અમદાવાદઃ આશ્રમરોડ ઉપર આવેલા સેલ્સ ઈન્ડિયાના શો રૂમમાંથી તસ્કરો રૂ. 20 લાખની કિંમતના 111 મોબાઈલ ફોન ચોરી જતા પોલીસ દોડતી થઇ છે. મહત્વની વાત તો એ છે કે શો રૂમની બહાર 2 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે તહેનાત હોવા છતાં ચોરો ચોરી કરી ગયા હતા. જ્યારે શો રૂમની અંદર અને બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરોની ભાળ મેળવવા પોલીસે રોડ પરના તેમજ અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.
શો રૂમ બંધ કરતી વખતે અંદરના અને બહારના સીસીટીવીની સ્વિચ બંધ કરી દેતા હોવાથી ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ નથી
જુહાપુરા જર્ફ ડેરી સામેના ક્લાસિક વેલામાં રહેતા મુન્તિયાઝઅલી ઈનાયતઅલી સૈયદ(49) 14 વર્ષથી આશ્રમરોડ પરના સેલ્સ ઈન્ડિયામાં નોકરી કરે છે અને છેલ્લા 4 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુરુવારે રાતે 213 મોબાઈલ ફોન સહિતની પ્રોડક્ટનું સ્ટોક લિસ્ટ તૈયાર કરીને મુન્તિયાઝઅલી તેમજ અન્ય સ્ટાફ મેમ્બરો ઘરે ગયા હતા. જ્યારે સવારે આસિસ્ટન્ટ મેનેજર સુરેશકુમાર સોહનલાલ કલાલે શો રૂમે આવીને જોયું તો આશ્રમરોડ બાજુની દુકાનના 2 શટરમાં તાળાં મારેલાં હતાં.