંબઈની હોસ્પિટલમાં કરાવી હતી સારવાર
નરેન્દ્ર મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતાં આવેલાં અને કોળી સમાજનાં અગ્રણી ગણાતાં પરસોત્તમ સોલંકી ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી વર્ષોથી પીડાય છે. તેમણે પણ થોડાં સમય પહેલાં મુંબઇમાં આવેલી એક કોર્વેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જોકે હવે તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોતાની સારવાર માટે અવારનવાર આવવાનું શરૂ કરી દીધું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી વિઠ્ઠલ રાદડિયાએ પણ ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રનાં મજબૂત નેતા ગણાતાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત ગયા વર્ષે ખૂબ જ બગડી ગઈ હતી. જેનાં કારણે તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થવું પડ્યું હતું. અને લગભગ એકાદ મહિનો સુધી તેમની સારવાર ચાલી હતી. આ સારવાર પાછળ ઘણો મોટો ખર્ચો પણ થયો હોવાનું કહેવાય છે અને તે સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

સરકારી હોસ્પિટલો કે ગુજરાતના ડોક્ટરો પર જ ભરોસો નથી કે શું?
ગુજરાત સરકાર તરફથી અવારનવાર સરકારી હોસ્પિટલો અને તેમાં મળતી સારવાર અંગે ગુણગાન ગાવામાં આવે છે. એટલું જ નહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આખા રાજ્યમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને તેના પરિણામ વિશે ખુદ સરકાર વાહવાહી કરતી હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે પ્રદીપસિંહ તાબડતોબ એક ખાનગી હોસ્પિટલમાં કેમ દોડી ગયા? તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે ખાનગી હોસ્પિટલ પર જ કેમ પસંદગી ઉતારી? શું તેમને સરકારી હોસ્પિટલોનાં ડોક્ટરો પર ભરોસો નહોતો?

ગુજરાતમાં થતી ની-રિપ્લેસમેન્ટ ઉપર કરીએ નજર
હવે ગુજરાતમાં થતી ની-રિપ્લેસમેટન્ટનાં આંકડાઓ પર એક નજર કરીએ. ઘૂંટણની 25,000 સર્જરી સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં આખા વર્ષમાં 1.60 લાખ જેટલી ની-રિપ્લેસમેન્ટની સર્જરી થાય છે, જેમાંથી એકલા ગુજરાતમાં જ 25 હજાર સર્જરી થાય છે. એટલે કે દેશમાં થતી કુલ સર્જરીમાંથી એકલા ગુજરાતમાં જ 16% સર્જરી થાય છે. એટલું જ નહીં વિદેશથી પણ લોકો ઘૂંટણની સર્જરી માટે ગુજરાત દોડી આવે છે. ખાનગી હોસ્પિટલો જ નહીં અહીંની સરકારી હોસ્પિટલોમાં પણ આવી સર્જરી માટે ખૂબ જ અદ્યતન ટેક્નોલોજી અને સુવિધા છે. આટ આટલી સુવિધાઓ છતાં નાયબ મુખ્યમંત્રી મુંબઈ દોડી જાય ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાત અનેક સરકારી મોટી હોસ્પિટલો છે કે જ્યાં તમામ પ્રકારના રોગોની સારવાર મળી શકે છે. આમ છતાં ગુજરાત સરકારના જુદાજુદા મંત્રીઓ મોટેભાગે પોતાની નાની-મોટી બીમારી કે રોગોની સારવાર કરાવવા માટે સરકારી હોસ્પિટલને પસંદ કરતા નથી, પરંતુ મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે.

સોશિયલ મીડિયા પર પણ ઉડી રહી છે મજાક
આ બાબતને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી છે જેમાં લોકો એકબીજાને જણાવી રહ્યા છે કે એક બાજુ સરકાર અને આરોગ્ય મંત્રી આપણને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપતા હોય છે પરંતુ હવે પોતાને તકલીફ થઇ છે ત્યારે તેઓ લક્ઝુરિયસ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સારી સારવાર કરી શકે તેમ નથી કે પછી સરકારના મંત્રીઓને પોતાના પર વિશ્વાસ નથી.

રાજ્યનાં મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવાનાં બદલે ખાનગી હોસ્પિટલમાં કરાવાઈ રહેલી સારવાર મામલે લોકોમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે, ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ ખૂબ જ આવતો હોય છે ત્યારે આ મંત્રીઓ અને અધિકારીઓની સારવારનો ખર્ચ તેઓ પોતાનાં ખિસ્સામાંથી આપે છે કે રાજ્ય સરકારની તિજોરી પર તેનો બોજ નાંખે છે.