18ર ધારાસભ્યોના માહિને રૂ.45,000 જેટલા પગાર વધારા માટેનું બિલ સરકાર દ્વારા તૈયાર કરી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા આ બિલને સહમતી આપી બંને પક્ષ દ્વારા મોંઘવારીની વાત આગળ ધરી તમામ ધારાસભ્યના પગાર વધારાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. ત્યારે જનતા વતી આંદોલનકારી પ્રવિણ રામે તમામ 18ર ધારાસભ્યોને લેટર લખી 79 દિવસમાં જવાબ માંગ્યા જેવા કે, ધારાસભ્યના પગાર વધારી ધારાસભ્યોએ પોતાની મોંઘવારીની તો ચિંતા કરી પરંતુ અત્યારે ગુજરાતના અંદાજિત 20 થી 25 લાખ જેટલા ફિકસ પગાર, કોન્ટ્રાકટ, આઉટસોર્સ, મઘ્યાહન ભોજન, સફાઈ કર્મચારી તેમજ આશા-આશા ફેસિલેટર અને આંગણવાડી જેવા કર્મચારીઓ પણ આવા મોંઘવારીના સમયમાં ખૂબ નજીવા વેતનમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહયા છે અને આ બાબતની ઘણાવર્ષોથી રજૂઆતો પણ કરી રહયા છે. ત્યારે આવા મોંઘવારીના સમયમાં આ તમામ નાના કર્મચારીઓનો ધારાસભ્યોની જેમ પગાર વધારો થવો જોઈએ. એ માટે તમામ ધારાસભ્યનો લેખિતમાં સ્પષ્ટ અભિપ્રાય માંગવામાં આવ્યો.
ધારાસભ્યોના પગાર વધારા કરી ધારાસભ્યે પોતાની મોંઘવારીની તો ચિંતા કરી પરંતુ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની 6 કરોડ જનતાને પણ મોંઘવારી નડી રહી છે. ત્યારે જનતાને મોંઘવારીથી બચાવવા તમામ પ્રકારના દેવા માફ અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ કે નહીં ? એ માટે પણ તમામ ધારાસભ્યોનો અભિપ્રાય માંગવામાં આવ્યો. 3 ઓકટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે ધારાસભ્યોના પગાર વધારાના વિરોધમાં અને જનતાનાહિતમાં 3 દિવસના ધરણા કરી આંદોલન ઉગ્ર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.