32 તાલુકાઓને રૂા. 8 કરોડ અપાયા

રાજ્યમાં માળખાગત સવલતોનો વ્યાપ વધે અને વિકાસ કામોમાં વેગ આવે તે આશયથી રાજ્ય સરકારે 32 તાલુકાઓને રૂા. 8 કરોડની ફાળવણી કરી છે. તેમજ બનાસકાંઠા જિલ્લાને પણ રૂા. 5 કરોડ ફાળવવામાં આવ્યા છે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યના લાલપુર, વસો, ખાંભા, આમોદ, વડાલી, ગાંધીનગર, રાણપુર, કડાણા, કુતિયાણા, ઉના, ખંભાળીયા, સોનગઢ, બાયડ, સંખેડા, નવસારી, આહવા, સાણંદ, પલસાણા, ગોંડલ, વડોદરા ગ્રામ્ય, ઉમરાળા, કપરાડા, માળિયા હાટિના, ખેરાલુ, ધાનપુર, ઘોઘંબા, મૂળી, ડેડિયાપાડા, મોરબી, ભૂજ, તારાપુર અને પાટણ મળી કુલ 32 તાલુકાઓ માટે તાલુકા દીઠ રૂા. 25 લાખ લેખે રૂા. 8 કરોડ મંજૂર કરાયા છે જેમાંથી સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રૂા. 5 કરોડની ફાળવણી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ કરાઇ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ નગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂા. 2.50 કરોડ તથા બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ વિકાસ કામો માટે રૂા. 2.50 કરોડ ખર્ચાશે એમ વધુમાં જણાવાયું છે.