છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી છે. એકબાજુ દેવાં માફીની માંગણી સરકાર સાંભળતી નથી તો બીજી બાજુ અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં પાણીની અછત ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોને હાલત વધુને વધુ કફોડી બની રહી છે. આવી વિવિધ માંગણીઓને લઈને સુરેન્દ્રનગરમાં તેમ જ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં છે.
સરકાર સામે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમો, સિંચાઈ માટે પાણી અને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે જિલ્લા કોંગ્રેસના સભ્યો સહિત ખેડૂતો અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં કોંગ્રેસનાં ધારાસભ્યો જોડાયાં હતાં. ખેડૂતોની દુશ્મન બનેલી સરકારને જગાડવા માટે છેલ્લાં કેટલાંય સમયથી ધરતીપુત્રો આંદોલન કરી રહ્યાં છે, પરંતુ બહેરી સરકારનાં કાને વાત અથડાતી નથી. આ સંજોગોમાં ખેડૂતોને કોંગ્રેસ પક્ષે સમર્થન કર્યું છે અને તેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પ્રશ્નોનાં સત્વરે ઉકેલ માટે આંદોલન શરૂ કર્યું છે. તેમ છતાં પણ જો રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાને સ્વીકારી કોઈ યોગ્ય નિર્ણય નહિ કરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
તો બીજી બાજુ જેતપુર તાલુકામાં ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. નવતર વિરોધ ખેડૂતો દ્વારા ગળામાં દોરડા બાંધી ફાસો આપતા હોય તેમ એક સાથે દોરડા બાંધીને વિરોધ કર્યો હતો. મામલદાર કચેરીએ ખેડૂતો બેનર સાથે પહોંચ્યા હતા. પાણીની પાઈપ લાઈન નાંખવા બાબતે ખેડૂતોને કાયમી ધોરણે ભાડાપટાની લીઝ ઉપર આપવી. બિનખેતી વિસ્તારમાં ચાલતી પાઈપ લાઈનની કામગીરીમાં ખેડૂતોને ચાર ગણું વળતર આપવું અને જ્યાં પાઈપ લાઈનની કામગીરી પુર્ણ થઈ ગઈ છે એવા વિસ્તારનાં ખેડૂતોને પાકનું નુકસાનીનું વળતર સત્વરે આપવામાં આવે જેવી માગણીઓને લઇને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જો આ માંગણીઓ સત્વરે નહિ સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધરતીપુત્રોનાં દેવાંમાફીને લઈને પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલ દ્વારા ઓગસ્ટમાં આમરણાંત ઉપવાસનું આંદોલન કરવામાં આવ્યું હતું. તેમ જ કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભાનાં બે દિવસીય ચોમાસા સત્રનાં પહેલાં દિવસે ખેડૂત આક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યનાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ખેડૂતો દ્વારા તેમની આ માંગણીઓને લઈને છેલ્લાં કેટલાંક સમયથી આંદોલન કરવામાં આવી રહ્યાં છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની માગણી સ્વીકારે છે કે નહિ.