અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીનભાઈ શેખનું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
તેઓ 9 એપ્રિલે એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં તમને તબિયત વધુ લથડતા છેલ્લા એક સપ્તાહથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બદરુદ્દીન ભાઈ શેખના અવસાનના પગલે કોંગ્રેસ પક્ષમાં અત્યંત શોકમય વાતાવરણ થઈ ગયું છે.
ઉમર 67 વર્ષ હતી. શહેરમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમ્યાન ગરીબો માટે તેમણે રાશન કીટ અને ફૂડ પેકેટની સેવા શરૂ કરી હતી. જે દરમ્યાન તેઓ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા.
ડાયાબિટીસની તકલીફ પહેલેથી જ હતી. સારવાર દરમ્યાન ડાયાબિટીસ કંટ્રોલ થતો નહતો. ત્રણ ચાર દિવસ બાદ કિડની ઉપર પણ અસર થઈ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કિડની ડાયાલીસીસ શરૂ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ ઘ્વારા પ્લાઝ્મા ટ્રીટમેન્ટ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. કિડની અને ડાયાબિટીસના કારણે પ્લાઝ્મા સારવાર આપવામાં આવી નહતી. તબિયત માં કોઈ જ સુધારો જોવા ન મળતા તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવા માટે કુટુંબીજનો વિચાર કરી રહયા હતા.
કોંગી કોર્પોરેટર બદરુદ્દીન શેખના અવસાનના સમાચાર જાહેર થતા જ કોંગ્રેસ અને ભાજપનામાં દુઃખની લાગણી જોવા મળી હતી. કોંગી નેતા શક્તિસિંહ ગોહેલ, પ્રવક્તા જયરાજસિંહ પરમાર , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મ્યુનિસિપલ નેતા દિનેશ શર્મા તેમજ સિનિયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષી એ શોક વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે સતત પ્રજા વચ્ચે રહેતા એક કદાવર નેતા ગુમાવ્યા છે.
બદરૂદ્દીન શેખ કોંગ્રેસના મોટા નેતા અહમદ પટેલના નજીકના માનવામાં આવતા હતા. તેઓ વર્ષ 2010 થી 2015 સુધી AMCના વિપક્ષના નેતા રહ્યા હતા. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા.વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા. આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના મેમ્બર પણ રહ્યા. કોંગ્રેસ પાર્ટીએ થોડા સમય પહેલા જ ઓલ ઇન્ડિયા માઈનોરિટી સેલ ના વાઇસ ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક કરી હતી.