સંપૂર્ણ દેશ ખંત, ધૈર્ય અને સહનશીલતા દર્શાવીને પડકારનો સામનો કરી રહ્યો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પડકારને દેશનાં નાગરિકો ખંત, ધૈર્ય અને સહનશીલતા દાખવી રહ્યાં છે. તેમણે મહાત્મા ગાંધીનાં એ શબ્દો ટાંક્યા હતા કે, ગરીબો અને વંચિતોની સેવા કરવી દેશની સૌથી શ્રેષ્ઠ સેવા છે. તેમણે માનવતાની સેવા કરવા સહભાગી થયેલા સંગઠનોની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ ત્રણ ખાસ વિશેષતાઓ ધરાવે છેઃ માનવીય અભિગમ, સામૂહિક પહોંચ અને લોકો સાથે જોડાણ અને સેવાની ભાવના, જેના કારણે તેઓ વિશ્વસનિયતા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, દેશ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે તથા આ સંસ્થાઓ અને તેમના સંસાધનોની જરૂરિયાતો અગાઉ કરતાં સૌથી વધુ છે. તેમણે સૂચન કર્યું હતું કે, આ સંસ્થાઓ ગરીબો માટે મૂળભૂત જરૂરિયાતો માટેની વ્યવસ્થા કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે અને તેમની તબીબી સુવિધાઓ અને સ્વયંસેવકો દર્દીઓ અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે યોગદાન આપી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશને પડકાર ઝીલવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ બંને પ્રકારની દૃષ્ટિની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેઓ અંધશ્રદ્ધાઓ, ખોટા વહેમો અને માન્યતાઓ તોડવા માટે મોટી ભૂમિકા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમાજના લાભના નામે લોકો સ્થળો પર એકત્ર થતા જોવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનાં મહત્ત્વ વિશે વધુને વધુ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

સામાજિક કલ્યાણકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ કુશળતા સાથે જટિલ સ્થિતિમાં દેશનું સંચાલન કરવા બદલ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે સરકારનાં સક્રિય પગલાંઓની પણ પ્રશંસા કરી હતી, જે વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા અસરકારક છે. તેમણે પીએમ-કેર્સ ફંડને સપોર્ટ કરવા અપીલ કરીને ઉમેર્યું હતું કે, તેમની વર્કફોર્સ આ કટોકટીના સમયે દેશની સેવા કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ હશે. તેમણે ડિજિટલ માધ્યમો દ્વારા જાગૃતિ અભિયાનો દ્વારા પડકારોને ઝીલવા, જરૂરિયાતમંદો વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓ, ફૂડ પેકેટ્સ, સેનિટાઇઝર્સ, દવાઓ અને તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની કામગીરી વિશે વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વધારે જાગૃતિ લાવવાના મહત્ત્વ પર, ગરીબો અને જરૂરિયાતમંદને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરવા, તબીબી સુવિધાની જોગવાઈ કરવા અને કોવિડ-19ના પીડિતોની સેવા કરવા સ્વયંસેવકો પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે તબીબી અને વૈજ્ઞાનિક સલાહ આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા ખોટી માહિતી ફેલાય ત્યારે સાચી માહિતી પૂરી પાડવા ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ રોગચાળાને પડકારનો સામનો કરવા સંયુક્તપણે કામગીરી જાળવી રાખવા પણ ભાર મૂક્યો હતો.

આ વાતચીતમાં પ્રધાનમંત્રીના સલાહકાર અને નીતિ આયોગનાં સીઇઓ પણ સામેલ થયા હતા.