૨૭મી નવેમ્બર ૨૦૧૮થી ૧લી ફે્બ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૫ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને શાળા એ નહી જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ, અંધજન, બહેરામુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ૧,૧૧,૧૪૬ સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરાશે.
ગત વર્ષે ૧,૫૫,૧૪,૮૯૯ બાળકોના આરોગ્યની તપાસ કરીને ૯૯ ટકા કરાઇ હતી. જેમાં ૧૯,૬૧,૮૯૦ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૧,૮૪,૧૪૮ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો હતો. ૯૯,૨૧૦ બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત ૨૨,૯૩૨ બાળકોને હૃદયરોગ, ૩૫૦૮ બાળકોને કિડનીરોગ, ૧૮૪૩ બાળકોને કેન્સર રોગ, ૬૨૬ ક્લેપ લીપ/પેલેટ, ૫૩૦ ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઇમ્પલાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી.
આરોગ્ય સચિવ અને કમિશનર જયંતી રવિએ રાજ્યમાં યોજાનાર શાળા આરોગ્ય કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું કે, તા.૨૭મી નવેમ્બરથી શુભારંભ થતા રાજ્યવ્યાપી આ કાર્યક્રમમાં સરકારી તથા ખાનગી શાળાના ૧,૫૯,૨૯,૪૦૦ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે જેમાં ૧૭૦૦ મેડીકલ ઓફિસર, ૧૩૦૦ આયુષ ડોક્ટર, ૧૨,૮૨૪ ફિમેલ હેલ્થ વર્કર, ૧૦,૧૪૧ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ૨૨૫૫ સ્ટાફ નર્સ,૧૬૨૯ આરબીએસ ડોક્ટર, ૧૧૫ આરબીએસ ફાર્માસીસ્ટ, ૩૫૪ આરબીએસ ફિમેલ હેલ્થ વર્કર, ૭૨,૨૧૩ આંગણવાડી કાર્યકર બહેનો, ૨૩૮૮ મુખ્ય સેવિકા બહેનો, ૫૫,૩૪૬ આશા બહેનો તથા ૨૨,૫૧,૪૪ પ્રાથમિક શિક્ષકો સેવા આપશે.