3 વાગ્યે બ્રાઉન રણ ખાલી કરાવી દેવાયુ, 10 હજાર પર્યટકો પરેશાન

કચ્છના મોટા રણમાં આવેલા ધોરડો ખાતે પર્યટકો પરેશાન થઈ ગયા હતા. સફેદના બદલે બ્રાઉન બની ગયેલા આખા રણને બપોર બાદ 3 કલાકે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. હજારો મુલાકાતીઓને પ્રવેશવા દેવાયા ન હતા. રાષ્ટ્રપતિ આવવાના છે એવું અહીં અગાઉથી જાણ કરી ન હોવાથી પ્રવાસીઓ પરેશાન હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણની પહેલી મુલાકાત લઈ રહ્યા છે. ધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી ગયા હતા. ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઇન્ટની સાંજે 7 કલાકે મુલાકાત લેઈને સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યા બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ ટેન્ટ સિટી માં જ કરશે. તારીખ ૩૦મીની સવારે બીજા દિવસે સફેદરણમાં વહેલી સવારે સૂર્યોદયનો અનુભવ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ધોરડોથી નીકળી સાસણગીર જશે.
વર્ષ 2017-18માં રાજ્યમાં 5 કરોડ કરતાં વઘારે પ્રવાસીઓ આવી ગયા છે. રણમાં 5 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાંથી 75000 જેટલા પર્યટકોએ ટેંટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ધોરડોની આસપાસ લગભગ 787 જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે.
ધોરડો ખાતે આ ટેન્ટ સીટીમાં સુરક્ષા નો પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પોલીસ તંત્ર, ખાનગી સિક્યોરીટી અને ક્લોઝ સર્કીટ કેમેરા દ્વારા આ ટેન્ટસીટી ને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે , 24 કલાક ડોક્ટર સાથેની મીની હોસ્પિટલ ઉપરાંત સીનીયર સિટીઝન્સ માટે ગોલ્ફ કાર ની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે .
યાત્રીઓની અવર – જવર માટે BSF ચેક પોસ્ટથી વોચ ટાવર સુધી નિશુલ્ક બસ અને ઊંટગાડીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. આ રણ ઉત્સવને કારણે પ્રવાસીઓ દ્વારા કરાતા ખર્ચથી અનેક સ્થાનિક લોકોના ધંધા રોજગારને વેગ મળ્યો છે, જેથી આવકમાં વધારો થયો છે.