ભાવનગર-વેરાવળ હાઈવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની જમીન જપ્ત ન કરવા વડી અદાલતે આદેશ કર્યો છે. એક લાખ જેટલા ખેડૂતોને રાહત આપી છે. જમીન સંપાદન માટે જંત્રી અને માર્કેટ વેલ્યુના તફાવતને ગણતરીમાં લેવામાં આવે છે. તેમજ તફાવત ગણતરીમાં લીધા વિના વળતર નક્કી થઈ શકે નહીં. જેથી જંત્રીની ઓછી કિંમતનું પુન:મૂલ્યાંકન કરવામાં આવે. તેમજ જમીન સંપાદનના કાયદાની જોગવાઈનું પણ પાલન કરવા કોર્ટે તાકીદ કરી છે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને વેરાવળ-ભાવનગર હાઈવે માટે જમીન સંપાદન કરીને ખેડૂતોને નિયમ કરતા ઓછું વળતર હોવાથી ખેડૂતોએ રાજયની વડી અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. એક્સપ્રેસ હાઈવે તથા ભાવનગર-વેરાવળ હાઈવે માટે સંપાદીત કરેલી જમીનનું વળતર વર્ષ 2011ની જંત્રી પ્રમાણે કરવામાં આવ્યું છે. હાલના માર્કેટ ભાવ પ્રમાણે વળતર ચુકવવામાં આવ્યું નથી. એટલું જ નહીં અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને પુનઃવસન માટે જોગવાઈનું પણ અધિકારીઓ દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત માળખાત સુવિધાઓ પણ અસરગ્રસ્તોને પુરી પાડવામાં આવી નથી. તેમજ અધિકારીઓ એમ કહે છે કે, જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા વધારે રાહત આપશે ત્યારે વધુ વળતર આપવામાં આવશે. તો પછી ભવિષ્યમાં વળતર આપવાનું હોય તો અત્યારથી જમીન સંપાદન કરવાનો કોઈ મતલબ રહેતો નથી. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને રાહત આપીને જમીન સંપાદનના આદેશને રદ કરવા નિર્દેશ કર્યો છે. અરજીની સુનાવણીમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલીક તૂટીઓ સ્વીકારી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશથી રાજયના લગભગ એક લાખ જેટલા ખેડૂતોને ફાયદો થશે. હાઈકોર્ટે અધિકારીઓને જમીન સંપાદનના કાયદાની જોગવાઈઓનું પાલન કરવા તાકીદ કરી છે.